તરુવરને લપેટાતી વેલ
તરુવરને લપેટાતી વેલ
લગ્નની વેદી ઉપર પગ મુકવા જતી ભાર્ગવી અચાનક ભૂડે મોંએ પાછી પડી. ભાર્ગવે એની લાગણીની કુણી કુણી વાચા વ્યવહારને – લજ્જાહીન અને બીન વહેવારીકનાં નામે કચડી નાખી. ભાર્ગવીનો પહેલો પ્રેમ અકાળે મૂર્ઝાઈ ગયો. વાત મૂળે એમ હતી કે લાગણીના ગાંડા આવેગોમાં ભાર્ગવ પણ સંકોચાય તે હદે તે વહેતી હતી. અને આ ઉન્માદક વહેણ ને લજ્જાહીનના ઓછા હેઠળ ભાર્ગવે ઠુકરાવી દીધી.
નાનકડું જગતપર ગામ – ઉજળી છોકરી – ભણવા સુરત મોકલી – અને ભૂંડે હાલે પાછી ફરી. ભાર્ગવ એના માતાપિતાએ શોધેલ રાધા સાથે પરણી સ્થિર થઇ ગયો. વગોવાઈ ગયેલ ભાર્ગવીમાં કોઈ પણ ઉણપ નહોતી છતાં કયાંય ન મંડાઈ અને એનું ન મંડાવું એ એનાં કુટુંબને કલંક રુપ બનતું ગયું હતું. મનમાં ને મનમાં કોચવાતી ભાર્ગવી ધીમેધીમે વિકૃત મગજની છોકરી તરીકે પંકાવા માંડી. ઘરમાં ભાઈ – ભાભી, બહેન – બનેવી, મા – બાપ દરેક સાથે લઢી ઝઘડી અલ્લડ વલણ અપનાવવા માંડી. એના તરફ લાગણી રાખનારને તેના ઉપર દયા આવે અને એને ગાંડી ગણનારને ધિક્કાર છૂટે તેવું વિચિત્ર વલણ હતું એનું.
એનો વાંક ફક્ત એટલોજ કે એ લાગણીશીલ હતી. સમાજને વિચિત્ર લાગે તેવા કિસ્સાઓની તે સર્જક બનવા લાગી હતી. ભાઈઓ પાસે મિલ્કતનો ભાગ માંગતી એકલી શહેરમાં ફલેટ રાખીને રહેતી અને ઘણા પરિણિત જોડાઓ. એને ગમતા દરેક પુરુષમાં તે ભાર્ગવને જોતી હતી તે જ તો એનો અક્ષમ્ય ગુનો હતો.
હર્ષ ગમ્યો અને એનું લગ્નજીવન ભાંગ્યું. શિશિરની અદાઓ ગમી એની પત્નીના ભૂંડા હાથે માર ખાઈને પાછી આવી ફાલ્ગુનને તે આંગળીના ટેરવે નચાવતી. ક્ષીતીજ એના રુપનો દિવાનો હતો તે આ વાત જાણતી હતી – ખૈર…! કયારેક તેના એકાંતોમાં તે પોતાની જાત જોડે લઢતી હતી.
એને દરેક પુરુષમાં તેને ભાર્ગવજ દેખાતો હતો. ભાર્ગવને એના માટે કશું ય હતું કે નહીં એની ચકાસણી કરવા જેટલું સાબુત હૈયું તે વખતે નહોતું એ તો પહેલો પ્રેમ હતો. ચૌદ વર્ષના આ ગાળામાં એની સાથેની ક્રિના, રોમા અને આભા બે છોકરાની મા બની દાંપત્ય જીવનમાં સ્થિર બની ગયા હતા. પણ એ, ભાઈને માથે શ્રાપ અને કુટુંબને માથે કલંક બનીને જીવતી હતી. એને પોતાને ઘણી વખત લાગતું હતું કે કેવી જિંદગી એ જીવે છે. કેટલાના નિસાસા એ લે છે. દરેક વખતે પારકાનું સિંદુર લેવાનું એક દિવસ તો એકલી બેઠી બેઠી વિચાર કરતાં કયાંય ચઢી ગઈ કે આત્મ હત્યા કરવા સુધી જઈ બેઠી.
હિંમત કરવા ગઈ ત્યાં ફરી એને ભાર્ગવે દેખાયો… લાગણીવશ બનીને પાછી પડી ગઈ. કયારેક તો ભાર્ગવને મારી જરુર પડવાની છે જ… શરીરની ભૂખ શોધતા સંતોષવા પત્નીથી કંટાળેલા ઉશકેરાયેલા લોકો તેને શોધતા અને એ રાહ જોતી કે કયારેક તો ભાર્ગવના દાંપત્યજીવનમાં તિરાડ પડશે. અને મારી જગ્યા થશે.
અને આમને આમ જિંદગીના… કઠીન ચૌદ વર્ષ વિતાવ્યા પછી. એને એની તપશ્ર્યર્યાનું ફળ મળ્યું ત્રણ બાળકોના પિતા ભાર્ગવ. વિધુર થયો… બહુ આશા ઓ લઈને ભાર્ગવ પાસે તે પહોંચી.
ભાર્ગવે તેને કહ્યું – મારા બાળકોને માતાની જરુર છે તું બની શકીશ? ભાર્ગવી તો આનંદના અતિરેકમાં બોલી ના શકી પણ ડૂમો બાઝી ગયેલા સ્વરે 'હા' પાડી. ભાર્ગવ પૂછતો હતો. આટલા વર્ષ તેં શું કર્યું…? લગ્ન કેમ ન કર્યું…? હર્ષ... શિશિર... ક્ષિતિજ… અને એવા કેટલાય તારા ભૂતકાળનો હિસાબ આપ… અને હવે પછી ભવિષ્યમાં ફક્ત હું અને મારા સંતાનો – મંજૂર છે તને?
લાગણીથી છંછેડાયેલી ભાર્ગવીને બોલવું હતું – એ બધા માં મેં તો તને જ જોયો હતો, પણ એ લોકોની જેમ તું પણ સાવ સ્વાર્થી અને માટી પગો છે. ભાર્ગવ, તને મેં મારો આરાધ્ય દેવ માન્યો, પણ આજે મને મારી ભૂલ સમજાય છે. તું તો સીધો સાદો માટી પગો માનવ છે. પાણીમાં પડતાંની સાથે પીગળી જતું રમકડું. પણ એનાથી કંઈ ન બોલાયું.
એને 'સ્પેરવ્હીલ' તરીકે હવે રહેવું નહોતું તેથી એના મૌનને સંમતિ માની કોર્ટમાં લગ્ન કરાવવા નીકળી પડ્યા. ચૌદ વર્ષ પહેલાં ભાર્ગવની સાથે નીકળેલી ભાર્ગવીની જેમ સંકોચ અને લજજાથી તે ભાર્ગવના આશરામાં તરુવરને લપેટાતી વેલની જેમ ગોઠવાઈ ગઈ.