નટુભાઇ અને વાંદરાભાઈ
નટુભાઇ અને વાંદરાભાઈ
કનકપુર નામનું એક ગામ હતું.એ ગામમાં નટુભાઇ નામે એક વેપારી રહેતા હતા. જે કેળાંનો ધંધો કરતાં હતા બાજુના શહેરમાંથી કેળાંની લૂમો લાવીને ગામમાં વેચતાં. એક પીપળાના ઝાડનીચે પોતાની નાની દુકાનમાં કેળાં વેચતાં. નટુભાઇ બુધ્ધિશાળી અને કાબેલ હતાં. એક એક પાઈનો હિસાબ રાખતાં.
આ પીપળાના ઝાડ ઉપર એક વાંદરાભાઈ રહેવા આવ્યા. આખો દિવસ હુપા હુપ કરી તોફાન મસ્તી કર્યા કરતો નટુભાઇ પોતાના કેળાંની લૂમો લાવી દુકાન આગળ દોરી બાંધી લટકાવી રાખતાં જેને જોઈ ને લોકો કેળાંની ખરીદી કરવાં આવતાં હતાં.
એક દિવસ આ વાંદરાભાઈ એ આ દોરી ખેંચી કેળાંની લૂમમાંથી એક કેળું કાઢી ખાઈ લીધું. આમ ને આમ વાંદરાભાઈ એ ચાર કેળાં ખાઈ લીધા. તેમને તો મજા પડી ગઈ. સાંજે દુકાન બંધ કરી નટુભાઈ ઘરે ગયાં. રાત્રે દુકાનનો હિસાબ કર્યો તો તેમાં ચાર કેળાંનો હિસાબ મળતો નહોતો. વારંવાર હિસાબ કિતાબ કરતાં, તેમ છતાં હિસાબ મળતો નહોતો.
બીજા દિવસે પણ આવું જ બન્યુ. નક્કી કોઈ કેળાંની ચોરી કરતું હશે. એટલે આ વખતે દુકાન ખોલતાં પહેલા નટુભાઇ એ ચારેબાજુ, ઉપરનીચે બધે બરાબર જોઈ લીધું. ત્યાં ઝાડ ઉપર તેમણે એક વાંદરાભાઈને બેઠેલા જોયા. આ વાંદરાભાઈએ જ મારાં કેળાં ખાધાં છે. એટલે આ વાંદરાભાઈને પકડવા એક યુક્તિ કરી. નટુભાઇ એ કેળાંની એક લૂમ એવી રીતે બાંધી કે જેવી વાંદરાભાઈ તે દોરી ખેંચે કે તરતનીચે રાખેલી જાળીમાં ફસાઈ જાય. નટુભાઇ એ બધું બરાબર ગોઠવી રાખ્યુ ને જેવા વાંદરાભાઈએ કેળાં લેવાં દોરી ખેંચી કે તરતનીચે રાખેલી જાળી માં ફસાઈ ગયા. વાંદરાભાઈએ જાળીમાંથી બહારનીકળવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બધું નકામું સાબિત થયું.
છેવટે વાંદરાભાઈએ થાકીને, હારીને નટુભાઇને વિનંતી કરી કે હવેથી હું કયારેય ચોરી કરીને નહીં ખાઉં. વાંદરાભાઈની આજીજી સાંભળી નટુભાઇ એ તેને જાળીમાંથી બહાર કાઢયો.આ દિવસથી વાંદરાભાઈ અને નટુભાઇ મિત્રો બની ગયા. હવેથી રોજ સવારે નટુભાઇ વાંદરાભાઈ ને કેળાં ખવડાવતાં ને વાંદરાભાઈ રાજી રાજી થઈ ઝાડ ઉપર જતાં રહેતાં.