સાધના-૨૪
સાધના-૨૪
વિધિ રાજને આવજો કહીને ઘરમાં પ્રવેશી. તેના મમ્મી એ તેને પૂછ્યું "ક્યાં ગઈ હતી બેટા ? તારી સાથે પેલો છોકરો કોણ હતો ?” વીધીએ બધી વાત નિરાંતે કહી, તેણે પોતાના મમ્મીને બધું સ્પષ્ટ કહી દીધું. વિધિના મમ્મી બોલ્યા, બેટા જીવનનો ફેસલો આમ થોડા દિવસોમાં ન લઇ શકાય. તારા પપ્પા પણ બધું જોઈ કરીને જ હા પડશે. આતો સારું કે તે મને બધી વાત કરી બાકી બીજા છોકરાઓ તો તેમના માબાપ ને વાત જ નથી કરતા !” એક કડવી હકીકત વર્ણવી. વિધિ બોલી મમ્મી તે આપણી જ જ્ઞાતિનો છે અને ખુબ સંસ્કારી કુટુંબમાંથી આવે છે. તેના દાદા-દાદી, કાકા-કાકીનો એકનો એક લાડકો દીકરો છે. અને સ્વબળે ઉપર આવવાની મહત્વકાંક્ષા ધરાવતો યુવક છે. તેના વિચારો ખુબ ઉચ્ચ છે. તેથી જ હું તેને પસંદ કરવા લાગી છું. તેમ છતાં આપ બંનેની હા હોય તો જ હું અને રાજ આ સંબંધ પર મોહર મારીશું નહિતર રાજી ખુશીથી છુટા પડીશું.
વિધિની મમ્મીને આજના બાળકોના અગત્યના ફેસલાઓ પર કેટલી સાવધાની રાખતા થઇ ગયા છે તે જોઈને ગર્વ થયો. અને જુના વખતો માબાપની સામે બોલી પણ શકાતું ન હતું તેનો વસવસો કરતા હતા. વીધીએ પોતાના મમ્મીને રાજના મમ્મીની તબિયતની વાત કરી દીધી. હવે તેના પપ્પા અને મમ્મી રાજને ત્યાં જઈ અને બધું જોઈ આવે પછી વાત પાક્કી ગણવાની. થોડા દિવસો બાદ રાજને એક સી.એ.ની ઓફિસમાં જોબ મળી ગઈ. અભ્યાસ સાથે નોકરી પણ ચાલુ. રાતના તે ઘરે જતો હતો ત્યારે સાધના થાકેલી પણ દીકરાને પ્રેમથી જમાડવાના ઉત્સાહમાં બધું જ દુખ ભૂલી જતી. તેને પ્રેમથી જમાડતી હતી.
વાતવાતમાં વિધિ વિશે પણ થોડું પૂછી લેતી. રાજે પૂછ્યું “મમ્મી તમને વિધિ કેવી લાગી ? સાધના બોલી બહુ સારી છોકરી છે. તે ક્યાં રહે છે ? તેના મમ્મીને પૂછીને આવી હતી ને આપણી ઘરે ? રાજ હસ્યો અને બોલ્યો, "તે તો તારી ખબર કાઢવા આવી હતી. હું તેને ઘર સુધી મૂકી આવ્યો." સાધના બોલી "તો પણ તારા પપ્પાને પૂછીને તું આગળ વધજે. તેને દુખ થાય તેવું એક પણ કામ ન કરતો. આજે મારી હાજરી છે, હું ન પણ હોઉ તો પણ તારા પપ્પાને ખુબ સારી રીતે સાચવજો." "મમ્મી તું આ શું બોલે છે ? આપણે હજુ તો શ્રીનાથજી દર્શન કરવા જવાનું છે . પછી મારી ઓફિસમાં આવેલી ચેર પર તારે બેસીને ઝુલવાનું છે. આવા અમંગલ શબ્દો ન બોલવા તમારે !" થોડો લાગણીવશ થઈને રાજ બોલ્યો.
પણ સાધના ધીમેધીમે સમજી ગઈ હતી કે તેની તબિયતમાં સુધારો નહિ થાય. દિવસો પસાર થવા લાગ્યા અને એક દિવસ સાધના ખુરશીમાં બેઠેલી અવસ્થામાં જ બેભાન થઇ ગઈ, તાત્કાલિક ડૉકટરને બોલાવામાં આવ્યા ડોક્ટરની સલાહ મુજબ ન્યુરો સર્જનને પાસે લઇ જવા માટે કહેવામાં આવ્યું. સાધનાની સારવારમાં કોઈ જાતની કમી ભરતે ન રાખી. પણ ડોકટરના કહેવા મુજબ "તેના બ્રેન સેલ્સ ઘસાય રહ્યા છે. તેને ખુબ સંભાળીને રાખવા પડશે. ગમે ત્યારે તે તેમનું સંતુલન ગુમાવી દેશે અને ચાલતા ચાલતા પણ પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાય શકે છે." ડોક્ટર શુક્લ બોલ્યા.
રાજ નાનો પણ ખુબ પીઢ બનીને વાત સાંભળી રહ્યો હતો. ભરત અંદરથી ખુબ તૂટી ગયો. તેમને સંભાળતા કહ્યું “જુઓ, પપ્પા આપણે બધા સાથે રહેવા લાગીએ તો મમ્મીની સારવાર કારગત નીવડે, અને તમે જરા પણ ચિંતા ન કરો. ઠાકોરજી સૌ સારા વાના કરશે. ભરતને મનમાં થયું મારું સંતાન કેટલું સમજુ. તેની મમ્મીની કેટલી ચિંતા કરે છે. તે પોતાના અને સાધનાના પ્રેમના પ્રતિક સમાન આ ફળને આભારવશ નજરોથી જોઈ રહ્યો. થોડા દિવસો પછી સાધનાને રાજા આપવામાં આવી. કૈલાશબેન તેમજ ઘરના તમામ સભ્યો આવી ગયા હતા સાધનાની તબિયત ધીમે ધીમે સારી થવા લાગી...(ક્રમશ)