મૂલ્યવાન મૂડી..માં
મૂલ્યવાન મૂડી..માં
સવારના દશ વાગ્યાનો સમય હતો.પ્રભાતની કોમળતામાં અમદાવાદનું કાળુપુર રેલવે સ્ટેશન તળાવમાં ડ્રાઉં...ડ્રાઉં...કરતા દેડકાઓની માફક દેકારે ચડ્યું હતું. ઘોંઘાટ તો એટલો બધો કે ટ્રેન છેક નજીક આવીને હોર્ન વગાડે ત્યારે ખબર પડે કે હવે ટ્રેન આવી છે. ભીડ પણ એટલી બધી ખદબદતી હતી કે ક્યાંય આરામથી પગ મૂકવાની જગ્યા ન મળે! ગંદકીનો પણ કંઈ પાર નહી.જાણે મધમાખી ઉછેર કેન્દ્ર ખોલ્યુ હોય એટલી તો માખીઓ.આવી પરિસ્થિતિમાં મગજને જો કાબુમાં ન રાખ્યું હોય તો વડોદરા જવાને બદલે મુંબઈ કે દિલ્હી પહોચી જવાય!
સમય થયો ને પ્લેટફોર્મ પર વડોદરા જવા માટેની ટ્રેન આવી.ટ્રેન સ્થિર થઈ ત્યા સુધીમાં તો ઉતારુઓ એમાં એવી રીતે ગોઠવાઈ ગયા હતા જાણે કોઈ આગળના સ્ટેશનેથી આવ્યા ન હોય! એ વખતે એવું લાગતુ હતું કે ટ્રેન પૂરેપૂરી ઊભી ન રહે તોય ચાલે.
જેમ ચાલતી બસમાં ચડી જવા બદલ અમદાવદીઓને એવોર્ડ આપવો ઘટે એમ વગર ટિકિટે મુસાફરી કરતા ભારતવાસીઓનેય એવોર્ડ આપવો પડે!
દશ વાગીને દશ મિનિટ થઈ હતી.ટ્રેને લીલી ઝંડી લીધી.એનો વેગ ધીમે ધીમે વધતો જતો હતો.છેલ્લાથી પાંચમાં ડબ્બાની છેલ્લી ખાલી સીટ પર આધેડ વયના બે જુવાનીયા બેઠા હતા.દેખાવે લગભગ સરખા લાગતા હતા.અધિકારી જેવો બેયનો રૂઆબ હતો.એકના ચહેરા પર ખુમારીભરી ગજબની પ્રસન્નતા હતી.ને બીજાના વદન પર વિષાદથી ઘેરાયેલી ઉદારતા છવાયેલી હતી.
આણંદનુ સ્ટેશન આવ્યુ ત્યા સુધી બન્ને મૌન હતા.ત્યાથી આગળ વધતા એક જણાએ ચૂપકીદી તોડી. ને સામેખવાળાને પૂછ્યું,'સાહેબ..તમારૂ નામ?'
અતિ જિગ્નાસાથી પૂછાયેલ સવાલનો એટલા જ ઉમળકાથી જવાબ મળ્યો.મારૂ નામ અનુપમ શર્મા.અને સાહેબ તમારૂ?
'મારૂ નામ છે અન્ના અત્તરવાલા.'કહેંતાની સાથે જ એમણે પોતાના સરનામાંવાળું કાર્ડ અનુપમના હાથમાં સોંપ્યું.
વડોદરા જાણે ક્યાંક જતું રહેવાનું હોય એમ એને પકડવા ટ્રેન પાટો ચૂકી ન જવાય એમ સાચવીને પૂરપાટ ઝડપે દોડી રહી હતી.ક્યાંક આંખો વાતો કરી રહી હતી.ક્યાક નયનો આરામ ફરમાવી રહ્યા હતા.તો વળી ક્યાંક દૂર...દૂ....ર છતાંય નજીક લાગતી હરિયાળીને માણી રહી હતી.
પેલા બેય સાહેબની આંખો ક્યાંય વિરહી રહી હતી પણ અધરો વાતે વળગી રહ્યા હતાં.
'વડોદરામાં કોઈને મળવા જાઓ છો?'અન્ના સાહેબે સવાલ કર્યો.
'જી,હા.ત્યા મારી મોટી ફેકટરી ચાલે છે તેની ટુંકી મુલાકાતે જઈ રહ્યો છું.કડીમાં મારું જીનનું કારખાનું ચાલે છે.અમદાવાદમાં મારા નામે બે ટ્રસ્ટ ચાલે છે.અને એક મોટા મંદિરનો હું ટ્રસ્ટીની સાથે મોટો દાતા પણ છું.આ બધાના કારણે સમય ન મળતાં દરેક જગ્યાએ થોડો થોડો સમય આપું છું.'આ બધાથી જાણે પોતે સારાય સ્વર્ગનું આધિપત્ય ભોગવતા હોય એમ શર્માજી બોલી ગયા.
આપ જબરી માયા છો હો! અન્નાજીએ પાણી ચડાવ્યું.
'સાહેબ,માયા મેળવવા તો આ આંખોમાંથી ચારેય મહાસાગરોના પાણી વહાવી ચૂક્યો છું.અને આકાશ-પાતાળ એક કરીને અા સઘળું પામી શક્યો છું. પણ હા,તમે શું કરો છો એ તો જણાવો.કેટલી પ્રોપર્ટી છે તમારા નામે?
અન્ના અત્તરવાલાએ હળવો ખોખારો ખાધો.પછી ધીમા સ્વરે કહેવા માંડ્યું, 'શર્માજી,મારી મૂડી તો તમારા આગળ કંઈ નથી.છતાંય સાભળો:'મારી મૂડીમાં મારા ત્રણ સંસ્કારી બાળકો છે.એક શુશીલ અને ગુણીયલ પત્ની છે.તેમજ હરક્ષણે પૂજનીય એવા વહાલા માવતર છે.આ બધાને બે ટંકનું ભોજન મળી રહે એટલા સારું થઈને વડોદરામાં બહું નાનું નહી તેમજ બહું મોટું નહી એવું એક નાનું દવાખાનું ચલાવીને હસીન જીંદગી ગુજારું છું.
અન્ના સાહેબની સાવ હળવાશભરી વાત સાંભળીને શર્માજીનો ચહેરો જરાક વ્યથિત થઈ ગયો.
એવામાં શર્માજીના ફોનની ઘંટડી રણકી.ફોન પરની વાત સાંભળીને એમની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.ને ઊંડો નિશાશો નાખ્યો.
'કંઈક માઠા સમાચાર લાગે છે,શર્માજી!'એમના ખભા પર હાથ મૂક્યો.શર્માજીની આંખો વધારે વરસી.આંસું લૂછતા અન્નાજીએ આશ્વાસન આપવા માંડ્યું.થોડીવારે સ્વસ્થતા વળતા અન્નાજીએ પૂછ્યું: 'કેમ આમ રડો છો સાહેબ? શું થયું?'
આંસું લુછતા શર્માજી બોલ્યા:'જીવનની છેલ્લી પળોમાં માતાજીએ વૃધ્ધાશ્રમમાં દેહ છોડ્યો!!'
'વૃદ્ધાશ્રમ!'શબ્દ કાને પડતાં જ અત્તરવાલાના અંતરમાંથી અરેરાટી છૂટી ગઈ! એમનું દુખી હૈયું બબડ્યું, 'અરરર!આટલો મોટો દાનવીર થઈને તે માતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી ?હાય..હાય!! ધિક્કાર છે તમને કે તમે જગતની મૂલ્યવાન અને દુર્લભ એવી માતૃસંપતિને જીવતેજીવ ઠેબે ચડાવી દીધી? સાલા ઢોંગીડા,તને તો આશ્વાસ પણ નહોતું આપવું જોઈતું!'
ઘડીકવાર બંનેના વદન પર મૌનનું સામ્રાજ્ય છવાઈ ગયું.બેયના મનમાં વિરોધી ગડમથલો ચાલવા માંડી.
વડોદરું આઘેથી ઓરું આવી રહ્યું હતું.સૌ મુસાફરોની આંખો પ્રગાઢ આરામ ફરમાવી રહી હતી.માત્ર પેલા બે જણની આંખો વારેઘડીએ ઉઘાડબંધ થતી જતી હતી.
'માતા'અને 'વૃદ્ધાશ્રમ'બે શબ્દોથી ભારે કુઠરાઘાત પામેલ અન્નાજીનું દિલ ચીરાઈ જતું હતું.શર્માજીની માતાના દુખદ અવસાનના વાવડ સુણીને સૂકાઈ ગયેલ હોઠ પર જીભ ફેરવતા અત્તરવાલાએ કહેવા માંડ્યું,'અરરરર!તમારું જીવતર બેકાર ગયું શર્માજી! કે તમે જીવતેજીવ સગી જનનીને વૃદ્ધાશ્રમમાંથી પરબારી યમલોક પહોંચાડી દીધી? ફેક્ટરી માલિક,મીલ માલિક ને વળી,મોટા ગજાના દાનવીર!મારી સામે આવી બધી બડાશ મારતા તમને શરમ પણ ન આવી? શું કહેવું મારે તમને?મને શબ્દો નથી જડતાં. છતાંય સાંભળો:'આપણા પુરાણોએ અને શાસ્ત્રોએ તથા આપણા સાહિત્યકારોની કલમે હંમેશા માતાને સ્વર્ગતુલ્ય માની છે.વળી એ "માં"ને જગતનું મહાતીર્થ કહ્યું છે,પરંતું એ જ મહાતીર્થસમી 'માં' ઘડપણમાં પુત્રતીર્થને ઝંખતી વૃદ્ધાશ્રમમાં જ મૃત્યુંને ભેટે છે એ આપણા માનવસમાજની આપણી મોટામાં મોટી કરુણ કરુણા છે.માવતરને વૃદ્ધાશ્રમમાં મુકીને પછી મંદિરમાં,તીર્થોમાં કે ટ્રસ્ટોમાં કરેલું કરોડોનું દાન એ દાન નથી પણ ગધેડાના પગમાં રગદોળાતી ધૂળ છે ધૂળ!'બોલતા બોલતા અન્નાજીની આંખેથી અશ્રુધારા વહી આવી.
લગભગ એક કલાકથી દોડતી ટ્રેનને મળવા વડોદરા દોડતું એની સામે આવી રહ્યું હતું.
