કુંવારા મનનો માણીગર...
કુંવારા મનનો માણીગર...
એક કાવ્ય- મનીષા જોષી
હું મોટે ભાગે રસ્તા પરનાં મકાનોમા રહી છું
અડધી રાત્રે આવતા જતા વાહનોનો અવાજ
મેં સાંભળ્યા છે
શહેરો બદલાયાં એમ એ ટ્રાફીકનો લય પણ બદલાયો.
ઘણી વાર રાત્રીના બીજા-ત્રીજા પ્રહરમાં
કવેળા ઊંઘ ઊડી જાય ત્યારે, હું જોયા કરું
રસ્તા પર દોડ્યે જતી એ રંગ બેરંગી ગાડીઓને
એમાં બેઠેલા લોકોના ચહેરાઓમાં મને રસ નથી
કે ન તો એમની મુસાફરીના કારણોમાં
મને માત્ર ગમે છે,
મારી બારીમાંથીદેખાતા રસ્તાનાં એ એટલાક ભાગમાં
સડસડાટ પ્રવેશતી અને ઓઝલ થઈ જતી ગાડીઓને જોવાનું.
પણ, ગઈ કાલે રાત્રે થયું એવું કે,
હું તો ભર ઊંઘમાં સુતી હતી.
ત્યાં રસ્તા પર પૂરપાટ દોડતી એક મોટર ગાડી
મારા શરીર પર ફરી વળી
કોઈ કારણ નહીં, કશુ જ નહીં
મારા રુમ અને રસ્તા વચ્ચેની દીવાલ જાણે કે તૂટી પડી
રાત ભર હું પડી રહી રસ્તા વચ્ચે.
અને એક પછી એક રંગબેરંગી મોટરો
મારા શરીર પરથી માર્ગ કરતી રહી.
મને હજીયે ખબર નથી,
એ મુસાફરો કોણ હતા અને ક્યાં જતા હતા.
“સંધી”માં આ કાવ્ય વાંચ્યું. બીજી વાર વાંચ્યુ અને કાવ્યની પૂખ્તતા અને કથાનક સમજાયું… જિંદગીમાં ઘણા મુસાફરો આવે અને જતા રહે અને ખબર પણ ન પડે કે તેઓ શું કામ આવ્યા અને કેમ જતા રહ્યા… આગાઉ હેમંત પૂણેકર ના કાવ્ય “પત્તાનાં મહેલ” ઉપરથી મને એક લઘુકથા સ્ફુરેલી લગભગ તેજ અવસ્થામાં અત્યારે છું અને સર્જાય છે લઘુકથાઃ
કુંવારા મનનો માણીગર...
આમ્રપાલી આમ તો નગરવધુ જ હતી. પણ તેને એક તરસ હતી કોઈક તો એના હ્રદયને ચાહનારું અને સમજનારું ક્યારેક તો મળશે. સોળમાં વર્ષે કોયલનાં ટહૂકાથી તેને પીયુ સાંભરતો. તેના હ્રદયમાં પોતાના સાથીની ખેવનાઓ કોળતી જતી હતી. તેના સ્વપ્નાનો સાથીદાર ક્યારેક 'રાજકુમાર' ચિત્રપટનો નાયક હતો તો ક્યારિક 'આરાધના' ચિત્રપટનો નાયક્.
શાળાના વાર્ષિકોત્સવો અને નવરાત્રીના મેળાઓમાં તેના મનના માણીગરને શોધતું કુંવારું મન સુરેશ, રાજેશ, કેયુર અને આકાશની વચ્ચે ભટકાયા કરતું.
વર્ષો વીતતા ગયા અને તે દરેક્ના દેહની તરસ શમાવતા શમાવતા તે ક્યારે શાંતા માસીના ચક્કરમાં આવી ગઈ તે તેને સમજાયું નહીં. વર્ષો વીતતા ગયા માસીઓ અને ગામો બદલાતા ગયાં.
રાત ભર હું પડી રહી રસ્તા વચ્ચે.
અને એક પછી એક રંગબેરંગી મોટરો,
મારા શરીર પરથી માર્ગ કરતી રહી.
પણ ક્યાં ખોવાયો છે મારા કુંવારા મનનો માણીગર..