સાધના -૨૧
સાધના -૨૧
ગામ પહોચીને સાધના એ બધો સામાન બરાબર રીતે ગોઠવી લીધો.
ઘર ખુબ મોટું હોવાથી અને તમામ સગવડ હોવાથી બધું ઘરમાં ગોઠવાય ગયું. પણ રાજને અહી ગમતું ન હતું. તે પપ્પાને કહેવા લાગ્યો આપણે, "પાછા મુંબઈ ક્યારે જશું ? તમારી ઓફિસ ક્યારે ચાલુ થવાની છે ? ભરત તેને સમજાવતો હતો." “બેટા થોડા મહિના રાહ જોઈ લેશું પછી,સાચી ખબર પડી જશે કે આગળ શું કરવાનું છે. આપણે તારી સ્કૂલ શહેરમાં છે તો ત્યાં ઘર લઇ લેશું,તેથી તને અભ્યાસમાં કોઈ જાતની તકલીફ ન પડે."બીજે દિવસે સાધનાના ઘરેથી બાપુ અને ભાઈ મળવા આવ્યા. તેમને પણ આ નિર્ણય ખુબ યોગ્ય લાગ્યો. બાપુ થોડા ચિંતિત હતા. તેમને રાજના ભવિષ્યની ચિંતા થતી હતી. તે મનોમન વિચારી રહ્યા હતા કે કંપનીનો ચુકાદો વહેલી તકે આવી જાય તો સારું.
સાધના એક રાતના ભરતની બાજુમાં આવીને બેસી.પણ ભરતને તેની ઉપસ્થિતિની જાણ જ ન થઇ, તે બોલી “સાંભળો છો ! શું વિચારો છો ? તમને સારી નોકરી તો મળી ગઈ છે ! મમ્મી ને પપ્પા પણ આપણે આવ્યા તેથી રાજી છે તો પછી શેની ચિંતા ?” “રાજના ભવિષ્ય માટે ચિંતિત છું.” ભરત બોલ્યો. તે મોટો થશે મારા પણ અરમાન હતા કે દેશની શ્રેષ્ઠ કોલેજમાં તેનો દાખલો લઇ ને ઉચ્ચ અભ્યાસ કરાવીશ, પણ મારા નસીબ કેટલા ખરાબ કે તે જયારે કંઈ કરવા યોગ્ય થયો ત્યાં જ તેને સાથ આપવાનું છોડી દીધું.
સાધના એ તેમને આશ્વાસન આપ્યું, “કઈ વાંધો નહિ, અહી પણ બધા ભણે જ છે ને. રાજ આપણો સમજુ છે. જેમ સમજાવીએ તેમ સમજી જશે. “પણ કાલ સવારે નાનકાના લગ્ન થાય, તેમના માટે પણ રૂમની અગવડ પડે, તેના પણ બાળકો થાય તો તેને પણ થોડી મોકળાશ જોવે ને ?” ભરત બોલ્યો. “હા તો થોડો વખત જશે અને તેમની સગાઇ થશે પછી આપણે મમ્મીજીને બીજું ઘર લેવાનું કહેશું.” સાધનાએ કહ્યું. “સારું જે થાય તેમ કરીશું.” કહીને ભરત સુવા ચાલ્યો ગયો.
સાધના તેની મનોદશા જાણી ગઈ. તેને લાગ્યું કે આ બંને બાપ દીકરો અહી રહેશે કેમ ? ભરતને તો પહેલેથી જ દેશમાં નહતું ગમતું. અને હવે કાયમ માટે કેમ નીકળશે દિવસો ! વિચાર કરતા કરતા જ તે ઊંઘી ગઈ. ઠંડી હવા વાતી હતી, મંદિરમાંથી આવતી ધૂપની સુગંધે વાતાવરણને પવિત્ર કરી રહ્યું હતું .પંખીઓ નો કલરવ સવારને જીવંત બનાવી રહ્યો હતો. ભરત ઉઠીને તેની મમ્મી પાસે ગયો, મમ્મી ભગવાનનું નામ લેતી હતી. ભરતને આવેલો જોઈ તે બોલ્યા “કેમ ! બેટા ઊંઘ ન આવી ?” તે આટલો વહેલો ઉઠી ગયો ?
“ના મમ્મી, મારે તને એક વાત કહેવી છે,” "બોલને !" “મમ્મી મારું મન અહી લાગતું નથી. રાજ ને પણ અહી ગમતું નથી. મને જો કોઈ સારી નોકરી મળી જાયને, તો હું પાછો મુંબઈ જવા માંગું છું. તું પપ્પાને સમજાવી લઈશ ?" આટલું બોલતા તે હાંફી ગયો. તેના મમ્મી ત્યારે તો કંઈ ન બોલ્યા, પણ તે આખો દિવસ તેની જ વાત વિચારતા રહ્યા. તેને લાગ્યું કે, “કાલે રાતના સાધના અને ભરત મોડે સુધી બેઠેલા હતા, તો સાધના એ તો કઈ મુંબઈ જવા માટે દબાણ નહિ કર્યું હોયને ?” આ આજકાલની વહુઓનો તો ભરોસો ન કરાય ! આપણી પાસે અબોલ રહે અને આપણા દીકરાને આંખે કરીને પોતાની સ્વતંત્રતા મેળવી લે.
તેમને બપોરે જમવા આવેલા ભરતના પપ્પાને વાત કહી. તે પણ ચિંતામાં આવી ગયા. આજે પહેલીવાર તેમને પોતાની પત્નીની વાત
કે જે સાધનાની વિરુધ હતી તે સાચી લાગી. તેઓ બોલ્યા કે રાતના શાંતિથી ભરતની વાત સાંભળીને, મારી વાત કહીશ. રાત થઇ સૌ જમીકરીને બેઠાં હતા ત્યાજ પપ્પાએ વાત મૂકી, “કેમ ભાઈ ! અહી તમને લોકોને નથી ગમતું ? ઓફિસનું કામકાજ વધારે લાગે છે ? કે ઘર કામ ? સારી નોકરી મળી ગઈ છે, સારી શાળા છે, માબાપ ને ભાઈ ભાંડું છે, પછી અહી કેમ નથી ગમત્તું ?” બધા એકદમ ચુપ ! સાધનાને તો મોટો આંચકો લાગ્યો ! તમને બંને પતિ-પત્ની ને સ્વતંત્રતા જોઈએ છે ? તો બીજું મકાન લઈને શહેરમાં રહો અમે અમારું કરી લઈશું ! અમારી ચિંતા કોઈએ કરવાની જરૂર નથી." આટલું બોલતા તો તેમનો ચહેરો લાલઘૂમ થઇ ગયો. ભરત બોલ્યો "ના,પપ્પા એવું નથી પણ મારા જન્મથી હું ત્યાજ મોટો થયો, મારા મિત્રો, મોટું શહેર અને ઓળખીતા લોકો મળી રહે,તેના માટે.” “હા ! તને અમારા કરતા મિત્રો અને ઓળખીતા પર વધારે ભરોસો છે ? પપ્પા મોટા અવાજે તાડૂક્યા.”
સાધના બોલી, "મમ્મીજી એવું નથી, રાજ માટે તેઓ ચિંતિત છે !"
“તું, તો કાંઈ જ ન બોલ ! આ, તે બાપ દીકરાની વાત છે. તમને રાજની ચિંતા છે તો તેઓ પણ ભરતના બાપુ જ છે, તેમને પણ ચિંતા હોય ને ! તું તો,અહી જ મોટી થઇ છો તો પછી, તને મુંબઈ જવાનું કેમ મન થાય છે ? તમને અમારી સાથે ન ફાવે તો અલગ રહો.પણ એક માબાપથી તેના દીકરાને વિછુટો ન પાડ.” સાધનાને આવા શબ્દો વજ્ર સમા લાગ્યા. હજુ મ્હેણાં ટોણા મારવાનું ઓછું નહતું થયું. ભરતને પણ સાધના વચ્ચે બોલી તે ન ગમ્યું. તેને પણ સાધના ને વચ્ચે ન બોલવા માટે કહ્યું. સાધનાની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. મુંબઈ જવા ન ઇચ્છતા પણ તે વ્હેમની ઝાળમાં ફસાઈ ગઈ. પપ્પા આટલું બોલીને પોતાના રૂમમાં સુવા જતા રહ્યા. ઘરનું વાતાવરણ કલુષિત થઇ ગયું.(ક્રમશ)