નવરાત્રી
નવરાત્રી
આસો માસના શુક્લ પક્ષમાં આવતા નવરાત્રી દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો.
જગતની અંદર કોઈ પણ પ્રકારના નૈતિક મૂલ્યો સારાં જ છે, તેથી ટકતાં નથી. નૈતિક મૂલ્યોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાનું પીઠબળ હોવું અગત્યનું છે. જગતમાં તપશ્ચર્યાને જ યશ મળે છે. તપશ્ચર્યાના બળથી ઘણીવાર જગતમાં અસત મૂલ્યોની પણ જીત થઈ છે. નબળા માણસોના સત્ય, સંસ્કાર કે સંસ્કૃતિને કોઈ પૂછતું જ નથી.
નવરાત્રીના ઉત્સવ માટે પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો. આ રાક્ષસે પોતાના સામર્થ્યના જોરે સર્વ દેવો તેમજ મનુષ્યોને ત્રાસ પોકારતા કરી દીધા. તેથી દૈવી વિચાર સરણીની પ્રતિભા ઝાંખી થઈ. અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા. હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી. તેમના પુણ્ય પ્રતાપથી દૈવી "આદ્યશક્તિ" નિર્માણ થઈ. તેથી બધા દેવોએ જયજયકાર કરી વધાવીને તેનું પૂજન-અર્ચન કર્યું. પોતાના આયુધો(શસ્ત્રો)થી દૈવી શક્તિએ નવ દિવસ અવિરત યુદ્ધ કરીને મહિષાસુરને હણ્યો. આસુરી વૃત્તિને ડામી, દૈવી શક્તિની પુનઃસ્થાપના કરી, દેવોને અભય વચન આપ્યું. આ દૈવી શક્તિ એ જ આપણી "જગદંબા", નવદુર્ગા", "મા જોગણી".
અસુર એટલે મોટા દાંતવાળો, મોટા નખવાળો, મોટી આંખોવાળો કોઈ ભયંકર રાક્ષસ, આ આપણી ભ્રાંત સમજણ છે. ખરું જોતાં, અસુર એટલે પ્રાણોમાં, ભોગોમાં જ રમમાણ થનારો વિચાર. અને મહિષ એટલે પાડો. આવી રીતે જોતાં, પાડા જેવી વૃત્તિ રાખનારો અસુર. પાડો હંમેશા પોતાનું જ નિજી સુખ જોતો હોય છે. સમાજમાં આજે આવા પાડાઓની વૃત્તિ ફૂલતી ફાલતી જાય છે. પરિણામે આખો સમાજ સ્વાર્થી, પ્રેમવિહીન અને ભાવશૂન્ય બનતો જાય છે. સમાજમાં લોકો વ્યક્તિવાદ અને સ્વાર્થપરાયણતા બની મહિષાસુર રૂપે નાચે છે. આવા મહિષાસુરને નાથવા મા પાસે શક્તિ ("નવદુર્ગા" ) માગવાના દિવસો એટલે નવરાત્રી.
વેદોએ પણ શક્તિની ઉપસનાને ખુબ મહત્વ આપ્યું છે. મહાભારતનું પાનેપાનું બલોપાસના, શૌર્ય અને પૂજાથી ભરેલું છે. ધર્મના મૂલ્યો અખંડિત રાખવા હોય તો, હાથ જોડીને બેસવાથી કંઈ નહીં મળે. શક્તિની ઉપાસના કરવી પડશે.
અનાદિ કાળથી સદ્દવિચારો પર આસુરી વૃત્તિ કનડગત કરતી આવી છે. તેના પર આદ્યશક્તિથી પરાભવ થયો છે. માટે સદ્દવિચાર હોય એટલું જ પર્યાપ્ત નથી, તેનું જતનમાં નવદુર્ગાની ઉપાસના અગત્યની છે.
ભક્તિથી શક્તિ પ્રગટે છે, તેથી નવરાત્રીના દિવસોમાં ગરબા કે રાસ રૂપે "મા"ની આસપાસ ઘૂમવાનું હોય છે, અને માની આસપાસ ઘૂમતાં સ્તુતિ, રસ, ગરબા ગાતાં-ગાતાં સદ્દબુદ્ધિ અને શક્તિ માગવી જોઈએ. સાથે-સાથે સંઘ બળ માગવું જોઈએ. "સંઘે શક્તિ કલૈ યુગે" ની સંઘ ભાવનાથી અઘરાં કામ પણ થઈ શકે. માટે નવરાત્રીના દિવસોમાં એકત્રિત થઈ, એક તરફ ચોમાસામાં અન્નનું સારું એવું ઉત્પાદન થવાથી લોકોમાં ખુશીનો માહોલ સાથે મા જોગણીના ગરબામાં અનાજ ભરીને વિવિધ રીતે ગુણગાન હોય.
નવરાત્રીના દિવસોમાં એકત્રિત થઈ પ્રાર્થના, રાસ, ગરબા, સ્તવન ગાશું...! યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ..., શ્રદ્ધારૂપેણ..., શક્તિરૂપેણ... સંસ્થિતા | નમસ્તસ્યૈ નમો નમઃ || અમારી બુદ્ધિ કુંઠિત થઈ છે. માટે બુદ્ધિ આપ, શ્રદ્ધાહિન થયા છીએ, તો શ્રદ્ધાનું પાથેય આપ. શક્તિહીન થયા છીએ, તો શક્તિ આપ.
જગદંબાની ઉપાસના નવરાત્રીમાં શરૂ થાય, પરંતુ માત્ર નવ દિવસ પૂરતી સીમિત ન રહેતાં, રોજે-રોજ શક્તિની ઉપાસના કરતા રહેવાથી તાકાત વધશે.
સંક્ષેપમાં કહેવું હોય તો નવરાત્રીના દિવસો એટલે શક્તિની ઉપસનાના દિવસો, સંઘશક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સૂણાવતા દિવસો. સાધનાનો સૂર પકડી જીવનને સમર્પણના સંગીતથી ભરી દઈએ.
આજકાલની નવરાત્રીએ મોજશોખ, ઘોંઘાટ, ખાણી-પીણી અને બાહ્ય આડંમ્બરનું સ્થાન લીધું છે. ખેર, જવા દો, એને. સાચી સમજણથી જગદંબાના શરણે જઈ, સાધના તરફ વળી જીવનને ડાઘ મુક્ત રાખું તોય ઘણું.