ધ્રુવ દાદા
ધ્રુવ દાદા
" થોડું પણ નિયમીત કરો." - ભગવાન શ્રી કૃષ્ણ
ગઇકાલની જેમ જ આજનો દિવસ બજારના કામોનું લીસ્ટ બનાવેલું હતું. આજે મારા સ્વામીને શનિવારનો ઉપવાસ અને મારે અગિયારસનો ઉપવાસ હતો. સવારથી જ નક્કી કર્યા મુજબ દૈનિક કાર્ય પૂર્ણ કરી બજારમાં નીકળી ગયા. બેંકનું કામકાજ અને જરૂરી ખરીદી પતાવી ટિફિન લઈને ઘરે આવ્યાં. મેં મારું ફળાહાર કર્યુ.
બપોરે થોડો આરામ કરી, સાંજે નવા મકાને ગયા. મિસ્ત્રી બહુ રજાઓ પાડે છે. આજે પણ ગાડી રિપેર કરાવવા ગયેલા, આખો દિવસ કંઈ કામ ન થયું. મેં તેમને સમય આપી દીધો અને કહ્યું કે આવતી પાંચ જુલાઈ સુધીમાં કામ પૂર્ણ કરવાનું છે. આખા ઘરનું ફર્નિચરનું કામ પતે પછી બીજું કામ થાય. એ સિવાય પણ ઘણા કામ કરવાના છે. માટે છેલ્લે અમને ટેન્શનના કરાવશો તેમ કામ પૂર્ણ કરવાનું કહ્યું.
આજે બપોરે કામ પતાવીને જિલ્લા પુસ્તકાલય, બાકરોલમાંથી ધ્રુવ ભટ્ટના બે પુસ્તકો લાવી : કર્ણલોક અને અકૂપાર. તિમિર પંથી અને અતરાપી જમા કરાવી દીધી. ધ્રુવ ભટ્ટનાં તમામ પુસ્તકો વાંચીશ તેવો નિર્ધાર કર્યો છે. ખૂબ જ ગમે છે દાદાનાં પુસ્તકો વાંચવા. વૈવિધ્ય પૂર્ણ અને ખૂબ જ આનંદ આવે તેવા પુસ્તકો છે. કંઇક નવું જ હોય છે. તેઓના કાવ્યો અને ગીતો પણ મને ખૂબ જ પસંદ છે રોજ સાંભળું છું. ' હરિ તને શું સ્મરિયે, આપણ જળમાં જળ થઈ રહીએ.' આ રોજ જ સાંભળું છું.
આજે ફરી ધ્રુવ દાદાને મેસેજ કર્યો. તેમના પુસ્તકો વાંચી તેમને મળવાનું ખૂબ જ મન થયું છે. તેમનો નંબર અને ઈમેઇલ આઈડી ગૂગલ પરથી મેળવ્યું. કૉલ પણ કર્યો. અત્યારે તેમને કોરોના પોઝિટિવ છે. માટે હમણાં તેઓએ મળવાની ના કહી. દાદા જલ્દી સાજા સારા થઈ જાય એટલે જરૂર મળીશ. તેમનાં પુસ્તકો અને ગીતો નવી ઊર્જા આપે છે અને મારા મન, હૃદય અને આત્માને હે જરૂર છે, જેનાથી સંતોષાય છે તે મને તેમનાં પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય છે.
આજનો દિવસ ઉત્તમ બની રહ્યો.