શ્રધ્ધા
શ્રધ્ધા
રામુડોશી સવારના પહોરમાં ગામના પાદરે પહોંચ્યા, સામે કૃષ્ણભગવાન નું મંદિર દેખાયું, અને રામુડોશી રડવા લાગ્યા. રડતા રડતા મંદિર તરફ દોટ્ મૂકી. હે..કૃષ્ણ... હે..કૃષ્ણ... કરતા કરતા તે મંદિર પાસે પહોંચ્યા, અને રડતા રડતા મંદિર માં દાખલ થયા ને સીધા જ ભગવાન ના પગની પાસે પોતાનું શીશ નમાવીને ખૂબ જ રડવા લાગ્યા.
("રામુડોશી ને દિકરો કે દિકરી ના હોવાથી તે દરરોજ આ કૃષ્ણ ભગવાનના મંદિરે જઈને રડતા, અને પ્રભુ પાસે પ્રાર્થના કરતા. રામુડોશી તેના ઘરમાં એકલા જ હતા. તેના પતિનો લગ્નના ૨ માસ બાદ સ્વર્ગવાસ થયેલો. ત્યારથી રામુ ડોશી એકલા પોતાનું જીવન ગુજારતા. સંપતી ખૂબ હતી પરંતુ તેને કંઈ સંતાન ના હતુ.")
રામુડોશી મંદિરેથી પાછા ફરતા હતા અને અચાનક જ તેની નજર એક વૃક્ષ ની નીચે પડેલા ટોપલા પર પડી. રામુડોશી તેની નજીક ગયા, ત્યાં તો રામુડોશી ના હરખનો પાર ના રહ્યો. ટોપલા માં એક સુંદર બાળક રમતુ હતુ. રામુ ડોશી તે બાળકને પોતાની ઘેર લઈ આવ્યા. બાળકને દૂધ પીવડાવે. બાળકને મંદિરે દર્શન માટે લઈ જાય આવી રીતે રામુડોશી બાળકને ખૂબ સાચવતા. રામુડોશી એ તેનું નામ "પ્રભુ" રાખ્યુ. પ્રભુ નાનો પણ ખૂબ સમજદાર અને દયાવાન સ્વભાવનો હતો. રામુડોશી સાથે પ્રભુના દિલના સંબંધ બંધાયા.
આમ કરતા કરતા રામુડોશીએ પ્રભુ ને ખૂબ ભણાવ્યો. ભણતા ભણતા પ્રભુ ગામના લોકોના દુ:ખમાં ભાગીદાર બનતો. આ જોઈ રામુડોશીને મનોમન ખૂબજ આનંદ થતો. અને આમને આમ પ્રભુનો અભ્યાસ પૂર્ણ થયો. અંતે પ્રભુને નોકરી માટે બીજા શહેર જવાનું થયું. રામુડોશી પ્રભુને ભેટીને બોલ્યા. "બેટા! બીજાના દુઃખમાં ભાગીદાર બનજે". અને પ્રભુને વિદાય આપી. પ્રભુ શહેરમાં સૌ ગરીબોની મદદમાં પોતાનો પગાર વાપરતો. ગરીબો પ્રભુને ખુદ ઈશ્ર્વરનો અવતાર માનતા.
એક દિવસ પ્રભુને રામુ ડોશીનો ફોન આવ્યો, ચાલુ ફોન ની વાતે રામુડોશીનું અવસાન થયું. પ્રભુ ત્યાં જ ફોન પર રડવા લાગ્યો. તે પોતાના ગામડે રામુડોશીની અંતિમવિધિ કરવા આવ્યો. અંતિમવિધિ જેવી પૂર્ણ થઈ ને! પ્રભુ એ પણ પોતાનો દેહ ત્યાગ કર્યો. ગામ વાળાએ પ્રભુની અંતિમવિધિ પૂર્ણ કરી. સૌ ખૂબજ વિલાપ કરતા હતા. ત્યાં લવાદાદા આવ્યા ને કહ્યુ કે, "આ તો રામુડોશી ને ત્યાં તેના દુ:ખ દૂર કરવા પ્રભુ પોતે જ આવેલા હતા." સૌએ લવાદાદા ની વાત સ્વીકારી અને શાંત થયા. સૌએ હરે કૃષ્ણ.. હરે કૃષ્ણ.. ની ધુન ગાઈ.