લાગે છે સમય થઈ ગયો
લાગે છે સમય થઈ ગયો
જન્મ અને મૃત્યુ વચ્ચે ના સમયગાળા ને જીવન કહેવાય છે. આ બંને ઘટના ઈશ્વરાધીન છે તે સુવિદિત છે. મૃત્યુ એ જ અફર સત્ય છે. ગણેલા શ્વાસ માણસ જીવે છે તેમ શાણા માણસોનું માનવું છે. અર્વાચીન યુગમાં તબીબી ક્ષેત્રે હરણફાળ વિકાસ થયો છે નિતનવા યંત્રો એ રોગ તેના ઈલાજોનો અભ્યાસ કરી મૃત્યુદર ઘટાડી શકાય તે વાત પુરવાર કરેલ છે. શતાયુ ભવના આશીષ ફળીભૂત થતા જોવા મળે છે તેથી જ ડોક્ટરને દેવદૂત માનવામાં આવે છે.જગતમાં નિપુર્ણતા કૌશલ્યનું હોવું તે ખરે જ સન્માનનીય બાબત છે પણ શું આ બંને સદગુણો સાથે માનવીય હૃદય હોવું એટલું જ આવશ્યક નથી?
સુમનરાય વૃદ્ધ જરૂર ઉમરથી હતા પરંતુ સશક્ત હતા. માનસિક રીતે પણ જીવનજંગ ઝીલી શકે તેવા લોખંડી કહેવામાં અતિશયોક્તિ નથી. એક સાંજે થાકોડો અનુભવ્યો સહેજ ગભરામણ કળાવા લાગી સ્વજનો એ હોસ્પિટલમાં દાખલ કર્યા. એ પણ મોટા ગજાની હોસ્પિટલ. ચાલો કહેવાતા દર્દીની લેફ્ટ રાઈટ શરૂ. અનેક પ્રકારના ટેસ્ટ લેવાયા.
નોર્મલ આવે ત્યારે કૈક મોટો રોગ હોય તેવું ડોક્ટર સમુદાય માની લઇ સાવધાની માટે તરેહ તરેહનાં ઉપાય કરે. સારા માટે જ છે ને ! થાક્યા, સુમનરાય મનથી. પેલી હાથમાં ઠોકેલી સોયોથી. દીકરી ખબર પૂછવા ગઈ, "પપ્પા કેમ છે? શું જણાય છે? "પપ્પાએ આંસુ સાથે કહ્યું, “આ હાથ છોડી દો ને બહુ વાગે છે.” દીકરીએ દૂર છતાં, "ઓન ડ્યૂટી " નર્સને કહ્યું, “પપ્પાનાં હાથ ખોલી નાખોને જરા અકળાયા છે તેમને કંઈક લખવું છે. "ઈમરજેંસી વોર્ડમાં મનાઈ છે અને હાલો બહાર જાઓ ટાઈમ પૂરો. બાપા જવાની ઉમરનાં છે, આટલી શું કચકચ અવાજ કરો છો અમારે શું જમવાનું નહિ હોય?” બાવીસેક વર્ષની છોકરીને શું મમતા હોય કોઈનાં પપ્પાની ! પણ તેની ભાષા તેના ઘરનાં સંસ્કારનો અરીસો હતો. ઓછા બીમાર એવા મારા પપ્પા વધુ બીમાર થયા તૂટી ગયા નિર્બળ થઇ અંતે અવસાન પામ્યા. નિયતિ કે સારવારનું દુર્લક્ષ !
કહેનારા આશ્વાસન આપે, “મૃત્યુને નિમિત્ત જોઈએ.” “ના લાગે છે બેદરકારી નામના રોગથીય સ્વજનનો વિયોગ થાય છે.” પપ્પાના આખરી શબ્દો રોજ રડાવે છે, “લાગે છે ઉપર જવાનો સમય આવી ગયો. હસતો હસાવતો માણસ પ્રયોગશાળા બની જતો રહ્યો.”
તે “દિન આંસુભીનાં રે હરિ ના લોચનિયાં મેં દીઠા..” “હવે બાપા માટે શું આટલો ખર્ચ ! જવાદો શાંતિથી હોસ્પિટલની દવાઓ વપરાય છે.” “અરે ! પેલો જીવ જાય છે ને તમને દવા જે પૈસા દઈને લઈએ છીએ તેની પરવા છે?” આ સેવાભાવ કે વ્યાપાર? કે કલયુગનાં એંધાણ? દરરોજ પડઘાયા કરે છે. “લાગે છે ઉપર જવાનો ટાઈમ આવી ગયો..” વાણી જો સંયમિત હોય તોય જીવનશક્તિ પૂરતી મળી રહે. પરંતુ જો અને તો વચ્ચે ત્રણસો તેત્રીસ મનનો પથ્થર છે. સ્વીકારવું જ રહ્યું, “મૃત્યુ મરી ગયું રે લોલ..”