મનની બારી ઉઘડી
મનની બારી ઉઘડી
3 mins
7.5K
બારણાં જરાં ધીમેથી ભચકાવોને! ખૂણામાં ખાંસતા પડેલાં, ઉઠવાને અસમર્થ મનાજી બોલ્યા. ખાટલે પડ્યા હોવા છતાંય મિજાસ દાખવતાં. માણેક્બહેન તેમનો મલાજો જાળવતાં. એટલા માટે કે તે સ્ત્રી છે તેથી નહી. પણ જાજ્વલ્યમાન સ્ત્રી છે. જે જમાનામાં છોકરીઓ ફાઇનલ પાસ નહોતી થતી તેવા કાળમાં તેમણે બી.એ. અને બી.ટી. કર્યું હતું. ગામની શાળામાં ત્રીસ વર્ષ સુધી પ્રિન્સિપાલ તરીકે ફરજ અદા કરી હતી.
મનાજી જુવાનીમાં ધંધો કરી સારા પૈસા કમાયો હતો. એતો માબાપે પેટમાં હતા ત્યારથી સગાઈ કરી હતી. બાકી આવી ભણેલી ગણેલી માણેક મનાજીને પરણે ખરી? હંમેશા માણેક સારા વર્તન અને વાણીની સહાયથી મનાજીને મનાવતી. પાછળથી ભૂલ કબૂલ કરી મનાજી તેનો આભાર માનતો.
બાળકો પરણીને ઠરીઠામ થયા હતાં. દીકરીઓને માણેકે સુંદર સંસ્કાર આપ્યા હતાં. તેમને ચોખ્ખું સંભળાવ્યું હતું ‘જો, સસરાના ઘરમાં સમાણા નથી તો આ ઘરના દરવાજા તમારે માટે બંધ છે, બાકી તમારા પરિવાર સાથે આવશો તો વારી જઈશ.’ દીકરા અને વહુ ખૂબ આમન્યા જાળવતાં. મનાજીને બધાની હાજરીમાં માણેક કળથી જાળવી લેતી. કદી માબાપને તેણે દોષ દીધો ન હતો.
મનાજીના વાક્યે તેનું હ્રદય ઘવાયું હતું. પવનને કારણે બારણું બંધ કરવા જતાં જરા મોટો અવાજ થવા પામ્યો હતો. દસ વર્ષના વહાણાં વાયા, ડાબા અંગે લકવો મારી ગયો હતો.
માત્ર સવારે બે માણસો આવી તેને પ્રાતઃકર્મ કરાવામાં મદદ કરતાં. બાકી આખો દિવસ અને રાત ખાટલે ગાળતો. મનાજી, માણેકની તકલીફ સમજતો છતાંય સ્વભાવગત મોટો અવાજ નીકળી જતો.
વાતે વાતે છૂટાછેડા લેતાં જુવાનિયાઓથી તે પરિચિત હતો. કમાનમાંથી તીર નિકળે પછી નિશાન પર જઈને જ અટકે. બોલાયા પછી પસ્તાવો થયો. તેને યાદ આવી પેલી સુંદર બે પંક્તિ. ”હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.” આજે મનાજી બોલ્યા પછીની વેદના સહન ન કરી શક્યો. તેને પોતાની જાત પર શરમ આવી. કઈ રીતે માણેકને મનાવવી. પોતાની બોલવાની ઢબ માટે કઈ રીતે અફસોસ કરવો.
યૌવનકાળમાં તો કદાચ આવો ખ્યાલ ન આવ્યો હોત. હમણાંથી થોડીક ‘ઓશો’ની અને ‘ગીતા’ની કેસેટ સાંભળતો હતો. ટીપે ટીપે જો પથ્થર પર પાણી ટપક્યા કરે તો ખાડો લાંબા ગાળે પડે. મનાજી તો કાચી માટીનો માનવ હતો! તેના સ્વભાવમાં સાલસતા પ્રવેશી હતી. પણ આદત સે મજબૂર હતો.
માણેક પોતાના રૂમમાં જઈ ગુમસુમ બેઠી હતી. તેને ખબર હતી કે મનાજીનો જીભ ઉપર સંયમ નથી. કિંતુ વાગ્બાણ તીરની જેમ ચુભતા હોય છે. પછી ભલેને તે પતિના જ કેમ ન હોય! લકવાને કારણે મનાજી હાલવાચાલવા અશક્તિમાન હતો. માફી માગવી તે પણ કઈ રીતે? સંયમનો બંધ હમેશા આદતના વંટોળિયાને સહી ન શકતો. બંધમાં દર વખતે એક નવું ગાબડું પડતું. આજે તો પોતાને પણ અજુગતું લાગ્યું. હવે શું ? મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી. ‘મને માર્ગ બતાવ’. આજે પ્રભુ પ્રસન્ન થયા. ન બનવાનું બન્યું.
માણેક મ્હોં સાફ કરીને બહાર આવી. માનાજીની ચકોર આંખે નોંધ લીધી કે રડીને આવી છે. ચાનો સમય હતો. માણેક જેવી ચ્હાનો પ્યાલો લઈને દાખલ થઈ કે ગણગણ્યો “મારા જાલિમ દિલનો હાય રે શિકાર કરીને આવી ઉભા કમરામાં મારા ગરમ ચ્હા લઈને.” માણેક સમજી ગઈ અને મધુરું સ્મિત રેલાવી રહી.