સત્ય એ જ પરમેશ્વર
સત્ય એ જ પરમેશ્વર
સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. સત્ય એ સનાતન છે. યુગોથી ચાલી આવતી શાશ્વત પરંપરા છે. ઇશ્વર સુધી પહોંચવા માટેનું શ્રેષ્ઠ આચરણ જો કોઈ હોય તો તે સત્ય છે.
સત્યનો પથ કાંટાળો છે. આ માર્ગે બધા ચાલી શકતા નથી. વળી, આ માર્ગમાં અંતરાયો પણ ઘણા છે. આ માર્ગ અઘરો ચોક્કસ છે પરંતુ અશક્ય તો નથી જ. દ્રઢ મનોબળ ધરાવનાર વ્યક્તિ આ રસ્તે જરુર સફળ થાય છે.
મહાત્મા ગાંધીજીના મતે સત્ય એ જ પરમેશ્વર છે. તેઓના મતે સત્ય એ પરમાત્માનું સ્વરુપ છે. ખુદ ગાંધીજીના જીવનમાં સત્યના પ્રયોગો થયા. તેમનું જીવન એક પ્રયોગશાળા બની ગયું. પૂ.બાપૂએ આપેલો જીવનસંદેશ એટલે એમનું અનુભવ પાથેય.
સમય ચોક્કસ બદલાય છે. માનવીની જીવનશૈલી પણ બદલાય છે પરંતુ સત્ય પરિવર્તનશીલ નથી. ઇશ્વર સુધી પહોંચવું સામાન્ય માણસ માટે સહજસાધ્ય નથી. તો પણ સત્યનું આચરણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. સત્ય પરમાત્માનું જાણે કે બીજું સ્વરુપ છે. કષ્ટસાધ્ય પરમેશ પણ સત્યઆચરણ દ્વારા રીઝે છે.
ઇશ્વર સૌને સત્ય પાલન માટે શક્તિ અને દ્રઢ મનોબળ આપે એ જ પ્રભુ પ્રાર્થના.