તફાવત
તફાવત
મર્યા પછી ક્યાં જઈશું કોને ખબર. પણ પેલો બિરબલ યાદ છે ને, જીવતે જીવ સ્વર્ગે જઈ આવ્યો હતો. અતિશયોક્તિ નથી કરતી. મને ભગવાને પૂછ્યું (સ્વપનામાં), ‘એય તારે સ્વર્ગની અને નરકની મુસાફરી કરવી છે?’
હવે મને ખબર ન હતી કે આ સ્વપનું છે. હું તો ખુશીથી ઉછળી પડી.
‘હા, હા જલ્દી કરો. હું તો ક્યારની મોતનો ઈંતજાર કરું છું. એકલા બહુ જિંદગી જીવી લીધી !’
‘ચાલ તો પકડ મારો હાથ.’
‘શ્રીજી ભૂલી ગયા? ક્યારનો આ જમણો હાથ તમારા હાથમાં જ સોંપ્યો છે.’
‘સારું સારું ચાલ. પહેલાં નરક જો. અહીં બધાના હાથ બાંધેલા છે. સામે છપ્પન ભોગ ધર્યો છે. મોઢેથી જાનવરની જેમ નહીં ખાવાનું. આ બધા જે પ્રમાણ એ હાથ ઘુમે તેમ જબરદસ્તીથી ઘુમાવી કોળિયા ઉછાળે છે અને નીચે મોઢું ધરે છે. આમ તો કેવા સજાવેલા સુંદર ડાઈનિંગ એરિયામાં બેઠા છે, પણ તેમના હાલ જો. આને નરક કહેવાય.’ માંડ, માંડ નસીબ હોય તો કોળિયો મોઢામાં જતો.
‘તો શ્રીજી સ્વર્ગમાં કેવું હોય?’
‘તું જ તારી નરી આંખે જો ને...’
એવી જ સુંદર સજાવટ. એવી જ રીતે હાથ ટટ્ટાર બાંધેલા વાળવા માટે કોઈ રસ્તો નહીં. હા, નરકની જેમ જ.
સહુ વ્યવસ્થિત ખુરશી પર બેસી પ્રેમથી આરોગતા હતાં. અદ્ભૂત વાતાવરણ જોઈ મારું હૈયું પુલકિત થઈ ગયું.
દરેકની ખુરશી ટેબલથી એક ફુટ દૂર રાખી સહુ પોતાની સામે વાળાને પ્રેમથી જમાડતા હતાં. પોતે પણ મધુર છપ્પન ભોગનો આનંદ માણતા હતાં.
ત્યાં મારી દીકરી આવી, ‘મમ્મી ઉઠને ભૂખ લાગી છે.’
શ્રીજીની વિદાય લેવાનો સમય પણ ન પામી.