ભેદ
ભેદ
આજે નર્મદાબેનના અવસાનને સોળ દિવસ થયા હતાં. પંચોતેર વર્ષની ઉંમરે પણ એમનું જાજરમાન વ્યક્તિત્વ અદ્દભુત હતું. સામાન્ય રીતે એ નર્મદા બાથી જ ઓળખાતા. એમનો દીકરો મયૂર અને મોના પણ એમને પ્રેમ સાથે સન્માન આપતાં. થોડા દિવસો પહેલા નર્મદાબાને મળવા વતનમાંથી બે પડોશીઓ આવેલા. નર્મદાબા પાસેથી વતનની જમીન સસ્તા ભાવે ખરીદવા પણ નર્મદાબાએ ચોખ્ખી ના કહીં.
જતાં જતાં તેઓ મયૂરના મનમાં મયૂરના પિતા બાબતે શંકાના બીજ રોપણ કરતાં ગયા. મયૂરને પણ વર્ષોથી બંધ સંદૂકે આ વાત પર વિશ્વાસ કરવા મજબૂર કર્યો કે પોતે નર્મદાબાનો અને લાભશંકરનો પુત્ર છે કે પછી નર્મદાબાનો... વિચારતાં જ મયૂરને નર્મદાબા પ્રત્યે નફરત અને ખુદ પર ધૃણા થવા લાગી.
આનંદ કિલ્લોલ કરતું કુટુંબ એક જ છત નીચે અપરિચિત થતું ગયું. આઘાતમાં નર્મદાબાને હાર્ટ એટેક આવ્યો અને સ્વધામ સિધાવ્યા. મયૂર અને મોનાએ આજે પટારાનું તાળુ ખોલવાનું વિચાર્યું. ચાવીની શોધ કરી પણ ન મળતાં તાળું તોળવાનું નક્કી કર્યું. તાળુ તોડતા જ એક અજાણ્યા પુરુષનો ફોટો હાથ લાગ્યો એટલે ગુસ્સો વધ્યો. ત્યાં જ નજર એક ડાયરી પર પડી.
ડાયરીમાં લખ્યું હતું, "બેટા, સૌથી પહેલા તો તારી માફી માંગુ છુ કે મે મારી કોઈ ફરજ અદા કરી નથી. મે જેના પર અતુટ વિશ્વાસ મુકી મારુ સર્વશ્વ સોંપ્યુ હતું એને જ તારા પિતા તરીકે નામ આપવાનો ઈન્કાર કર્યો. હું તો આત્મઘાત કરવા ગઈ હતી પણ નર્મદાબહેને નદીએ જોઈ ગયા અને મને અટકાવી. ત્યારે હજુ એમના વૈધ્વયને એકાદ માસ જ થયો હતો. એમના કહેવાથી જ અમે બંને ગામથી ખૂબ દૂર શહેરમાં રહેવા ગયા. ત્યાં તને મે જન્મ આપ્યો. પણ તારી જશોદા તો નર્મદાબેન બન્યા. મે દિલ ઉપર પથ્થર રાખી બોજ સાથે આજીવન વિતાવ્યું. ઈશ્વર નર્મદાબેનને હંમેશા ખુશ રાખે.
લિ. તારી અભાગી મા રેવા"
મયૂરની આંખમાંથી આંસુનો વરસાદ વરસવા લાગ્યો. યાદ આવ્યું કે નર્મદાબા ઘણી વાર કહેતા, "બેટા, તારા માટે નર્મદા કહે કે રેવા એક જ છે." વળી રેવાબાના અવસાન સમયે પણ મને અંતિમ દર્શન માટે પરાણે મોકલ્યો હતો.
મયૂરે પટારામાંથી નિકળેલ ફોટાના કટકે કટકા કરી નાખ્યા અને નર્મદાબાનો ફોટો ખોળામાં રાખી ચોધાર આંસુએ રડવા લાગ્યો અને મોના પણ આંખમાં આંસુ સાથે નર્મદાબાને વંદી રહી.