મનનું સમાધાન
મનનું સમાધાન
કોઇકે સાચું જ કહ્યું છે કે જીવન જીવવું તો “આજ”માં રહીને પણ મહત્તમ લોકો યુવાની “આવતીકાલમાં” અને વૃધ્ધો ”ગઇકાલમાં” જીવે છે. ગુણવંતરાયને આ પ્રશ્ન કાયમ થતો કે આમ કેમ? અને ખાસ તો જ્યારે પૌલોમી અને શાંતામાસીની વાતો આવે ત્યારે તો ખાસ! પૌલોમી એટલે અમારા પાડોશીની પ્રસુતા દીકરી અને શાંતામાસી એટલે તેની નાની. પૌલોમી ૨૮ની શાંતામાસી ૮૦ના અને હું ૫૨નો.
ગુણવંતરાયને બંનેની વાતો સાંભળવા મળે..પૌલોમી આવીને કહે ગુણૂકાકા આ નાનીને સમજાવોને અને શાંતામાસી આવીને તે જ વાત ગુણુબેટા પૌલોમીને સમજાવોને કહી ગુણવંતરાયને અંપાયર બનાવે. ટુંકમાં બેમાંથી એક જગ્યાએ કડવો બનવાનો વારો તેમને ભાગે આવે જે તેમણે ના બનવું હોય એટલે ટ્રાન્ઝેક્શન એનાલીસીસની પધ્ધતિઓનું અમલીકરણ ચાલુ. નાની પાસે પૌલોમી શું વિચારતી હશે તે કહેવાનું અને પૌલોમી પાસે દાદીના વિચારો રજુ કરવા.
ગઇ કાલની જ વાત..પૌલોમી આવીને કહે “ગુણુકાકા આ નાની હજી મને ચાર વર્ષની પૌલોમી જ ગણે છે. આવુ તો કેમ ચાલે?”
“પણ થયું શું એતો કહે.”
“મૌલીક સાથે બાઈક પર પાછી આવી તો કહે રીક્ષામાં આવવુ જોઇએને? પડી જઇશ તો..હવે નાનીને કેમ સમજાવવું કે બાઈક ઉપર મૌલિક સાથેની મોજ એટલે કેટલો સુખદ અનુભવ”
“જિંદગી એક સફર હૈ સુહાના ગીતમાં રાજેશખન્ના અને હેમા માલીની જુહુ બીચ ઉપર ફરતા અને ગાતા હતા તેમજને..”
”ના તેવું તો નહીં પણ આજુ બાજુ સન્નાટો અને મૌલિકને ચીપકીને બેસવું મને ગમે છે રીક્ષામાંતો રીક્ષાવાળો આગળ જોવાને બદલે પાછળ જોયા કરે.”
”નાનીને “અંદાજ” ફીલ્મનો રાજેશખન્નાનો અકસ્માત દેખાતો હશે તેથી ના કહેતા હશે.”
“ગુણુકાકા તમે પણ…નાનીનું કદી નીચે ના પડવા દો.”
”ના એવું તો નથી પણ નાનીની રીતે પણ વિચારવુ પડેને જ્યારે તુ ભારે પગે છે..બનવા કાળ એવું કંઇક થાય તો બે જીવને જોખમને..”
“નાની સાચી છે પણ મન મર્કટ મૌલિક સાથેની મસ્તીભરી જિંદગી કદી ન ખુટે તેવું સદાય ઝંખે છે તેથીતો..”
“ઉગતા સૂરજનો બાર કલાકે અસ્ત હોય તેમજ મુગ્ધતા અને યૌવનૌન્માદનો પણ આ સમયે સંયમીત વિરામ જરૂરી છે બેટા..”
“ગુણુકાકા તમરી સાથે વાત કરું છું ત્યારે નાનીની વાત સાચી લાગે છે પણ ઘણી વખત વાતનું વતેસર કરી નાખે ત્યારે ખુબ જ ગુસ્સો આવે અને ખાસ તો મૌલિકની હાજરીમાં મને ખખડાવે ત્યારે તો માથા વાઢ જેવી લાગે..પણ નાની છે તેને કેમ સમજાવાય.”
”તો એમ કહેને કે નાનીની વાત તુ મનવા તૈયાર છે પણ મૌલિકની હાજરીમાં તારું સ્વાભિમાન ઘવાય છે.”
“ગુણુકાકા, નાની મને હજી પાંચ વર્ષની ‘કીકી’ સમજે છે તેમને કેમ સમજાવું કે હવે તો મારે ત્યાં પણ કીકી અવવાની તૈયારી થાય છે.”
“તે તો તુ નાની થયા પછી સમજીશ કે આ પણ એક વહાલનો પ્રકાર છે. તેમની ચિંતા છે આ વહાલની એક આડ અસર છે તે કદી મોટા થતા સંતાનને મોટા થયેલા જોવા નથી દેતું. તેઓ કહેવા માટે તર્ત જ કહેશે प्राप्तेषु षोडसे वर्षे पुत्र मित्र वदाचरेत પણ તે સ્વીકારતા તેમને વરસોનાં વરસ લાગે છે”
“વાત તો સાચી છે. હજી તો જે બાળ જન્મ્યું નથી તેની ચિંતા કરે છે અને કહે છે જેમણે સંતાનો જણ્યા હોય અને ઉછેર્યા હોય તેમનેજ ખબર પડે કે સુવાવડને સારા સમાચાર કેવી રીતે કહેવાય.”
“ચાલ બેટા ભુલી જા. નાની તો માની પણ મા છે. તમને ઉછેરતા ઉછેરતા તેમણે પણ કેટલુંય વેઠ્યું હશે. તેથી તેમની આવી જીદો સમતાભાવે સહી લેવાની.”
“પણ મૌલિકની હાજરીમાં..મને કહે તો કેવું લાગે?”
”એવું નહીં વિચારવાનું. મૌલિકને પણ તેની દાદી કહેતી જ હશેને?”
“નારે તે મૌલિકને નહીં પણ મને જ કહે છે.”
“એનો મતલબ એવો થયોને કે બંને દાદીઓ તમારી સુખાકારી ઇચ્છે છે?”
”પણ કહેવાનો સમય અને પધ્ધતિ હોયને?” પૌલોમી માથુ ઝંઝોટીને બોલી.
”વહાલથી કહે અને તુ ન માને ત્યારે ભાષામાં કડપ આવે.”
“ગુણુકાકા તમે પણ..”
“તુ સમજ નાની તારી સાથે દરેક શ્થળે તો ના આવી શકે? અને બનવા કાળ કંઇ ન બનવાનું બની જાયતો તેમનુ હૈયું કકળે.. તે વખતે રડવા કરતા અત્યારે થોડુંક કડક બની તે વસ્તુ થવા જ ન દેવામાં તેમને ડહાપણ લાગે.”
“હા એ વાત સાચી પણ..”
” સ તો માની લેને કે એ વાત સાચી..” પાછળથી નાની ટહુકી.
“નાની!”
“ગુણુ બેટાની અને તારી વાતો મેં રજે રજ સાંભળી.. હા બેટા હું મૌલિકની હાજરીમાં કંઇ નહીં કહું પણ બેટા તુ પણ એ સમજ કે એવું કંઇ નાની નથી સમજતી એમ કેમ માને છે.. અને અમે પણ મા બનતા પહેલા તમારી ઉંમરમાં નહોતા એમ કેમ તમે માનો છો? અમારી પણ દાદી અને નાની હતી એમની ચિંતાઓ જ્યારે અમે સમજ્યા ત્યારે તો તમે લોકો હસતા અને શ્વસ્તા મોટા થયાને?”
નાની અને પૌલોમીનાં મનના સમાધાનને ગુણવંતભાઈ માણી રહ્યાં.