Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

4  

Vijay Shah

Others

ઇંદુ બા

ઇંદુ બા

5 mins
14.3K


ન્યુ યોર્કથી અક્ષરા અમદાવાદ તેની નાની બેન સ્નેહાને ફોન કરી કહેતી હતી, “બેન ન્યુયોર્ક્ની ટીકીટ કઢાવો અને જલ્દી આવો. ઇંદુબાએ અન્નજળ ત્યાગ કર્યા છે. દવા લેવાની પણ ના પાડે છે અને નક્કી કર્યું કે બે હાર્ટ એટેક આવી ગયા પછી હવે ચોર્યાસીએ લીલીવાડીને ત્યાગવાનો સમય આવી ગયો છે.”
“હેં?”
“હા, અને જાતે ડોક્ટર અને એવા કેટલાય મૃત્યુ જોયેલા જેમાં બાળકો દવા દારુ કરાવે અને ટુંકા ગાળામાં જો તે વડીલ દેહ્ત્યાગે ત્યારે પહેલો નિઃસાસો એજ નાખે કે થોડુંક વધુ જીવ્યા હોત તો.”
“પણ તેમને સારુ તો છે ને?”
“હા. ઘરે લાવ્યા પછી નાના ભાઈ તારકને પાસે બોલાવીને કહ્યું, ભાઈ હવે આ દેહને અભડાવીશ ના. મને ગમે તે થાય પણ દવા નહીં.. ઈન્જેક્શન નહીં કે નહીં બાટલા ચઢાવવાના. મને ખબર છે દેહ ધીમે ધીમે અશુચી મુક્ત થઈ જશે અને પ્રભુનાં ખાતામાં પાછો સોંપાતો દેહ જેવો તેમણે આપ્યો હતો તેવો સર્વ અશુચી મુક્ત આપવો રહ્યો.”

તારકે કહ્યુ પણ ખરું કે મમ્મી કંઈ અમારી ભુલ ચુક થઈ? આમ અચાનક જ અમરાથી મમતાનો નાતો છોડવા માંડ્યો?

ત્યારે મમ્મીએ કહ્યું, "જો બેટા! તને જન્મ આપ્યો ત્યારે તું રડતો હતો પણ અમે બધા હસતા હતા. આનંદમાં હતા. અમારો વંશ વધારનાર આવ્યો. હવે અમારું કામ પુરુ થયું. તમને ભણાવ્યા કાબેલ કર્યા લગ્ન કરાવ્યા અને ત્રીજી પેઢી પણ જોઈ હવે કેટલું જીવવાનું?”

તારક કહે “મા, કેવો શ્રાપ પ્રભુએ દીકરાઓને આપ્યો છે? જન્મદાતાને ચેહ આપવાની?”

ફોન ઉપર અક્ષરાની વાતો સાંભળતી સ્નેહા બોલી, “મમ્મીએ તો ભારે કરી.”
“જો મમ્મીને તું સાંભળે તો તારું ગર્વથી માથુ ઉંચુ થઈ જશે.. બસ જલ્દી ટીકીટ કઢાવ અને રાહ કે મુહુર્ત જોવા ના રહીશ. વળી, લંડનથી સેજલ આવી ગઈ છે એટલાંટાથી દીપાલી અને કનક પણ અહીં જ છે. આખા કુટુંબમાં તું એકલી જ નથી.”
“ભલે બેન અમે લોકો આવીયે છે.”

રોજ સવાર અને સાંજ ભક્તિભાવનાં ભજનો ગવાય છે અને રોજ તેમને સજ્જ કરીયે ત્યારે આંખો આંસુથી ભરાય ત્યારે ઇંદુબા બહુ હળવાશથી કહે, “તમને ધર્મ જ્ઞાન આપ્યું તે ખાલી સાંભળવા માટે નહીં તેનો અમલ પણ કરવાનો હોયને?”

“પણ મમ્મી ક્યારેક તું બહું આનંદમાં હોય છે અને ક્યારેક ઉદાસ. તેનું શું કારણ?”

“હું મનોમન જેઓ મારી સાથે કામ કરતા હતા. મારી પાસે માવજત લીધેલી તે સૌની માફી માંગુ છું અને એમની સાથેનાં વહેવારને ખમાવું છું ત્યારે આનંદમાં હોઉ છું. અને માનવ સહજ અનુરાગોથી બંધાયેલી પરિસ્થિતિમાં સમતાથી તમને છોડીને જવાની વાત આવે છે ત્યારે ઉદાસીનતા આવે છે. પણ આ ભાડાની કોટડી પાછી તો વાળવાનીને?”

એટલાંટાથી આવેલા જમાઈ કનક ત્યારે જરા ગુસ્સે થઈને બોલ્યાં, “બા, તમે તો જાણે જવા તૈયાર થઈ રહ્યા છો પણ અમને કેટલો ત્રાસ? તમને રોજ રોજ તલ તલ જેટલું મરતા જોવાનાં? અને તે રોકવા અસમર્થ હોવાનાં નિસહાય ભાવને સહેવાના. પ્રભુ એ આપેલું આયુષ્ય કર્મ જાતે ઘટાડી રહ્યા છો તે આમ તો એક પ્રકારનું અપ મૃત્યુ જ છે ને? દીપાલી તો તમારા રુમમાંથી બહાર નીકળે અને રોજ રડે છે.. નાની જતી રહેવાની.”

ઇંદુબા કહે, “અમર પટો તો લખાવીને આવી નથી. અંતિમ સમયની આ આરાધના છે. તે સમજે છે છતાં મારે માટેનો મોહ તેને રડાવે છે.”
“પણ બા આખી દુનિયા બને ત્યાં સુધી જીવવા મથે અને આપ તો અમને બધાને નમાયા કરવા જાતે મૃત્યુ રથને આમંત્રો છો. મારી સમજ પ્રમાણે આ ખોટુ છે.” કનકનો આક્રોશ સમજાતો હતો. દીપાલી રડે તેનાથી તે વ્યથીત હતાં.

બહું ઠાવકાઈ થી અક્ષરા કહે, “કનક્ચંદ્ર એમની ઉંમરે આપણે પહોંચીશુ ત્યારે જ કદાચ આપણને સમજાશે કે શરીરની નબળાઈઓ અને સાથી વિના નો ખાલીપો એ કેવી મોટી વ્યાધી છે. વ્યથા છે અને તેમાંથી છૂટવા લેવાતા આ રસ્તા કેટલા વ્યવહારીક છે..”

સાસુ તરફ જરા વિચિત્ર રીતે જોતા જમાઈ બાબુએ ચુપ્પી સાધી લીધી. પણ બીજે દિવસે તેમના વર્તનથી વિરોધ નોંધાવતા દીકરી અને જમાઈએ એટલાંટા જવા પ્રયાણ કર્યું.

ઇંદુબાનાં ચારેય સંતાનો અક્ષરા, સેજલ, સ્નેહા અને તારક ખડે પગે હતા શરીર ઉપર ખોરાકની ગેરહાજરી વર્તાતી હતી તેવીજ રીતે ચહેરા ઉપર દિવ્યતા વધતી હતી. જાતે ઉઠીને નહાતા હતા ભગવાન સામે ભાવથી બેસીને જાણે શું ય વિનવણી કરતા રહેતા. બા ને કંઈ ગડથોલીયુ ન આવી જાય તેની તકેદારી રાખતા ચારેય સંતાનો જાણે બા જતા ન રહે તેની ચોકી કરતા.

સ્નેહા આવ્યાને પંદરમાં દિવસે ઇંદુબાએ પોતાની ડાયરી વાંચવા અક્ષરાને આપી. અને ચારેય સંતાનો ને સાંભળવા કહ્યું, “અક્ષરાએ કંઈક ભારે અવાજે વાંચવાનું શરૂ કર્યુ.”

મારા આપ્ત જનો,

મારા સંથારાને તમે લોકો સમજ્યા હોય તેવું લાગતું નથી. અને તેથી સહજ થવાને બદલે સૌ કામ કાજ છોડીને મારી આજુ બાજુ ગોઠવાઈ જઈને માતૃ ઋણ અદા કરવા બેસી ગયા છો. કદાચ તમારા જન્મ વખતે અને જન્મ પછી લીધેલી કાળજીને દેવુ સમજી અત્યારે મારી કાળજી કરી રહ્યા છો. કદાચ બાને હવે ગુમાવી દેવાના છીયે તો જેટલું વધું તેની સાથે જીવાય તો જીવી લેવું કહીને તમે સ્મૃતિનાં મધને અકરાંતિયા થઈને ભેગુ કરી રહ્યા છો.

મને કહેવાદો આમ કરીને તમે મને પણ તમારા રાગનાં રેશમી તાંતણે બાંધી રહ્યા છો.

મારા ઉપવનનાં મુક્ત પંખીઓ! એ રાગનાં તાંતણા ને તોડો અને સાવ સહજ થાવ. જનમ્યુ તે જાય વાળી વાતને ધ્યાનમાં લો. અને જેમ આંબા ડાળેથી પાકી કેરી આંબાને કોઈ પણ વેદના આપ્યા વીના છૂટી થઈ જાય તેમ મને તમારા રાગમાંથી મુક્ત થવાની સહજતા આપો. કાળ તેના સમયે મને લઈ જશે પણ તેમ કરતા હું મારા કર્મનાં બંધન કાપવા મથું છું તેમાં ઉણી ન પડી જઉ તે માટે મેં સંથારો લીધો છે. વળી, તમે સૌ તો જાણો છો તેમ આ ફક્ત દેહ બદલવાની આત્માની એક કળા છે. આજે તમારી માતાનું ખોળીયુ છે કદાચ કાલે હું જગતમાત્રનાં પ્રાણી જગતનાં કોઈ ગર્ભમાં ઉંધા માથે લટકતી હોઈશ. કે વનસ્પતિ જગતમાં ક્યાંક બીજ બનીશ. કે પંખી જગતમાં અંડજ બનીશ. જે બનીશ તે તો બનીશ. પણ અત્યારે જે છું તેનો આનંદ છે. ક્યાં જઈશ તેની ચિંતા કરવાની બેવકુફી નથી કરતી..

ધર્મે મને એટલું સમજાવ્યું છે કે મનને કસવા આત્માને સાંભળતા થવુ જોઈએ આ અવાજ હંમેશા હ્રદય પાસેથી આવતો હોય છે. મન અને હ્રદય નાં આ દ્વંદ્વમાં હું વિજેતા બનીને સંથારે બેઠી છું.તે અંતિમ સમયની આરાધના છે.

મારા બાળુડાઓ આ મારી સમજને સમજો. મારું તમારાથી છુટા પડવુ તે કુદરતી ક્રિયા છે જેમ તમારું મારા આંગણે જન્મવું.. આભની અટારીએ તમરા બાપુ મારી રાહ જુએ છે એવું કોઈ સંવેદન નહીં આપું કારણ કે આત્મા તેની ગતિ પ્રમાણે વિહરતો હોય છે. તેમજ મારો આત્મા પણ કર્મોને આધીન રહીને આ દેહથી છૂટો થશે. એ વિષાદની નહીં પણ ઉજવણાની ઘડી છે. મને પડતી દૈહીક તકલીફો તો દેહનાં દંડ છે તે મારેજ ભોગવવાનાં હોય.. તેની “હાય” “હાય” ના હોય. તેને તો “હોય” હોય” કહીને ભોગવવાનાં જ હોય..

ચારેય ભાંડરડા સ્વસ્થ થાવ! હળવા થાવ! અને મારી ચિંતા ના કરશો અને માતૃ તર્પણમાં તમારા હસતા ચહેરા મારા વિલય સમયે રાખજો. કુદરતનાં ન્યાયને રુદનથી ના ઉવેખશો. રાગથી સહજ રીતે મુક્ત બનશો.

અક્ષરાએ છેલ્લું પાનું પૂરું કર્યુ ત્યારે ઇંદુબા પ્રસન્ન હસતા શાંત ચહેરે દેહ છોડી ચુક્યા હતા.


Rate this content
Log in