પ્રેમની સાર્થકતા
પ્રેમની સાર્થકતા
પચાસે પહોંચેલો વિમલ ખુબ જ સજ્જન પુરુષ. બસ પોતાની જવાબદારીઓને પ્રભુની પ્રસાદી સમજી તેણે સુપેરે પાર પાડવા મથામણ કરતો ક્યારે પચાસે પહોંચ્યો એ પોતે પણ ન સમજી શક્યો. ૨૧ વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવનાર વિમલ ઉપર માતા અને ભાઈની જવાબદારી. જ્યાં બધું ઠરીઠામ થયું ત્યાં ભાઈનું અકાળ અવસાન. ફરી વિમલની જવાબદારીઓમાં વધારો. આ બધા આઘાતને જીરવવા તથા પોતના પરિવારને ખુશ રાખવા સિવાય જાણે એની પોતાની કોઇ ઈચ્છા - સપનાં કઈ જ ન હતું. અને પોતાનાં મનને શાંત રાખવા તેણે ધ્યાન- યોગનો સહારો લઈ લીધો હતો. બસ પોતાની જવાબદારીઓને કેમ પૂરી કરવી તેની જ મથામણમાં રાત- દિવસ પૂર્ણ થતાં.
પરંતુ પચાસે પહોંચેલા વિમલના જીવનમાં એક સંયોગ બની ગયો. વર્ષોથી સામસામે રહેતાં હોવા છતાં બંનેએ એકબીજાને જોયા નહોતાં એવા એ બંનેની નજર ક્યારે એક થઈ તેની તેમને જ ખબર ન રહી.
એકવાર કોઈક પ્રસંગે સામસામે આવવાનું થયું. ત્યારે અજાણતાં જ શીતલની નજર વિમલ ઉપર પડી અને વિમલ પહેલી જ નજરે ઘાયલ થયો. કોઈની સામે આંખ ઉઠાવીને ન જોનાર વિમલને શીતલની આંખોના કામણનું ચુંબકીય આકર્ષણ જાગ્યું. ધીરે ધીરે તે શીતલ તરફ ખેંચતો ગયો. તેણે સોશિયલ મીડિયા દ્વારા શીતલ સાથે વાતો શરૂ કરી. શીતલ તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો છતાં હિંમત હાર્યા વિના વિમલે પ્રયત્નો કર્યે જ રાખ્યા. ધીરે ધીરે શીતલને પણ વિમલની અચ્છાઈએ એની તરફ ખેંચી જ લીધી.
ધીરે ધીરે બંને ફોનથી વાતો કરવા લાગ્યા. હવે તો બંનેને એકબીજાની એવી આદત પડી ગઈ કે બંનેને એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું જ નહીં. બંને એકબીજાને પોતાની વાતો કરવા લાગ્યા. એકબીજા સાથે પોતાના દુઃખ અને તકલીફો વહેંચવા લાગ્યા. બંને એકબીજાના સર મિત્ર બની ગયા. સમય વીતતાં બંને વચ્ચેનું આ ચુંબકીય આકર્ષણ ક્યારે પ્રેમમાં પરિણમ્યું તે બંને જાણી ન શક્યાં.
વર્ષોના ઋણાનુબંધ બાકી હોય એમ બંને ઉંમરના એવાં પડાવ પર આવીને ઊભા હતા જ્યાં તેમનો આ નિ:સ્વાર્થ પ્રેમ તેમના માટે ઘણી જ મુશ્કેલીઓ પેદા કરી શકે એમ હતો છતાં તેમની વચ્ચેના ચુંબકીય આકર્ષણને કારણે બંને એકબીજાથી અલગ ન જ થઈ શક્યાં.
એકવાર બંને મળ્યા ત્યારે વિમલે વાતની શરૂઆત કરતાં શીતલને કહ્યું, " શીતલ હું તને અનહદ ચાહું છું. પરંતુ મારા માટે મારો પરિવાર મારું સર્વસ્વ છે. હું તને કોઇ સુખ આપી શકું એમ નથી. તો આપણે એકબીજાથી અલગ થઈ જીવીએ એમાં જ આપણી ભલાઈ છે."
શીતલે વિમલની વાતનો સ્વીકાર કરી કહ્યું, " એવું જરૂરી તો નથી ને કે બધાનાં પ્રેમનો અંત સુખદ જ આવે. પ્રેમ તો રાધા - કૃષ્ણનો પણ અધૂરો રહ્યો હતો. છતાં આપણે એમને યાદ કરીએ છીએ. પ્રેમ એટલે પામવું જ નહિ પરંતુ ત્યાગ કરવો એ પણ પ્રેમ જ છે. આજથી આપણે સારા મિત્રો બનીને એકબીજાના પૂરક બની રહેશું. એ જ આપણા પ્રેમની સાર્થકતા છે. "
બંને ખૂબ જ સમજુ હતા તથા પોતાની જવાબદારીઓ તરફ પૂરા સભાન હતાં, તેથી પોતાનાં પ્રેમને પોતાની અંદર જ છૂપાવી બંને સહમતિથી સારા મિત્રો બની રહ્યાં. તેમનો પ્રેમ બંનેને પોતાની જવાબદારીઓ નિભાવવા માટેનું પ્રેરકબળ પુરવાર થયો. તેમનો આ પ્રેમ બંને માટે અમૂલ્ય સંભારણું બની રહ્યો.