સ્વભાવનો પ્રભાવ
સ્વભાવનો પ્રભાવ
એક ગાઢ વનમાં સિંહ અને સિંહણનું જોડું રહેતું હતું. સિંહણને બે નાનકડાં બચ્ચાં હતાં. સિંહણ તેમને સાચવવા ગુફામાં જ રહેતી.
એક દિવસ સિંહને કોઈ જ શિકાર મળ્યો નહિ, પણ શિયાળનું નાનકડું બચ્ચું મળ્યું. સિંહ બચ્ચાંને જીવતું જ સિંહણ પાસે લઈ આવ્યો. સિંહણને શિયાળના બચ્ચાં પર દયા આવી. તે પોતાનાં બે બચ્ચાં સાથે આને ત્રીજું બચ્ચું માની ઉછેરવા લાગી.
એક દિવસ ત્રણેય બચ્ચાંએ એક હાથીને આવતો જોયો. હાથીને જોતાં જ સિંહનાં બે બચ્ચાં ગર્જના કરતાં સામે થયાં. પણ શિયાળનું બચ્ચું ડરીને ગુફા તરફ ભાગ્યું. સિંહનાં બચ્ચાંએ શિયાળના બચ્ચાંની હાંસી ઉડાવતાં સિંહણને કહ્યું, “મા, આ મોટાભાઈ કેવા ડરપોક ! શું હાથીને જોતાં જ ડરીને ભાગી આવ્યા !”
સિંહણ સમજી ગઈ કે આખરે આ શિયાળનું બચ્ચું ! જે દિવસે પોતાનાં બચ્ચાંને ખબર પડશે કે આ પોતાનો જાતભાઈ નથી, તે દિવસે તેને મારી નાંખશે. આથી સિંહણે શિયાળના બચ્ચાને એકાંતમાં બોલાવીને કહ્યું, “ બેટા, રૂપમાં અને વિધામાં તું ભલે ગમે તેટલો પૂરો હોય, પરંતુ જે કુળમાં તારો જન્મ થયો છે ત્યાં હાથીને મારી શકાતા નથી. તું એક શિયાળનું બચ્યું છે. મારા પુત્રો આ વાત જાણે એ પહેલાં તું અહીંથી ચૂપચાપ ભાગી જા; નહિ તો આ બંનેનાં હાથે તું માર્યો જઈશ !”
સિંહણના આવા શબ્દો સાંભળતાં જ શિયાળનું બચ્ચું ડરીને ત્યાંથી ભાગ્યું અને શિયાળની વસ્તીમાં ભળી ગયું !