અણમોલા પાઠ
અણમોલા પાઠ
જો શિષ્યત્વ અંતર વિરાજે,
તો જીવન છે શીખવા કાજે.
ભગવાન શ્રી દત્તાત્રેયને ૨૪ ગુરુ હતાં.. બસ વાત છે જીવનભર ગુણગ્રાહી દ્રષ્ટિ રાખી, ચારેકોર નિહાળી, કંઈક શીખવા તત્પર રહી, વિદ્યાર્થી બની રહેવાની. સૌથી મોટી ને નિસ્વાર્થ શિક્ષિકા કુદરત છે. ક્ષમાશીલ ધરા, અમી વરસાવતા વાદળ, પરોપકાર કાજે જીવતાં વૃક્ષો, સુવાસ મૂકી ખરી જતાં ફૂલડાં, એકનું અનેક ગણું કરી આપતી ધરતીમાતા, સમુદ્રની વિશાળતા અને ગહેરાઈ, અવરોધોને અવગણી ખળખળ વહેતી નદી, અપરિગ્રહી પશુ પક્ષી, ચિવટથી માળો બાંધતી સુગરી, મીઠી બોલી શીખવતી કોયલ, કીડી ને કરોળિયાનો ખંત, કુતરાની વફાદારી, પર્વતની અડગતા, ગાયનું વાત્સલ્ય ને પવિત્રતા,
બિલાડીની ચપળતા. ઓહોહો.
જ્યાં જ્યાં નજર મારી ઠરે, ત્યાં એક શિક્ષક મળે! જો કે સર્વોપરી શિક્ષક તો આ જીવન છે. જે વિવિધ કસોટી દ્વારા આપણને ઘડે છે. હાલનાં ઓનલાઇનના કાળમાં મળી ગયેલ વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં, વિવિધ ગ્રુપનાં પ્રણેતાઓ કલમની ધાર કાઢી નાનામાં નાની ભૂલ બતાવી આપણને જે રીતે ઘડે છે, એક નવો જ અનુભવ છે. શાળામાં શીખેલા, પણ અમલમાં ના મુકાયું, તે અત્યારે અમલ કરતા શીખી રહ્યા છીએ. શબ્દો વાવેતર અને સ્ટોરી મીરર ના આયોજક અને નિર્ણાયકોની આખી ટીમને, આટલું ચોક્કસાઇપૂર્વક તપાસી આપણને સૌને ઘડવા માટે માનીએ એટલો આભાર ઓછો છે. બસ ઈશ્વરને એ જ અભ્યર્થના કે છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી અને ગુણગ્રાહી રાખે.