STORYMIRROR

Kalpesh Patel

Children Stories Classics Inspirational

4.5  

Kalpesh Patel

Children Stories Classics Inspirational

સંગ તેવો રંગ

સંગ તેવો રંગ

4 mins
473

કુરુ શિરોમણી ધૃતરાષ્ટ્રના લશ્કરના હાથીદાળમાં સેંકડો હાથી હતા. તેમાં એક અશ્વસ્થામાં નામનો પાણીદાર હાથી હતો. હાથીઓના તબેલાની દેખભાળ અશ્વસેન નામનો મહાવત રાખતો. અશ્વસ્થામાં હાથી તેનો માનીતો હાથી હતો. તેની ઉપર અપાર પ્રેમને લઈને અન્ય હાથીની સરખામણીએ સારું ભોજન અને ઉત્તમ કોટિના ફળો રોજ નશીબ હતા. પરંતુ અન્ય હાથી ભેગા સામાન્ય તબેલામાં રહેવું તેને ગમતું નહતું. અશ્વસ્થામાં હાથી ખૂબ જ સમજદાર, આજ્ઞાકારી અને દયાળુ હતો. તે કોઈ યોગ્ય મોકાની રાહ જોતો હતો જેથી તે કુરુ શિરોમણી ધૃતરાષ્ટ્રનું દિલ જીતી તેની કૃપા મેળવી શકે. આમ એક દિવસ તેને જોઈતી તક મળી ગઈ. આજે હસ્તિનાપુરની પ્રજાને કુરુ રાજકુમારો, પોતાની શિખેલી કળા કૌશલ્ય, દર્શાવવાના હતા. અને કુરુ શિરોમણી ધૃતરાષ્ટ્ર આજે રાજકુમારોમાં થી કોઈને યુવરાજ ઘોષિત કરવાના હતા.

આ મહત્વના પ્રસંગે અશ્વસેન મહાવતે સવારથીજ અશ્વસ્થામાંને તેલમાલિશ અને શેરડી કેળાના ભોજન કરાવી, હસ્તિનાપુર રાજ્યની રંગ સભાના દરવાજે ઉભો રાખ્યો. ધણા વર્ષો પછી આજે રાજ્યને યુવરાજ મળવાનો હોવાથી રાજ્યના તમામ રહેવાસીઓ ઉત્સાહિત હતા. ચારેબાજુ રાજ્યના લોકો પોત પોતાનો કસબ બતાવતા હતા. કોઈ વણકર કાપડ વણતા હતા તો તો કોઈ રસોઈનો કરતબ, તો કોઈ શસ્ત્રો બનવાનર તેના નવા બનાએલા આયુધની નુમાઈશ કરતો હતો, કોઈ વૈદ તેના ઓશડીયાના ગુણગાન ગાતો હતો. કોઈ મદારી તેના પાળેલા જંગલી સિંહ – દીપડાના ખેલ બતાવતા હતા. બધાનો હેતુ મહારાજ ધૃતરાષ્ટ્રની કૃપા દ્રષ્ટિ મેળવી ઈનામ મેળવવાનો હતો.

રાજાનો રસાલો આવ્યો અને આ બધા કરતબીઓને સોના મહોરો આપતા આપતા રંગસભાના સિંહાસન તરફ જતાં હતા. એવામાં પેલા જંગલી પ્રાણીનો ખેલ બતાવનાર મદારી કસબીની કરડી નજરની પરવા કર્યા વગર તેના પાંજરે પુરાયેલ એક દીપડો છટકી, કૂદયો અને મહારાજ ધૃતરાષ્ટ્રને તેના પંજાથી ઘાયલ કરવાની ઘડીમાં હતો, ત્યાં દરવાજે નિયુક્ત કરેલ અશ્વસ્થામાં હાથીએ તેની લાંબી સૂંઠ હવામી વીંઝી તે દીપડાને દૂર ફાંગોળી દૂર ફેંકી દીધો.

એકાએક બનેલ ઘટનાથી સૌ ભયબીત હતા. સમયસરની અશ્વસ્થામાં હાથીએ બતાવેલી હિમ્મતથી બધા દરબારીઓ અને પ્રજા ખૂબ જ ખુશ થઈ તેનો અને તેના મહાવત અશ્વસેનનો જય જયકાર બોલાવ્યો. મહારાજ ધૃતરાષ્ટ્રે મહાવત અશ્વસેનને પોતાનો કીમતી મોતીનો હાર ઈનામમાં આપી બહુમાન કર્યું. આમ રાજાને પણ અશ્વસ્થામાં હાથી પર ખૂબ ગર્વ થયો.આ બધો ખેલ જોઈ દૂર ઉભેલા ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધને પોતાના પિતા પાસે હઠ પકડી કે, તેને આ અશ્વસ્થામાં હાથી જોઈએ છે અને તે પોતાના આવાસમાં રાખવા માંગે છે. અશ્વસ્થામાં હાથીને જોઈતું મળતું હોવાથી ખુશ હતો. અને તે સૂંઠ ડોલાવી રાજકુમાર દુર્યોધનનું અભિવાદન કરતો હતો.દુર્યોધન પ્રત્યે મહારાજ ને આંધળો પ્રેમ હતો.મહારાજની અનુમતિએ અને દુર્યોધન અને અશ્વસ્થામાં હાથી બંનેનું કામ થઈ ગયું 

મહારાજના હુકમે તાબડતોબ દુર્યોધનના આવાસની બહાર આલીશાન ઝૂંપડી બનાવી લીધી. હવે અશ્વસ્થામાં હાથી,તેને જોઈતું મળેલું હોવાથી ખુશ હતો. તેને મોજ હતી. કામ કાજ કોઈ કરવાનું નહીં અને પૂરા દિવસની સાહબી. કોક વાર રાજકુમાર દુર્યોધન આવી જીવતું રમકડું સમજી રમી જતો રહેતો. નવરો પડેલો અશ્વસ્થામાં હાથી આખો ખાઈપીને દિવસ દુર્યોધન – શકુની – દુસાસન અને કર્ણ, આચાર જાણની ચંડાળ ચોકડીના કાવા દાવાની વાતો સભળતો. અને જુગાર દારૂની મહેફિલ જોતો રહેતો. આ ચંડાળ ચોકડી ચોવીસે કલાક પોતાની ખોટી બહાદુરીની ડંફાસ મારતા અને બીજા દિવસે પાંડવોને કેવી રીતે મૂરખ બનાવી કનડવા તેની યોજના પણ બનાવતા હતા. તેમની વાત સાંભળી અશ્વસ્થામાં હાથીને એવું લાગતું હતું કે, આ ચોકડી બહુ ખતરનાક છે. અશ્વસ્થામાં હાથી, આપણે શું મતલબ ? એવા વિચારે એ લેકોને સાંભળ્યા કરતો હતો.

થોડા મહિનાઓ પછી અશ્વસ્થામાં હાથી પર ચંડાળ ચોકડીની રોજની એકધારી કાવાદાવાની વાતોની ખરાબ અસર થવા લાગી. અશ્વસ્થામાં હાથીને લાગવા માંડ્યું કે, કેવળ પોતાનુજ હિત જોઈ બીજાને ત્રાસઆપવો એ જ ખરું જીવન અને બહાદુરી છે. તેથી અશ્વસ્થામાંએ નક્કી કર્યું કે હવે તે પણ રાજકુમાર દુર્યોધન અને તેના સાથીદારો જેવું વર્તન કરશે. સૌ પ્રથમ, અશ્વસ્થામાં હાથીએ પોતાના મહાવત અશ્વસેન પર હુમલો કર્યો અને મહાવતને પછાડી પછાડીને મારી નાખ્યો.

આટલા સારા હાથીનું આવું કૃત્ય જોઈને મહેલના બધા રખેવાળ નારાજ થઈ ગયા. દિન પ્રતિદિન અશ્વસ્થામાં છટકો બનેલ હોઇ, કોઈના વશમાં રહેતો ન હતો. રાજકુમાર દુર્યોધનના આવાસના રખેવાળ અશ્વસ્થામાં હાથીનું આ રૂપ જોઈને ચિંતિત થઈ ગયા હતા. તેઓએ વિચારને અંતે અશ્વસ્થામાં હાથીને સીધો કરવા માટે એક બીજા કાબેલ મહાવતને દુર્યોધનના મામાના ગામ, ગંધારથી બોલાવ્યો. તે કાબેલ મહાવતને પણ અશ્વસ્થામાં હાથીએ મારીનાખ્યો. આ રીતે વંઠી ગયેલા હાથીએ ત્રણ મહાવતોને વારાફરતી કચડી નાખ્યા.

અશ્વસ્થામાં હાથીના આ વર્તન પાછળનું કારણ શું હતું તે કોઈ સમજી શક્યું નહીં. જ્યારે રખેવાળોએ અશ્વસ્થામાંના કોપને ઠીક કરવા મહામંત્રી વિદૂરજીની સલાહ લીધી. બધાએ વિદૂરજીને શક્ય તેટલી વહેલી તકે કોઈ ઉકેલ સૂજવવા વિનંતી કરી, જેથી તે રાજકુમાર આવાસમાં વધારે ખુવારી અટકાવી શકાય.

વિદૂરજીએ રખેવાળની વાતને ગંભીરતાથી લીધી અને અશ્વસ્થામાં પર કડક દેખરેખ શરૂ કરી. ચતુર વિદુરજીને તરત જ ખબર પડી કે અશ્વસ્થામાં આ પરિવર્તન ચંડાળ ચોકડીના કુસંગને કારણે આવ્યું છે. વિદૂરજી એ પોતાના આવાસમાં અશ્વસ્થામાં હાથી માટે રહેવાની ગોઠવણ કરી. હવે વિદૂરજીને ત્યાં અશ્વસ્થામાંના તબેલાની બહાર દરરોજ સત્સંગનું અને સમાજ કલ્યાણની વાત, દિન દુખિયાના દુખ દૂર કરવાની વાતો થતી સાંભળતો હતો. ધીરે ધીરે અશ્વસ્થામાં હાથીની માનસિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો.હવે તે નવા મહાવત સાથે હળી મળી ગયો હતો.

થોડા દિવસોમાં અશ્વસ્થામાં હાથી પહેલાની જેમ ઉદાર અને દયાળુ બની ગયો. જ્યારે અશ્વસ્થામાંને તેના નવા મહાવત સાથે વિદૂરજીને પોતાની પીઠ પર સવારી કરાવી ડોલતો ડોલતો દરબાર તરફ જતો જોયો, ત્યારે બધા ખૂબ જ પ્રસન્ન થયા અને વિદૂરજીની જય, અશ્વસ્થામાંની જય બોલાવતા લોકોએ સવારી ઉપર બેસુમાર ફૂલ વરસાવી અભિવાદન કર્યું હતું.

વાર્તામાંથી પાઠ : “સંગ તેવો રંગ” સંગતની અસર ખૂબ જ ઝડપી અને ઊંડી હોય છે. તેથી, વ્યક્તિએ હંમેશા સારા લોકોની સંગતમાં રહેવું જોઈએ, બૂરી સંગત થી દૂર રહી દરેક સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.


Rate this content
Log in