મિત્રવૃંદમાં
મિત્રવૃંદમાં
રક્ષાબંધનના દિવસે ટપાલમાં તેના નામની રક્ષા જોઈને કુણાલ ચમક્યો. તેને તો પૂરી છ બહેનો હતી. કૃતિ તેનાથી બે વરસે નાની પણ એક જ કોલેજમાં બધા સાથે ધમાલ મસ્તી કરતા. કૃતિની બહેનપણી રન્ના તેને ગમતી હતી. મનમાં તે ઇચ્છતો હતો કે કોલેજમાંથી બહાર નીકળે અને રન્નાને પોતાની જીવનસંગીની બનાવે. રન્નાએ રક્ષા મોકલી તેથી પહેલાંતો તે હચમચી ગયો. મનમાં પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી તેનો અફસોસ પણ થયો.
તેણે સ્વસ્થતા કેળવી અને સ્નાન કરી ભગવાનને દિવો કર્યો. તે દિવાના ઘીમાં રક્ષા મૂકી અને તેને ધીમેધીમે નાની જ્યોતમાંથી મોટી જ્યોત થતા જોઇ રહ્યો.
આ બાજુ કૃતિ પણ ભગવાનના મંદિરમાં પ્રાર્થના કરતી હતી. કેયુરનો ફોન હતો તે કૃતિ પાસે રક્ષા બંધાવવા આવતો હતો. અને ભાઈબહેન જે ઇચ્છતા હતા તેથી વિરુધ્ધ થઈ રહ્યું હતું. તે સમજી નહોતાં શકતાં કે આ શું ચાલી રહ્યું છે?
કેયુર આવ્યો ત્યારે કૃતિએ તો સ્પષ્ટ ભાષામાં કહ્યું, “કેયુર મેં તને ક્યારેય ભાઈની દ્રષ્ટીથી જોયો જ નહોતો.”
કેયુરે ખમચાઇને પ્રશ્ન કર્યો, “તો કેવી નજરે જોતી હતી?”
કૃતિ કહે, “તારા જેવા સંપૂર્ણને પામીને હુંતો સંસાર માંડવાનાં મતમાં હતી.”
ફરી પાછું ફેરવી તોળતાં તેણે પૂછ્યું, “પણ આ રાખડી બંધાવાનો વિચિત્ર ખ્યાલ આવ્યો ક્યાંથી તે જરા કહીશ?”
મને પેલી ત્રેતા ખાળતી હતી તે કહેતી, “ભાઇબંધની બહેનને આ સ્વરુપે ન જોવાય. એટલે ચોક્કસાઈ કરવાનો આ કુવિચાર આવ્યો.”
કુણાલનું મન કેયુરની વાતથી સ્વસ્થ થઈ ગયું એણે રન્નાને ફોન પર કહ્યું, “તને બાદલે ભડકાવી છે કે શું?” રન્ના કહે, “હા તેઓ કહેતા ‘મિત્રવૃંદ’માં આવું બધું સારું નહીં.”
કુણાલ કહે, “હવે તાળો મળે છે. તને હું સ્પષ્ટ કહીં દઉં, મને તું ગમે છે તે પ્રીતની રીત છે. ભાઇબહેનવાળી વાત નથી. બોલ તું શું કહે છે?”
રન્ના એકદમ રાજી થઈને બોલી, “મને પણ તું એજ રીતે ગમે છે.”
સાંજે બાદલ અને ત્રેતાને કૃતિ અને કુણાલે વ્યંગમાં કહ્યું, “મિત્રવૃંદમાં તમારી વાત સાચી છે પણ અમે આજે છૂટ લઇને અમને ગમતા પાત્રો સાથે વિવાહ જાહેર કરવાનાં છીયે. બાકીનાં બધાં હવે અમારે માટે ભાઇબહેન.”
કદાચ ત્રેતા અને બાદલને માટે રક્ષાબંધનનો દિવસ પરોક્ષ રીતે હ્રદયભંગનો દિવસ બની ગયો હતો.