MANTHAN THAKKAR

Others

2  

MANTHAN THAKKAR

Others

મા તુજે સલામ

મા તુજે સલામ

7 mins
300


મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

આ લાઈન એટલે કે દામોદર બોટાદકર ની આ કવિતા છઠા ધોરણ માં ગુજરાતી માં ૧૩ મી આવતી હતી ત્યારે ફક્ત માર્ક્સ લાવવા જ આ કવિતા ગોખતા યાદ પણ નહોતી રહેતી અને મન માં થતું કે શું કવિ છે બોસ? આટલી મોટી કવિતા કઈ રીતે લખી શકે પણ આજે ખબર પડી કે માં શબ્દ જ એવો છે કે એમાં કવિતા તો શું આખા ગ્રંથ લખીયે તો પણ ઓછા પડે. કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાને આટલી મોટી સૃષ્ટિ બનાવી અને પછી એ મૂંઝાયા કે હવે દરેક જગ્યાએ કઈ રીતે જવું એટલે એમણે માં નું સર્જન કર્યું. માં એટલે ભગવાન નું એ સર્જન કે જેના ઋણ માંથી એ પોતે પણ નથી છૂટી શક્યા. હું કોઈ પ્રોફેશનલ રાઇટર નથી કે કવિ પણ નથી કવિ અને લેખકો તો કલ્પના ના સમુદ્ર થી મોટી કાઢે છે પણ આજે મધર્સ ડે નિમિતે કોઈ ને પણ કહો તો એ લખી જાણે. ધરતી નો છેડો એટલે ઘર પણ આ ઘર ત્યારે જ કહેવાય જયારે આ ઘર માં એક માં હોય , માં એટલે ઈશ્વર ના પૂતળા સમાન નહિ પણ સાક્ષાત ઈશ્વર જ જેનું સર્જન જ અજ્ઞાત પ્રેમ અને બલિદાન માટે થયું હોય. કોઈ પણ સ્ત્રી જયારે માં બને ત્યારે ખરા અર્થ માં એ એક દેવી બને છે. નવ મહિના પોતે જયારે વેદના સહે અને હસતા મોઢે પોતાના બાળક ને જન્મ આપે ત્યારથી લઇ ને આ જીવન પોતે એના આ બાળક પાછળ ઘસી નાખે છે અને એ પણ કોઈ વળતર વગર. માં શબ્દ એવો છે કે જે છે ફક્ત એક જ પણ એમાં આખો કક્કો પણ નબળો પડે.કદાચ ઈશ્વર પણ જાણે છે કે માં એક જ એવો શબ્દ છે જેનું નામ લેતા જ ઘણા દુઃખો ખતમ થઇ જાય અને એટલે જ કદાચ એણે એવું કર્યું કે જયારે બાળક બોલતું થાય ત્યારે પ્રથમ શબ્દ માં બોલે. માં એટલે પોતાના બાળક માટે સર્વસ્વ ત્યાગ કરી દે અને તો પણ હસે. બાળક જયારે પણ બોલતું થાય ત્યાર થી લઇ બાળક એક એક પા પા પગલી ભરે ત્યાં સુધી પોતાની ખુશીઓ માં વધારો કરે. જયારે પ્રથમ વખત બાલમંદિર માં જાય ત્યારે બાળક રોતું હોય પણ એને સમજાવે અને પોતાના આંસુ ને પોતાના દિલ માં જ છુપાવી લે અને સાંજે જયારે લેવા જાય ત્યારે બાહો માં લઇને ચુંબન કરે અને બાળક ને દિલ થી લગાવી લે , પછી બાળક મોટું થાય ત્યારે એના કરતા પહેલા જાગે , બાળક સુવે પછી સુવે , એને ભાવતું જમાડે અને આવા તો કેટલાય બલિદાન આપે , માં એક ગુરુ ,એક શિક્ષક , એક દોસ્ત ,ના જાણે કેટલાય કિરદાર નિભાવી જાય છે. બાળક જયારે બોર્ડ ની પરીક્ષા આપે ત્યારે પોતે પણ બોર્ડ ની પરીક્ષા આપે પોતાના બાળક ના સુખે ખુશ થાય અને એની તકલીફ માં દુઃખી થાય , પોતે ભૂખી રહીને પણ પોતાના બાળક ને જમાડે , જો બાળક કદાચ ઓછું રિઝલ્ટ લાવે તો મન થી તૂટી જાય પણ પોતે બાળક ને હિંમત આપે અને જો ફર્સ્ટ આવે તો આખા ગામ માં એ ખુશીઓ ને પહોંચાડે. પ્રેમ એટલે બે દિલ નું મિલન પણ ના પ્રેમ એટલે બલિદાન , સમર્પણ કદાચ દુનિયા માં સૌથી મોટો પ્રેમ એ માનો જ છે.

 કવિ તુષાર શુક્લની ૨ પંક્તિ યાદ આવે છે

ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું

તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું

કોઈને કેમ સમજાવું આ?

દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ

અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ

ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’

આ ૨ પંક્તિ જોવો તો ઘણું બધું કહી જાય છે. એક માં માટે પોતાનું બાળક એ સર્વસ્વ હોય છે બાળક લખો ભૂલો કરે પણ તેમ છતાં હસતા મોઢે એ ભૂલો ને માફ કરી જાણે તો એ નિ:સ્વાર્થ હૈયું એ માં નું જ હોય છે. હિંદુ માં જયારે લગ્નગ્રંથી થી જોડાય ત્યારે આપણે સાત જન્મ જોડે રહેવાનું વચન આપતા હોઈએ છીએ પણ મારે પ્રભુ પાસે યુગો સુધી મારી માં સાથે રહેવાનું વચન જોઈએ છે કેમકે માં એક જ છે જેનું ઋણ ચૂકવવા માટે જન્મો ના જન્મ પણ ઘટે છે ભલે આપણે કહેતા હોય કે ઘટે તો જિંદગી ઘટે પણ વ્હાલા માં ની મમતા અને એ નિસ્વાર્થ પ્રેમ ના ઘટે પણ એ ઋણ ચૂકવવા માટે આપણા જન્મો ઘટે. આજે લોકો મધર્સ ડે ઉજવે છે પણ મારા માટે તો એ મમતા અને લાગણી ના ધોધ માટે રોજ મધર્સ ડે જ હોય છે મારી આ જિંદગી માં મેં ઘણા ખોટા કામ કર્યા હશે ને પાપ પણ કદાચ ભગવાન મને માફ નહિ કરે પણ મારી આ માં એ મને હંમેશા માફ કર્યો અને એનો નિરંતર પ્રેમ આપ્યો છે આવા નિસ્વાર્થ પ્રેમ માટે હું એનો અને ભગવાન નો પણ આભારી છું અને એટલે જ યુગો ના યુગો સુધી આ જ માં મળે. પોતાની જાત અને પોતાના સપના ને મારા ભવિષ્ય ખાતર મારી નાખ્યા અને મને ટોચ પર પહોંચાડ્યો, એક કલાકાર,એક દિગ્દર્શક તરીકે મારી તમામ સફળતાઓ નો શ્રેય માં ને જ જાય છે. આજે પણ યાદ છે એ દિવસ જયારે ફર્સ્ટ ટાઈમ હું સાઇકલથી પડ્યો ત્યારે મને વાગ્યું નહોતું પણ બીક લાગી અને હું રડ્યો હતો અને આ જોઈને એ પોતે પણ રડી હતી પણ બહારથી એ મને હિમ્મત આપતી હતી અને પોતે સ્વસ્થ છે એમ કહેતી હતી પણ કદાચ આ નાટક એ વખતે હું નહોતો સમજ્યો આવી ઘણી વાતો એણે મારા થી છુપાવી હશે પણ આજે જયારે હું એક સફળ વ્યક્તિ તરીકે જોવું મારી જાત ને તો એમાં મને મારી માં દેખાય છે કેમકે આજે મારી સફળતાઓ ને જોઈ ને એ એના બધા દુઃખ ને ભૂલી ને હશે છે એની ખુશીઓ છલક્યા કરે છે એ મારી સાથે આખી દુનિયા જોઈ શકે છે.બાળપણ માં રાજા હરિશ્ચંદ્ર ની વાર્તા સંભળાવી અને જીવન માં ક્યારેય ખોટું ના કરવાની સલાહ આપી, ધ્રુવ, શ્રવણ, ભક્ત પ્રહલાદ જેવી ધાર્મિક વાર્તાઓ સંભળાઈ અને જીવન માં સંસ્કારો નું સિંચન કર્યું. હીરા માણેક અને મોંઘા મોંઘા જવેરાતો પણ ખૂટી જાય પણ જે સંસ્કાર અને લાગણી ની વાડ બનાઈ એ તૂટવા દીધી જયારે પણ નિરાશ થયો ત્યારે મારી સાથે હંમેશા ઉભી રહી, મને કઈ થાય તો પોતે ચિંતા માં દિવસો અને રાતો એક કરી. મારી ખુશીઓ માટે પોતાની ખુશીઓ ને પણ બાજુ એ મૂકી દીધી. ભાષા ના તો બંધન હોય પણ બાળક ના બોલે અને મન માં જ સમજી જાય એના માટે તો માં નું જ દિલ હોવું જોઈએ. મૂક મનુષ્ય પણ ઈશારા કરી ને પોતાની વાત કરે છે જયારે માં એક જ એવી વ્યક્તિ છે જે બોલ્યા વગર જ સમજી જાય છે.

બાળક બીમાર પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ વસ્તુ લેવા જીદ કરે ત્યારે મા બધા કામ પડતા મૂકીને ચિંતાતુર બની જતી હોય છે. બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ નહિ હોય.માં નું માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.જો માં ની આંગળી પકડી ને ઉભા હોય અને આપણે ગમે એટલા મોટા કેમ ના હોય પણ સામે કોઈ મુસીબત આવે તો કોઈ જ ડર ના હોય કેમકે આપણી આંગળી એ સાક્ષાત ભગવાન, ત્યાગ ની દેવી એ પકડેલ છે જે પોતે બધી જ મુસીબતો લઇ લેશે પણ આપણા પર કોઈ આંચ નહિ આવા દે કદાચ એટલે જ આપણી ગુજરાતી ભાષા માં કહ્યું છે કે માં તે માં બીજા બધા વગડાના વા. માં પર તો ગુજરાતી માં કે અન્ય ભાષાઓ માં ઘણી કહેવત છે પણ એક બહુ જાણીતી કહેવત કે એક માં સો શિક્ષક ની ગરજ સારે કારણકે શાળાઓ માં જે વાત કે જે શિક્ષણ ના મળે ને એ માં પાસે થી મળે અને આનું ઉદાહરણ આપણા દેશ માં છે જ ઘણા મહાન વ્યક્તિઓ જે કદી નિશાળ ના ગયા હોય પણ માં ના પ્રેમ અને કેળવણી ની શાળા એ બધું શીખ્યા હોય સાથે સાથે આખા વિશ્વ માં એમનું નામ કર્યું હોય.

માં નું ઋણ લેવા તો ભગવાન પણ વારંવાર જન્મ લે છે શાસ્ત્રો માં પણ લખેલ છે કે માતૃછાયા નું અમૃત મેળવવા અને ફરી એ ખોળા માં રમવા , ફરી માતૃપ્રેમ મેળવવા , સંસાર ની માયાજાળ માંથી પળ ભર માટે આરામ મેળવવા વિષ્ણુ ભગવાન આ સૃષ્ટિ નો તારણહાર પણ વારંવાર જન્મ લે છે

માં માટે તો લખું એટલું ઓછું પડે પણ કદાચ આનાથી વધારે હવે હું નહિ લખી શકું મારુ દિલ વધારે વખત નહિ રહી શકે એ લાગણી ના સ્ત્રોત માટે ગમે એટલું કરીયે એ ઓંછું જ છે પણ એ શક્તિ માટે સંસ્કૃત નો આ શ્લોક લખી ને એને વંદન કરું છું.

या देवी सर्वभूतेषु मातृ-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥


Rate this content
Log in

More gujarati story from MANTHAN THAKKAR