Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

એક તેતરને કારણે

એક તેતરને કારણે

13 mins
644


રશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાએાએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટયા, તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા.

સોળે કળાએ શેભતો તેજસ્વી નર નીકળ્યો, તે સેાળંકી કહેવાયો. ચારે ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ ( ચૌહાણ ) કહેવાયો. કુંડમાંથી નીકળતાં નીકળતાં પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડયું; એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા.

આખરે અગ્નિના ભડકામાંથી 'માર ! માર !'ની ત્રાડ દેતો જે બહાર આવ્યો, આવીને 'પર' કહેતાં રાક્ષસને જેણે સંહાર્યો, તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિતોડ ઉપર એના વંશની આણ વર્તાતી ગઈ. ચિતોડગઢનાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. 

એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઊતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરને નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું, ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ : રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજુ કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા; નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા: રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા; રૈયતની સાથેસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ –

અંગ પોરસ, રસણે અમૃત, ભુજ પરચો રજભાર,

સોઢા વણ સૂઝે નહિ, હોય નવડ દાતાર.

સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.

બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠાં હતાં. મા જોમબાઈને ચાર દીકરા હતા: આખેાજી, આસેાજી, લખધીરજી ને મૂંજોજી મા અને દીકરા ગોડી પારસનાથજીનાં મોટાં ભક્ત હતાં.

સંવત ૧૪૭૪ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડયાં. બે હજાર સોઢાઓ પોતાનાં ઢોર લઈ ને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે ? માટે આખોજી બોલ્યા : “ભાઈ લખધીર ! તું ને મૂંજોજી સાથે જાઓ, હું ને આસો અાંહી રહીશું.” લખધીરજી ને મૂંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા, ત્યારે મા જોમબાઈ બોલ્યાં : “બાપ, આપણી વસ્તીને પરદેશમાં મા કયાંથી મળશે ? માટે હુંય સાથે ચાલીશ.”

માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાનાં ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા.

પણ લખધીરજીને તો નીમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથનાં દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડયું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે, દેવનાં દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો, તેમ તેમ પીલુ પહોંચવામાં મોડું થવા માંડયું. એક પહોર, બે પહોર, ચાર પહોર, ને પછી તે બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા : ' બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતાં જ તને ગાયનું એક ઘણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદશે, તો તને એક પ્રતિમા જડશે એ પ્રતિમાનાં દર્શન કરી રોજ જમજે, રથમાં પધરાવીને સાથે લઈ જજે, ને જ્યાં રથ ઊભો રહી જાય, ચસકે નહિ, ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે.'

બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી, ને મૂર્તિ જડી. એ માંડવ-રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખેાળામાં લઈને બેઠાં અને સોનાના થાળ સરખી પાંચાળ-ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા.

ચાલતાં ચાલતાં એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર, એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો, પણ પૈડાં ચસકયાં નહિ. નાડાં બાંધી-બાંધીને રથ તાણ્યો, પણ નાડાં તૂટી ગયાં. લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીટી, પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું : “હે ઠાકર ! તે દિવસ સ્વપ્નામાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું. પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે ? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું.”

એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો, ત્યાં તે આરસપા'ણની ભેાં હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડયા, નાનાં ઝૂંપડાં ઊભાં કરી દીધાં, અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરાં, ઘેટાં ને ઊંટ, બધાં પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતાં ગજવતાં લહેરથી ચરવા લાગ્યાં. જે નેરામાં રથ થંભી ગયેા હતો તે અત્યારે પણ 'નાડાતેાડિયું' નામથી એાળખાય છે.

પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય ? પરમારનો દીકરો – અને વળી પ્રભુનો સેવક – લખધીરજી તપાસ કરવા માંડયા. ખબર પડી કે વઢવાણના રાજા વીસળદેવ વાઘેલાનો મુલક છે. નાના ભાઈ મૂંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વીસળદેવ ચોપાટ રમે છે, ત્યાં જઈને પરમારે ઘેાડીએથી ઊતરી, 

ઘેાડીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી, બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામરામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવભીની બે મોટી આંખો, અને હજુ તે ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી “માર ! માર!” કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો : જોતાં તે એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમારપુત્ર વીસળદેવજીના હૈયામાં વસી ગયેા. મહેમાન કયાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે, એવું પૂછયા વિના પાધરે રાજાએ સવાલ કર્યો :

“ ચેાપાટે રમશો ?”

“ જેવી મરજી.”

“ ઘેાડી બાંધી દ્યો.”

“ ના, રાજ ! ઘેાડી મારી હેવાઈ છે. બીજે નહિ બંધાય. એક તરણુંયે મોંમાં નહિ લ્યે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે.”

હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસૂરી માંડીને હણહણાટી દીધી. વીસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો; અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વીસળદેવ મોહ પામી ગયા.

સાંજ પડી એટલે વીસળદેવે એળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી : “દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું રજા આપો તો માલ ચારીએ.”

વીસળદેવ બોલ્યા : “ એ ભેાં તો ઉજજડ પડી છે : તમે પચાવી પડયા હોત તોપણ બની શકત, પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોપું છું. સુખેથી ગામ બાંધો. પણ ઊભા રહો, એક શરત છે. રોજરોજ આંહી ચોપાટ રમવા આવવું પડશે.” 

લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી, રાંગ વાળી, પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો : “વાહ રજપૂત ! કાંઈ વંકો રજપૂત છે ! રાજપૂતી આંટો લઈ ગઈ છે !”

ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લેાહી ભર્યું હતું.. પેટમાં પાપ ઊગ્યું હતું.

એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મૂંજાજીએ એને વાત કહી : “ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈ ને હસ્યા !”

ચતુર લખધીરજીએ વાત રોળીટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મૂંજાજીને માથે ભાર છે : તે વગર પ્રતિમા હસે નહિ.

“ માડી ! સાંભળ્યું કે ?”

“શું છે, છોડી ?”

“ આ એાલ્યા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચેાપાટે રમવા આવે છે, એની ખબર છે ને ?”

“હા, એ રેાયો આવે છે ત્યારથી દરબારે એારડે આવવાનુંય એાછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથડ સોઢાએ. ”

“મા, તમે તે બહુ ભોળાં છો. સાચી વાત કહું ? એ રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બે'ન છે. મારા બાપુને વિવા કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે, ને રોજ આંહી ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય-આવે છે.”

ઠાકાર વીસળદેવનાં ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વીસળ 

દેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાએાએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી.

રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ શોક્ય આવશે. એનાં રૂંવાડાં સડસડ બળવા લાગ્યાં. એનું પિયર સાયલે હતું. પિયરિયાં ચભાડ જાતનાં રજપૂત હતાં. પોતાના ભાઈભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂફાડી ઊઠી : “મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છે. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ આંહીંથી નીકળી જશે. માટે મારા ભાઈએા હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાચા વીંખી નાખે, અને મારી-મારીને પાછા પારકરને રસ્તેા પકડાવો.”

જંગલ તેતર ઊડિયો, આવ્યો રાજદુવાર,

ચભાડ સહુ ઘોડે ચડયા, બાંધી ઊભા બાર.

“તેતર ઘવાણો, બરાબર ઘવાણો !” તીરંદાજોએ ચાસકા કર્યા. 'કિયો ! કિયો ! કિયો !' એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઊડી શકતું નથી. પગ સાબૂત છે તેથી દોટાદોટ કરવા લાગ્યું. વનનાં બીજા પક્ષીએાએ કળેળાટ મચાવી મૂકયો.

“હા, હવે ધ્યાન રાખજો, ભાઈઓ ! જોજો. તેતર બીજે જાય નહિ. હાંકો આ પરમારેાના ઉચાળામાં, કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે.”

એમ બોલતાં એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ 

ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંકયો.

ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો, અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાતપૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજઠની નીચે લપાઈ ગયો. મા જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા ને આંહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુજાપની માળા પડતી મૂકીને એમણે બાજઠ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહીતરબોળ પંખીને. હૈયાસરસું ચાંપીને પંપાળવા માંડયું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. મા તેતરને પંપાળતાં પંપાળતાં કહેવા લાગ્યાં કે : “બી મા, મારા બાપ ! હવે આંહીં મારે હૈયે ચડયા પછી તને બીક કોની છે ? થરથર મા હવે, આ તો રજપૂતાણીને ખોળો છે, મારા બચ્ચા !”

ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી. ચભાડોનાં ઘેાડાં હમચી ખૂંદતાં હતાં અને ચભાડો ચાસકેચાસકા કરતા હતા : “આંહીં ગયો. એલા, અમારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચાળા ?”

સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા : “ કોણ છો તમે સહુ, માડુ ? આટલા બધા રીડિયા શીદ કરો છો ? આંહીં બચરવાળેાના ઉચાળા છે. એટલું તો ધ્યાન રાખો, ભાઈઓ !”

“અમારો ચોર કાઢી આપો જલદી. ચેારી ઉપર શિરજોરી કરો મા.” ચભાડોએ તોછડાઈ માંડી.

“કોણ તમારો ચેાર ?”

“અમારો શિકાર : જખમી તેતર.”

સોઢાએામાં હસાહસ ચાલી : “વાહ ! રંગ તમને ! 

એક તેતર સારુ આટલી બહાદુરી ?”

ત્યાં તો ઝાંપે જોમબાઈ દેખાણાં, ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછયું : “શું છે, બાપ?”

“ઈ જ ! ઈ જ અમારો ચોર ! ઈ જ તેતર ! લાવો પાછો.”

“તેતર પાછો અપાય કાંઈ ? એ તો મારો શરણાગત ઠર્યો, ભાઈ ! વળી એ તો મારા ઠાકરના બાજઠ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય ?"

શરણ ગયો સોંપે નહિ, રજપૂતાંરી રીત,

મરે તેાય મેલે નહિ, ખત્રી હોય ખચીત,

“ અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો, બચ્ચાઓ ! ”

“ હા, અમે ચભાડો છીએ.”

“ત્યારે હું તમને શું શીખવું ? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે, એટલુંય શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું, બાપ ?”

ચભાડો કોપ્યા : “હવે એ બધી વાત મૂકીને ઝટ અમારો ચોર સોંપી દ્યો.”

“ભાઈ ! તમે ઘર ભૂલ્યા.” કહીને મા જોમબાઈએ તેતરને છાતીએ દાબ્યો, તેતરના માથા પર હાથ પંપાળ્યો.

“તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. આંહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડાં લાગશો.”

જોમબાઈએ કહ્યું : “શીદ ઠાલા ઝેર વાવો છો ? અમને પરદેશીઓને શા સારુ સંતાપો છો ? કહો તો મારાં ઘેટાં આપું, ગાય-ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી ?”

ચભાડોને તે કજિયો જોઈતો હતો. બહાનું જડી ગયું. સમશેરે ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મૂંજાજીને પડકાર્યો.

મૂંજાને માતા કહે, સુણ સોઢાના શામ,

દળમાં બળ દાખો હવે, કરે ભલેરાં કામ.

મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર,'

ગર્વ ભર્યા ગુર્જરધણી, આપે નહિ અણવાર

બેટા, એક ચકલ્યું છે, તોપણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે મર્યામાર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પારકરા પરમારની રજપૂતી જોતા જાય.

“વાહ મારી જનની !” કહી મૂંજોજી તેગ લઈને ઊઠયો : “ હું તો પરમારને પેટ ધાવ્યો છું ના !”

મા જુએ છે ને બેટે ઝૂઝે છે : એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચભાડેાનાં તીરભાલાં વરસ્યાં, પરમારોની ખાંગેાએ ખપ્પર ભર્યા, અને દિવસ આથમતે તો –

પડ્યા, ચભાડહ પાંચસેં, સોઢા વીસું સાત,

એક તેતરને કારણે અળ રાખી અખિયાત.

પાંચસે ચભાડો કપાઈ ગયા, સાત વીસું (૧૪૦) સોઢા કામ આવ્યા, એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજ્જત આબાદ રાખી.

લખધીરજી તો તે વખતે વીસળદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વીસળદેવને રાણીએ બેાલાવી લીધા; કહ્યું : “હવે આંહીં બેસો.”

“ પણ મહેમાન એકલા બેઠા છે.”

“મહેમાનને એકલા નહિ રાખું, હમણાં એના ભાઈયુંની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ.”

“ રાણી, શું આ બેાલો છો ?”

“ ઠીક બેાલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે, કાં ?”

“ તમે આ શી વાત કરો છો ?”

“હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે !”

વીસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે : “ ભાઈ, જલદી ભાગ, તારે માથે આફત છે, ફરી આંહીં આવીશ મા !”

છબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો, પણુ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરાબાજો આડા ફર્યા. 

“ મને કોઈ રીતે જાવા દ્યો ?”

“હા, તારી હાંસલી દેતો જા.”

“ ખુશીથી, પણ દરવાજે. આંહી બજારમાં હું ગરાસિયો ઊઠીને ભેાંય ચાલીશ તે મારી આબરૂ જાશે.”

દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઊડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યો કે : “ લ્યો બા, રામરામ ! રજપૂતનાં ઘેાડાં ને ડોકાં, બેય એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહિ."

હાંસલીને જાણે પાંખો આવી; ઘણુંય દોડવા જાય, પણ શું કરે ? પગમાંથી લોઢાની નેવળ કાઢતાં લખધીરજી ભૂલી ગયેલો હતો, પાછળ વઢવાણની વાર હતી એટલે ઊતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણગણું તે હવામાં ઊડવા લાગી. એમ કરતાં રસ્તામાં એક ૧૮-૨૦ હાથનો વોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ.

રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ, તો મા મૂંજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠાં હતાં. એક તેતરને કારણે મૂંજો મરે, એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેંત ઊંચી ચડી. માને કહે કે “ મા, આજ રોવાનું ન હોય, આજ તો ધેાળમંગળ ગાવાનો દિવસ છે, આજ તમારી કૂખ દીપાવીને મૂંજો સ્વર્ગે ગયો. જુઓ મા, જોયું મૂંજારા મોં ? હમણાં ઉઠીને તમને ઠપકો દેશે ! આવું મોત તો તમારા ચારે દીકરાને માટે માગજો, માડી !”

ત્યારથી એ વોંકળાનું નામ આજ પણ 'ઘેાડાપટ' કહેવાય છે.

“બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ મૂંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાણું નહિ. આજ તારા બાપની ને મારી વચ્ચે વીસ વીસ વરસનું છેટું પડી ગયું. હવે તો મૂંજાને સથવારે જ મને રાજી થઈને જાવા દે.”

ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયાં. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે એવી લોકવાયકા છે.

મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શેાકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું, મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.


Rate this content
Log in

Similar gujarati story from Classics