પાડોશી રાજા
પાડોશી રાજા
એક સમય એક દેશના રાજાએ બીજા દેશના રાજાને પત્ર લખ્યો કે, ‘અસ્લનો કમ અસ્લ, કામ અસલનો અસ્લ, ગાદી કા ગધા, અને બજાર કા કુત્તા. એ ચાર વસ્તુ શોધીને અમને મોકલી આપો. નહીતર અમારી સાથે લડાઈ કરવી પડશે.’ આ પત્ર વાંચીને રાજા ચિંતામાં પડી ગયો. કેમ કે પત્રમાં લખેલી વસ્તુ ક્યાંથી મળે. અને જો આ વસ્તુઓ નહિ મળે તો લડાઈ કરવી પડશે. અને લાખો સૈનિકોના જીવ જશે.
રાજા આમ વિચાર કરતાં ચિંતાગ્રસ્ત બેઠા હતા. એટલામાં જ રાજાનો સૌથી હોંશિયાર મંત્રી બીરબલ આવ્યો. તેણે બાદશાહને સલામ કરી અને કહ્યું, ‘મહારાજ આપ એવા તો કેવા વિચારમાં પડી ગયા છો, કે આપણો ચહેરો સાવ નિસ્તેજ બની ગયો છે. એવું તે કયું સંકટ આવી પડ્યું છે ? એવો તે કયો બળવાન દુશ્મન આપણી પર ચડી આવ્યો છે. અને તેવું કંઈ હોય તો જણાવો. તો આપણે તેનો ઉપાય કરીએ.’ મંત્રીની વાત સંભાળીને રાજાને થોડી હિંમત આવી.
બાદશાહ અકબરે તરત જ રાજાનો પત્ર બીરબલને બતાવ્યો, અને કહ્યું,’ બીરબલ હવે તમે જ કહો. આ ચાર ચીજો ક્યાંથી લાવીને આપવી?’ આ સાંભળી બિરબલે પત્ર વાંચ્યો. પછી સહેજ હસતા હસતા બાદશાહને કહ્યું, ‘મહારાજ આપ નિશ્ચિંત રહો. આ વસ્તુઓ માટે આપને કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. આપ રોહ્સેન રાજા પાસેથી એક વરસની મુદત માંગી લો. એક વરસમાં હું આ ચારેય વસ્તુ લાવી આપીશ.’ આ સાંભળી બાદશાહને નિરાંત થઈ. તેમણે રોહ્સેન રાજાને પત્ર લખી એક વરસની મુદત માંગી લીધી. હવે બીરબલ આ ચારેય વસ્તુઓ ભેગી કરવાના ઉપાય વિચારવા લાગ્યો.
સમય પાણીના રેલા જેવો છે તેણે વહેતા વાર ન લાગે. બીરબલે પોતાની યુક્તિ પ્રમાણે બદશાહને કહ્યું કે આ કામ માટે એક લાખ સોનામ્હોરની જરૂર પડશે. બાદશાહે રાજના ખજાનામાંથી બીરબલને એક લાખ સોનામહોર અપાવી દીધી. બીરબલે તે સોનામહોર પોતાના દીકરાને આપી. અને જે રાજા એ પત્ર લખ્યો હતો તેજ રાજાના નગરમાં જઈને ત્યાં આવેલા રમણિક બજારની મધ્યમાં એક આલીશાન મહેલ ભાડે રાખીને શરાફી પેઢીનો ધંધો કરવા માટે મોકલી દીધો.
હકીકતમાં તો બીરબલનો પુત્ર બીરબલના કહેવા પ્રમાણે રોહસેનના રાજ્યમાં રહીને તે રાજ્યની ખામીઓ જ શોધતો હતો. અને એક કાગળમાં નોંધાતો હતો. આમ કરતાં કરતાં એક વરસ પૂરું થયું. બિરબલનો પુત્ર પોતાના પિતા બીરબલ પાસે પાછો આવ્યો. અને રોહસેનના રાજ્યમાં રહીને એક વરસ સુધી ભેગી કરેલી એ રાજ્યના મૂર્ખ લોકોની યાદી અને રાજ્યની ખામીઓની યાદી બીરબલને આપી. બિરબલે તેણે શાબાશી આપી.
પછી બીરબલ એ બધું લઈને અકબરના દરબારમાં ગયો અને કહ્યું. કે ‘મહારાજ આપ રાજા રોહ્સેનને પત્ર લખીને બોલાવો, કે તમારી વસ્તુઓ તૈયાર છે. પત્ર મળતા રાજા રોહસેન પોતે અકબરના દરબારમાં આવ્યા. તેમણે બીરબલ પાસે પોતાની માંગેલી વસ્તુ માંગી. તો બીરબલે રોહસેન રાજાના રાજ્યની ખામીઓ લખેલો આખો ચોપડો એમના હાથમાં આપ્યો. એ બધું વાંચીને રાજા રોહસેન લાચાર પડયા. પોતે રાજા હોવા છતાં પોતાના રાજ્યની આ બધી ખામીઓ વિષે જાણતા ન હતા. તેમણે બીરબલનો અભાર માન્યો. અને પોતાની ચાર વસ્તુઓ લાવી આપવાની જિદ પાછી ખેંચી લીધી. અને પોતાના રાજ્યમાં પાછા ચાલ્યા ગયા.
બુધ્ધિ આગળ બળ પાણી ભરે.