સિક્કાની અમર સફર
સિક્કાની અમર સફર
સિક્કાની અમર સફર
તિજોરીના અંધકારમાં કેદ રહેલી 'હજારની નોટ' ના વૈભવી ભ્રમને, રસ્તા પર ધૂળ ચગદતા 'એક સિક્કા' ની પરોપકારી સાર્થકતાએ ધૂળ ચાટતો કરી દીધો! માણસ કેટલો મોટો છે એ તેના પદથી નહીં, પણ તેની ઉપયોગિતાથી સાબિત થાય છે તે જાણવા વાંચો આ અદ્ભુત વાર્તા.
એક અંધારી, સુનસાન રાત્રે એક કંગાળ પ્રવાસીના ફાટેલા ગજવામાં અણધારી મુલાકાત થઇ. વર્ષોથી સંઘરાયેલી, કડકડતી સહસ્ત્ર મુદ્રાની એક ભવ્ય નોટ - ‘મહામૂલ્ય’ અને ઘસાઈ ગયેલો, ચળકતો એક રૂપિયાનો સિક્કો - ‘અલ્પતમ’ એકબીજાની સાવ નજીક આવી ગયા.
‘અલ્પતમ’ તો અહોભાવથી આંખો ફાડીને ‘મહામૂલ્ય’ સામે જોઈ જ રહ્યો. તેની ભવ્યતા, તેનો વટ અને તેનું કદ જોઈને સિક્કો અભિભૂત થઈ ગયો.
મહામૂલ્યે સહેજ ગર્વ અને આશ્ચર્યથી પૂછ્યું, "એલા નાનકડા જીવ! આટલું એકીટશે મારી સામે શું જુએ છે?"
અલ્પતમે અત્યંત વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, "હે પ્રભુ! આપના જેવા વિરાટ વ્યક્તિત્વના દર્શન ભાગ્ય વગર ન થાય. આપનું મૂલ્ય મારા કરતાં હજારગણું વધારે છે. આ સંસારમાં આપ કેટલા પૂજનીય હશો! મારો તો જન્મ થયો ત્યારથી આ નાનકડી ત્રિજ્યામાં જ જીવ નીકળી જાય છે, પણ તમે તો રાજા-મહારાજાઓ અને સદ્ગૃહસ્થોના ઘરોમાં કેવા વૈભવથી ફર્યા હશો! કેટલાય ગરીબોના અશ્રુ લૂછ્યા હશે અને કેટલાય લોકકલ્યાણના કાર્યો કર્યા હશે!"
આ સાંભળીને ‘મહામૂલ્ય’ના ચહેરા પર ગર્વના સ્થાને અસહ્ય વેદનાની કરચલીઓ ઉપસી આવી. તેણે એક ઊંડો અને ગરમ નિસાસો નાખ્યો. અવાજમાં ભીનાશ ઘોળતાં તે બોલી, "અરે ભાઈ અલ્પતમ! તું જેને વૈભવ સમજે છે, એ તો મારું સોનાનું પાંજરું હતું.
પણ દોસ્ત, આ તો સંસારનો ભ્રમ છે. મારી વાસ્તવિકતા બહુ કરુણ છે. મારો જન્મ થયો ત્યારે હું એક પ્રખર ઉદ્યોગપતિના હાથમાં ગઈ. મને એમ કે હું દેશના વિકાસમાં ભાગીદાર બનીશ. પણ અરેરે! એ લોભી માણસે લોખંડની અભેદ્ય તિજોરીમાં મને પૂરી દીધી. મારો શ્વાસ રુંધાતો હતો. ન સૂર્યનો પ્રકાશ, ન પવનની લહેરખી!
એક દિવસ મને અંધારામાંથી બહાર કાઢવામાં આવી. મને આનંદ થયો કે હવે મુક્તિ મળશે! પણ ના, એ તો કાળાબજારી અને ટેક્સચોરીના પાપના કૌભાંડને ઢાંકવા માટે એક ભ્રષ્ટ અધિકારીને અપાયેલી લાંચ (રિશ્વત) હતી! ભ્રષ્ટાચારના એ કલંકિત હાથોમાંથી છૂટીને હું સીધી બેંકના અંધારા લોકરમાં કેદ થઈ ગઈ. ત્યાર બાદ એ અધિકારીએ મોટો બંગલો ખરીદ્યો ત્યારે હું બિલ્ડરના હાથે ચડી. એણે તો હદ કરી! ઈન્કમટેક્સના ડરથી એણે મને પસ્તીના કોથળામાં પૂરીને બેઝમેન્ટ ભોંયરામાં ફેંકી દીધી. ત્યાં વીંછી અને ઉંદરોની વચ્ચે મારો દમ ઘૂટાતો રહ્યો. હજુ બે દિવસ પહેલાં જ કોઈ વ્યવહારમાં હું આ ગરીબ માણસના ખિસ્સા સુધી પહોંચી શકી છું. સાચું કહું તો, મારો દેખાવ ભલે રાજા જેવો રહ્યો, પણ મારું જીવન એક ગુલામ કે કેદી જેવું જ રહ્યું છે!"
का कस्य चिन्ता यदि कश्चिदुच्चै- रास्ते सुवर्णो गिरिराजराजः।
तत्तस्य किं येन न चातकानां-माकाङ्क्षया शुष्यति चञ्चुपुटी॥
જો સોનાનો મોટો પર્વત (સુમેરુ પર્વત) બહુ ઊંચો આકાશમાં હોય, તો તેનાથી કોઈને શું ફાયદો? તેના એટલા મોટા હોવા છતાં જો તરસ્યા ચાતક પક્ષીની ચાંચ પાણીના ટીપા વિના સુકાતી રહેતી હોય, તો એ પર્વતની મોટાઈ કશા કામની નથી.
महान् जातोऽपि किं तेन खर्जूरद्रुमसन्निभः।
न छायां पथिके दत्ते फलं चातिदूरस्थितम्॥
મોટો થયો તો શું થયું ખજૂર વૃક્ષ સમાન, પંથીને છાયા ન મળે, ફળ રહે અતિ દૂર આસમાન. ઊંચાઈનું ગૌરવ વ્યર્થ, જો ઉપકાર ના હોય, માનવ જીવન સાર્થક ત્યારે, જ્યારે બીજાને સુખ હોય.
મહામૂલ્યે આંસુ લૂછતાં ‘અલ્પતમ’ સામે જોયું અને પૂછ્યું, "ભાઈ, મેં તો મારું નરક જેવું જીવન તને સંભળાવ્યું. હવે તું તારી કથા કહે, તું ક્યાં ક્યાં ભમ્યો?"
આ સાંભળીને ‘અલ્પતમ’નો ચહેરો ખીલી ઉઠ્યો. તેની આંખોમાં પવિત્રતા અને સંતોષની ચમક હતી. તે હરખાતો હરખાતો બોલ્યો, "અરે દોસ્ત! મારી ગાથા તો પરમાનંદની ગાથા છે. હું ક્યારેય એક જગ્યાએ સ્થિર રહ્યો જ નથી. હું તો વહેતી નદી જેવો મુક્ત છું. ક્યારેક હું એક ગરીબ ભિખારીના વાટકામાં ટનનન્ કરતોકને પડું છું, અને તેના કરમાયેલા ચહેરા પર સ્મિત લાવી, તેને બિસ્કિટનું પેકેટ અપાવું છું. ક્યારેક રડતા બાળકના હાથમાં જઈને એને મનગમતી ચોકલેટનો સ્વાદ ચખાડું છું."
સિક્કાએ ગદગદિત કંઠે આગળ કહ્યું, "દોસ્ત, મારી યાત્રા તો પરમાત્માના દ્વાર સુધીની છે. હું ક્યારેક ગંગાજીના પવિત્ર જળમાં સ્નાન કરી ચૂક્યો છું, તો ક્યારેક હરિદ્વાર અને કાશીના ઘાટ પર ભગવાનના ચરણોમાં અર્પણ થયો છું. મેં મંદિરની આરતીની થાળીમાં દીવાના પ્રકાશ સાથે નૃત્ય કર્યું છે. પણ મારી સાર્થકતા જ્ઞાનીઓએ ગીતાજીમાં કહી છે તેવી નિષ્કામ સેવા અને અર્પણની છે:"
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः।
परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम्॥ ભર્તુહરિ
વૃક્ષો પરોપકાર માટે જ ફળે છે, નદીઓ પરોપકાર માટે જ વહે છે, ગાયો પરોપકાર માટે જ દૂધ આપે છે, અને આ શરીર પણ પરોપકાર માટે જ છે.
સિક્કાની આ પરમાર્થની વાતો સાંભળીને હજારની નોટ સ્તબ્ધ થઈ ગઈ. જે નોટ પોતાની ભવ્યતા પર ગર્વ કરતી હતી, તેનું મસ્તક સિક્કાના ત્યાગ અને પરોપકાર સામે ઝૂકી ગયું. તેને સમજાયું કે ‘ઝાઝી કીડીઓ સાપને તાણે’ તેમ નાના નાના સિક્કાઓ જ ભેગા થઈને જગતનો અર્થતંત્રનો રથ ચલાવે છે અને પુણ્ય કમાય છે.
મહત્તા માત્ર નામોની કદી સાર્થક નથી હોતી,
તિજોરીમાં પુરાઈને કદી કિંમત નથી હોતી;
ભલે નાનું હો જીવન પણ જો જગના કામે આવે તો,
એ સિક્કાથી રૂડી કોઈ બીજી કિસ્મત નથી હોતી.
છેવટે, મહામૂલ્ય (નોટ)ની આંખો ભીની થઈ ગઈ. તેણે અલ્પતમને ગળે લગાવ્યો. તેને ભર્તૃહરિનું એ પરમ સત્ય યાદ આવી ગયું કે સંપત્તિ ભોગવવા માટે કે દાન કરવા માટે છે, સંગ્રહ કરવા માટે નથી.
ગજવામાં સવાર પડી રહી હતી, પ્રવાસી જાગી ગયો હતો, પણ અંધારા ગજવામાં મૂલ્ય અને સાર્થકતાનો નવો સૂર્યોદય થઈ ચૂક્યો હતો.
सूचिर्मेलयति यत् खड्गो न शक्नोति छेत्तुम्।
सूक्ष्मा शक्तिः सृजति यत् स्थूला शक्तिः न बध्नाति॥
સોઈ એવી વસ્તુને જોડી શકે છે જેને તલવાર કાપી શકતી નથી. સૂક્ષ્મ શક્તિ એવું સર્જન કરી શકે છે જે સ્થૂળ શક્તિ બાંધી શકતી નથી.
