અધ્યાત્મ ઉત્થાનની સીડી
અધ્યાત્મ ઉત્થાનની સીડી
સીડી એટલે જેના પગથિયા પર એક પછી એક પગ મૂકી ઉપર જવાય. તેનો અર્થ ઉત્થાન થાય. સીડી સડસડાટ પણ ચઢાય અને એક એક પગથિયા દ્વારા ઉપર જવાય. જે ખૂબ ઝડપથી ચડે તે થાકી જાય. જે આરામથી ચડે તેને થાક ન લાગે ઉપર આવ્યાનો આનંદ પ્રાપ્ત થાય. મારા જેવી વ્યક્તિ એ ઓછી ઉંચાઈને કારણે દિવસમાં દસ વાર તેનો ઉપયોગ કરવો પડે. જીવનમાં ઉત્થાનનો સમય આવે ત્યારે અધ્યાત્મ’ની સીડી જેવો કોઈ માર્ગ નથી. જીવન એટલે શું ? ખાધું પીધું ને મઝા કરી ! હા, એ પણ એક સમયે કર્યું. જ્યારે માનવી જીવનના એવા તબક્કામાં પ્રવેશે જ્યાં તેને લાગે હવે આત્માનું કલ્યાણ, માનવ જીવનની સાર્થકતાનો સમય આવી ગયો છે. જવાબદારીનું વળગણ હવે છૂટ્યું છે. ત્યારે તેના જિવનમાં શું અગત્યનું છે તેનું ચિત્ર સ્પષ્ટ અંકાય છે.
અધ્યાત્મ વાડાવાદમાં કેદ ન થઈ શકે. તે કોઈ વર્ણ યા જાતિથી અલિપ્ત છે. તત્વજ્ઞાનને ખોટાં વાઘા પહેરાવી સામાન્ય પ્રજા સમક્ષ વ્યક્ત કરી અવળે રસ્તે આધ્યાત્મ દ્વારા દોરવાનું દુષ્કૃત્ય જ્યારે પોતાને જ્ઞાની માનતા પંડિતો કરે છે ત્યારે દયાજનક પરિસ્થિતિ સમાજમાં રચાય છે. ગેરમાર્ગે સામાન્ય પ્રજા આસાનીથી ફંટાય છે. તેમનામાં માત્ર અનુકરણની ઈંદ્રિય ખૂબ સતેજ હોય છે.અધ્યાત્મ ક્યારે અસરકારક થાય જ્યારે તેનું પ્રસરણ કરનારના જિવનમાં તે પ્રવેશેલું હોય. 'પરોપદેશે પાંડિત્ય' જેવું આચરણ વ્યક્તિને અસર કરવામાં નાકામયાબ નિવડે છે.
અધ્યાત્મ વિષેના મોટાં મોટાં ભાષણો સાંભળી કદાચ ટુંક સમય માટે અસર થાય. તે કાયમ ન ટકી શકે. જેને સાદી ભાષામાં સ્મશાન વૈરાગ્ય કહેવાય છે. સગાં યા સંબંધીને મંજિલ પર પહોંચાડી ઘરે પાછાં વળતા, જીવનમાં શું રાખ્યું છે. શામાટે કાળા ધોળા કરવા? શું કામ જુઠ્ઠું બોલવું? આવા બધા પ્રશ્નો ઉદભવે. થોડા દિવસ વૈરાગ્ય ટકે. વળી પાછાં હતા એના એ! કદી સાંભળ્યું છે કૂતરાની પૂંછડી ભંયમાં દાટે સીધી થાય?
જો કે અધ્યાત્મને ત્યાં સુધી ઠેલવાની આવશ્યકતા નથી. એ તો સંસ્કાર દ્વારા બીજ રૂપે દરેક માનવીની ભિતરમાં આકાર લઈ રહ્યું હોય છે. મીઠું મધુરું બાલપણ, સુઘડ શાળાનું જીવન, સંયમી યુવાની અને સુખી સાંસારિક જીવન પછી જ્યારે સમયની અનુકૂળતાએ જીવનમાં ઉત્થાન. તેનો અર્થ એમ નહીં કે બાળકો યા સંસારિક જવાબદારીમાંથી છૂટકારો. ત્યાં વિવેક બુદ્ધિ વાપરી સક્રિય ફાળો આપવો આવશ્યક છે. માત્ર આસક્તિનો અભાવ હોવો જરૂરી છે. અધ્યાત્મ કદી એવું નથી કહેતું કે તમારો ભાગ ન ભજવો ! સમાજમાં, કુટુંબમાં જ્યાં પણ તમારી જરૂરિયાત જણાય ત્યાં પાછી પાની ન કરવી.અધ્યાત્મના નામે સદાચાર, વિવેક અને સદવર્તનને ન વિસરવા!
આધ્યાત્મિક ઉત્થાન માત્ર પુસ્તકિયું જ્ઞાન બની સિમિત હોય તેનો કશો અર્થ ન સરે. યાદ હશે, 'પોથી પઢી પઢી જગ મુઆ,પંડિત હુઆ ન કોય ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સોં પંડિત હોય.'
આધ્યાત્મ જીવન સાથે વણાઈ જવું જોઈએ. દિલમાં પ્રેમની ગંગાનું અવતરણ. સહુને માટે સમાન દૃષ્ટી. કોઈ માટે દ્વેષની ભાવના નહીં. મારા તારાનો ત્યાગ. ઉદાર દિલ. અપેક્ષા રહિત આચરણ. આમ તો સાવ સહેલું છે! અધ્યાતમની સીડીના બે પાયદાનની વચ્ચેની જગ્યા પર સ્વાર્થની જાજમ બિ્છાવેલી જણાશે. જેના પર પગ પડતાં ભલ ભલા જોગીઓ પણ રાહથી વિચલિત થયા છે. આધ્યાત્મ ઉત્થાનની સીડી ત્યારે બને જે અવળચંડાઈથી અળગી હોય.અધ્યાત્મનો માર્ગ સત્યની ખોજ માટે છે. બાહ્યાડંબર ઘણીવાર વિપરિત દિશા તરફ તાણી જાય. સાચી દિશા તરફનું પ્રયાણ સતત તે તેનું મુખ્ય લક્ષણ છે.
‘ભગવદ ગીતા’નું અધ્યયન એ અધ્યાત્મની સીડીના પાયામાં જણાશે. ‘ભગવદ ગીતા’ ૫૦૦૦ વર્ષ પહેલાં રચાઈ હતી એમ કહેવાય છે. આજના આધુનિક યુગમાં તેમાંથી સઘળાં પ્રશ્નોનું નિરાકરણ આસાનીથી પ્રાપ્ત થાય છે. ગીતામાં તેના ચાર માર્ગ બતાવ્યા છે. કર્મયોગ, જ્ઞાનયોગ, રાજયોગ અને ભક્તિયોગ. મનગમતો માર્ગ પસંદ કરવાની દરેકને સ્વતંત્રતા છે.
જો જ્ઞાનયોગના પથ દ્વારા ઉત્થાન કરવું હોય તો પગથિયા, શ્રવણ, મનન, નિદિધ્યાસન, જ્ઞાન, જિવન મુક્તિ, સિદ્ધ સ્થિતિ અને મોક્ષ. આ માર્ગ કઠિન છે.
શ્રદ્ધાવાનલભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ
જ્ઞાનં લબ્ધવા પરાં શાન્તિં અચિરેણાધિગચ્છતિ
‘જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ઈન્દ્રિયો પર સંયમ ધારી જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પરમ શાંતિને પામે છે.
રાજયોગના પગથિયા છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ માર્ગ પર ચાલનારનું જીવન એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે.
પ્રશાંતમનસં હ્યોનં યોગિનં સુખમુત્તમમ
ઉપૈતિ શાન્તરજસમ બ્રહ્મભૂતંકલ્મષમ
'એ યોગી પરમ શાંતિ પામે છે જેનું મન ખૂબ શાંત છે. જે સંયમને વરેલો છે. જે પાપાચરણ રહિત અને બ્રહ્મનમાં એકાકાર થઈ ગયો છે.'
ભક્તિયોગ દ્વારા ઉત્થાનના પગથિયા. આસુરી, દૈવ, પ્રેમ, ભક્તિ, સગુણ સાક્ષાત્કાર, નિર્ગુણ સમાધિ અને મોક્ષ. આ માર્ગ ખુબ સરળ અને સહજ છે. દિલની પાવનતાને તેની સાથે ગાઢ સંબંધ દેખાય છે.
અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ
યઃ પ્રયાતિસ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ
મૃત્યુ સમયે શરીરના ત્યાગ વખતે જે માત્ર મને યાદ કરે છે તે મને પામે છે તેમાં શંકાને સ્થાન નથી.
કર્મયોગ દ્વારા પણ ઉત્થાન સરળ બને છે. તે તમસ, રજસ, સત્વ, ગુણાતીતને પસાર કરી મોક્ષ પામે છે. કર્મમાર્ગ એ એવો રસ્તો છે જેના પર ચાલનાર ઉંધુ ઘાલીને ચાલે છે. કર્મને ફરજ માને છે. એ માર્ગ પર ચાલનાર કદી પાછું વળી જોતો નથી !
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુર્ભૂમા તેસંગસ્ત્વકર્મણિઃ
તારું કર્મ કરે જા, કદી ફળની આશા ન રાખવી. માત્ર ફળને માટે કાર્યન કરવું તથા અકર્મી પણ ન બનવું !
આમ આ ચાર રસ્તામાંથી કોઈ પણ માર્ગ પર ચાલવાથી અધ્યાત્મની દિશા સાંપડશે. જે જીવનને એવા ઉન્નત સ્થળે લઈ જવા શક્તિમાન છે જ્યાં માનવી ખરેખર પહોંચીને જીવન સાર્થક કરવા શક્તિમાન બને છે.
જનકરાજા રાજા હોવા છતાં વિદેહી ગણાય છે. અષ્ટાવક્ર ભલભલા પંડિતોને હરાવવા શક્તિમાન બને છે. તેમની સિડીને કેટલા પગથિયા હશે? અરે પહેલે પગથિયે પગ મૂકીને આચરણ તથા વિચાર દ્વારા ગંતવ્ય સ્થળની પ્રાપ્તિ આસાન બને છે.આજની આધુનિકતાની ૨૧મી સદીમાં કદાપી કોઈ મહારાજાઓની વાતમાં આવી તેમનો હાથ ઝાલી આધ્યાત્મિકતાની સીડી ચડવાનું પાપ ન આદરશો. ગુરુની સાથે નરકના ભાગિદાર બનશો! આપણા દેશમાં પહેલા “રાજાઓ’ હતા. હવે “મહારાજો’ ( કહેવાતા ધર્મ ગુરૂઓ ) અસ્તિત્વમાં આવ્યા છે.
બને તો ‘ગીતાને’ ગુરૂ સ્થાને સ્થાપવી! તેના ઉપર પ્રવચનો ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. હવે તો સી.ડી., યા ડી.વી.ડીનો યુગ છે. ટીવી ઉપર સંસ્કાર ચેનલ સારા કાર્યક્રમો દર્શાવે છે. તેમાં ચાંચ ડુબે પછી મહાન લેખકોના વિવેચનો વાંચવા. બને તેટલું સાદુ અને સરળ ભાષાનું વાંચન હશે તો દિમાગમાં બરાબર બેસશે. બાકી બહુ પંડિતની ભાષા તો સમજતા, ધોળે દિવસે તારા દેખાશે.
અધ્યાત્મ જેટલી સરળ ભાષામાં પ્રજા સમક્ષ મૂકવામાં આવશે તેટલું જીવનમાં તેનું ઉતરણ સહેલાઈ પૂર્વક થશે. વિષય ગંભિર છે. આજે અમેરિકામાં બાળકોને આ રીતનું સમજાવવું ખૂબ મુશ્કેલ છે. નામુમકીન નથી. મારી પૌત્રી મને પૂછે ,’દાદી તું કેમ મીટ નથી ખાતી’? હવે તેને અંહિસા પર મોટું મસ ભાષણ આપવાને બદલે સાદી ભાષામાં સમજાવવાનું વિચાર્યું.
ગાય અને મરઘીના બે ફોટા બતાવ્યા. ગાયની બાજુમાં વાછરડું તેને પ્રેમ કરતું બેઠું હતું. મરઘી તેના નાના નાના બચ્ચાં સાથે હતી અને બે બચ્ચાં ઈંડામાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. અડધું ઈંડુ ફૂટેલું હતું. મારી દીકરી બંને ચિત્ર જોઈને ખુશ થઈ ગઈ. "દાદીમા, આતો એવું લાગે છે જાણે મારી મમ્મી નાનકી બહેનને દુધ પિવડાવતી હોય યા ડાઈપર બદલતી હોય!" બાળક હંમેશાં તેની મર્યાદામાં રહીને વિચારે એ આપણા બધાનો અનુભવ કહે છે.
બીજું ચિત્ર બતાવ્યું જેમાં ગાયનું માથું ધડથી જુદું હતું. મરઘીની ડોક મરડાયેલી હતી. "દાદી, આ કેમ આમ છે?"
"બેટા, ગાય કતલખાનામાં છે. તેને મારી નાખી."
"કેમ?"
"આપણને સહુને બીફ બહુ ભાવે છે."
"દાદી આવી રીતે બીફ નીકળે?"
"હા, બેટા."
"હવે, આ જો આ મરઘીની ડોક મરડી. તેમાંથી બનતું ચિકન કેટલું સ્વાદિષ્ટ છે."
"દાદી, આ બધું મને કેમ બતાવ્યું. મારું મન ખૂબ દુઃખી થયું."
"બેટા, તે મને સવાલ કર્યો હતો, દાદી તું મિટ કે નૉન વેજ કેમ ખાતી નથી?"
"ઓ મારી વહાલી દાદી, સારું કર્યું તે મને આ રીતે સમજાવી. તને લાગે છે હવે હું નૉન વેજ ખાઈ શકીશ?"
"બેટુ, મારા કહેવાથી નહીં તારા અંતરાત્માને પૂછીને નિર્ણય લેજે!"
બસ ત્યારથી તેણે નૉન વેજ ખાવાનું છોડ્યું. આમ કોઈને પણ અધ્યાત્મના માર્ગે વળવું હોય યા વાળવા હોય તો સાદી, સહજ અને સરળ વાત શીરાની જેમ ગળે ઉતારવી રહી. પછી તે નાનું બાળક હોય, જુવાન હોય કે આધેડ. બળજબરી યા જબરદસ્તી કામમાં ન આવે.
ઉત્થાન માટેની ભૂખ ઉઘડવી આવશ્યક છે. જ્યારે તે પળ આવશે ત્યારે આપોઆપ વલણ અને વાંચન સુરૂચી પૂર્વકના થશે. આપણે સંસારી જીવ, ભર્યું કુટુંબ હોય તે સહુની અવગણના ન કરી શકીએ. તેમને પ્રેમ આપવો અને પામવો એ આપણો ધર્મ છે.
અધ્યાત્મ કદી એવી ખોટી સલાહ ન આપે કે સંસાર પ્રત્યે ઉદાસિન બનો. હા, તેમાં રચ્યા પચ્યા રહો. 'જલ કમલ વત' રહી સ્વનું ઉત્થાન કરવું. સંસાર અસાર છે તે જગ જાણિતી વાત છે. એ અસાર સંસરમાં રહી જિંદગીનો સાર પામવાનો છે. અધ્યાત્મના પથ પર એક પછી એક ડગ ભરી સંચરીએ. સત્યને પંથે ધપીએ. જીવનને ઉચ્ચ કક્ષાએ દોરી જનાર માર્ગ, એ 'અધ્યાત્મની સીડી'ના પગથિયે બસ પગ મૂકી પ્રવાસનો શુભ આરંભ જારી રાખી ઉત્થાન પામીએ!