તિલાંજલી
તિલાંજલી
“અરે, પણ ડોક્ટર ક્યાં છે ?”
‘ઘરેથી નિકળી ગયા છે. તમને તો ખબર છે, મુંબઈનો ટ્રાફિક. ડોક્ટર ઉડીને તો ન આવે ને ?’ આવો જવાબ જ્યારે નર્સે આપ્યો ત્યારે સ્તુતિ ખૂબ નારાજ થઈ. પૂ.મમ્મીને શ્વાસ લેવામાં તકલિફ પડતી હતી. સ્તુતિને મનનની મમ્મી ખૂબ વહાલી હતી.
સ્તુતિ ખૂબ ગભરાઈ ગઈ હતી. મમ્મીની સાથે બેસીને ચા પીતી હતી. પપ્પા તો તેના લગ્ન પછી બે વર્ષમાં જતા રહ્યા હતાં. બસ ત્યારથી સ્તુતિ મમ્મીની દીકરી બની ગઈ હતી. હા, તેને પોતાની મમ્મી હતી. પણ મનનના પ્યારમાં મસ્તાની સ્તુતિને ક્યારેય કોઈ ફરક લાગ્યો ન હતો. દયાને ક્યારેય એવું નહોતું લાગ્યું કે સ્તુતિ દીકરી નહી વહુ છે. કારણ સહજ હતું. સ્તુતિ, મમ્મીની ખૂબ ઈજ્જત કરતી. દયાને યાદ નથી ક્યારેય સ્તુતિ તેની સામે ઉંચ અવાજે બોલી હોય. સ્તુતિનો ઉછેર ખૂબ સંસ્કારી કુટું બમાં થયો હતો.
લગ્ન પહેલાં તેના દાદા અને દાદીની છત્રછાયામાં તે મોટી થઈ હતી. દાદી હોય કે નાની બન્નેને સ્તુતિ ખૂબ વહાલી. સ્તુતિનો ભાઇ રમતિયાળ હતો. સ્તુતિ એક વર્ષ નાની હતી છતાં ભાઈલાને સીધોદોર રાખતી. દયા બીજા સંબંધીને ત્યાં અને સગાને ત્યાં જોતી, તેમની વહુઓ ધાણીની જેમ ફૂટે. બાપના ઘરનો પૈસો દિમાગમાં ભરીને આવી હતી. સ્તુતિના પિતા ખૂબ ધનાઢ્ય હતાં પણ દયા બહેનની મમતા પાસે સ્તુતિ કશું યાદ ન રાખતી. તેના પગલે ભણેલો પતિ ખૂબ ખ્યાતિ પામ્યો હતો. બે બાળકોની માતા સ્તુતિ સંતોષી અને સુખી હતી.
રોજ બપોરે ચાર વાગે તેમનો નિયમ કે મમ્મી સાથે બેસીને ચા પિવાની અને રાતના શું રસોઈ કરવી તે નક્કી કરવાનું. સ્તુતિ એમ.બી.એ. ભણેલી હતી. બાળકોના ઉછેરમાં પુરતું ધ્યાન અપાય એટલે બાળકો થયા પછી નોકરીને તિલાંજલી આપી. શરૂઆતના સાત વર્ષ જ્યાં સુધી બાળકો ન હતાં ત્યાં સુધી ઘરનો કારોબાર દયાબહેને સંભાળી લીધો હતો. દયાબહેન કરે એ વસ્તુ કોઈ સ્તુતિને ન ગમે તો સુંદર રીતે સમજાવીને કહેતી. નહી કે પોતાનો તૌર બતાવીને. સ્તુતિ ક્યારે ધાણિની જેમ ફૂટી ન હતી. જો કદાચ કાંઈ કહેવાઈ જાય તો તરત દીકરીની જેમ આવીને માફી માગી લેતી.
‘બેટા, એમાં માફી માગવાની ન હોય. મા દીકરીને પણ બોલાચાલી થાય છે. તું જુએ છેને મારો મનન કાંઈ પણ બોલે તે અમે બન્ને ભૂલી જઈએ છીએ. તારા માટે હું કશું દિલમાં સંગ્રહ કરીને રાખતી નથી.’
આમ સુખી કુટુંબ હતું. આજે અચાનક દયાબહેને ચા પીવા કપ મોઢે માંડ્યોને હાથમાંથી છૂટી ગયો. બાળકો શાળાએથી આવ્યા ન હતાં. સ્તુતિ ગભરાઈ ગઈ. દયાબહેન હોશ હવાસ ગુમાવ્યા હતાં. ડ્રાઈવર પાસે ગાડી કઢાવી સ્તુતિ તેમને લઈને ઈમરજન્સી રૂમમાં આવી. ગાડીમાંથી મનનને ફોન કર્યો. જલ્દી પુરંદર હોસ્પિટલમાં આવ. મમ્મીની તબિયત ઠીક નથી. મનન આવી ગયો. ડોક્ટરના કોઈ ઠેકાણા ન હતાં. ડોક્ટર રહે વરલી અને હોસ્પિટલ ચોપાટી પર.
‘હજુ અડધો કલાક લાગશે’. નર્સે કહ્યું. ત્યાં સુધીમાં ઈમરજ્ન્સી સારવાર ચાલુ થઈ ગઈ હતી. મમ્મીને જરા પણ ભાન ન હતું. મનન આવી ગયો એટલે સ્તુતિને હૈયે ટાઢક હતી. દયાબહેન એમના જમાનામાં ‘માસ્ટર્સ’ હતાં. રાજકારણનો વિષય લઈને ભણ્યા હતાં. આટલા હોંશિયાર હોવા છતાં દિલમાં જાણતા કે ‘એકલતા’નું દર્દ કેવું છે. તેમને બીજી કશી ચિંતા પણ ન હતી. પતિ ગુમાવ્યાનું દર્દ જેણે ભોગવ્યું હોય તે જાણે. કોઈ તેમને સમજે કે ન સમજે જરા પણ ચિંતા કરતાં નહી. નસિબ સારા હતાં કે વહુ દુધમાં સાકર ભળે તેમ કુટુંબમાં સમાઈ ગઈ હતી.
સ્તુતિ રૂદન થંભાવી શકતી નહી. મનન સાંત્વના આપતો પણ તેનું હદય કાબૂમાં રહેતું નહી. તેને મમ્મી પ્રત્યે ખૂબ લાગણી હતી. દયાબહેને પતિના અકાળે અવસાન પછી દિલનો ઉભરો ઠાલવવા સાહિત્યમાં મન પરોવ્યું. પતિ ગયા પછી તેમણે એક નવલકથા લખી ,પહેલીવાર જીવનમાં. નામ પણ કેટલું સુંદર, “વિકલ્પ”. જે ભલે બેસ્ટ સેલર્સ ન થઈ પણ તેની ઘણી પ્રતો વેચાઈ. પહેલી વાર બસો છપાવી હતી. એક મહિનામાં વેચાઈ ગઈ. બીજી વાર પાંચસો છપાવી. નવલકથામાં પતિના ગયા પછીની એકલતા અને તેની હયાતિમાં હતી ,”હૈયા ધારણા” વિષે ખૂબ સુંદર લખાણ હતું. સ્તુતિને મમ્મીની લેખનકળા પર ગર્વ હતો.
આખરે ડોક્ટર આવ્યા. દયા બહેનને તપાસી, હળવો હાર્ટ એટેક હતો એટલે આઈ.સી.યુ.માં રાખ્યા. ઓક્સિજન આપ્યો અને જરૂરી બધી કાર્યવાહી કરી. ચિંતાનું કારણ નથી એમ કહ્યું એટલે સ્તુતિ અને મનનનો જીવ હેઠો બેઠો. પરિસ્થિતિ કાબૂમાં હતી. સારવાર માટે ચોવીસ કલાક નર્સ હોય. ડોક્ટરે મનન અને સ્તુતિને ઘરે જવાનું કહ્યું. મનનનું દિલ માનતું ન હતું.
સ્તુતિએ મનાવ્યો, ‘ઘરે ચાલ, નાહીને જમ્યા પછી પાછો આવજે. ઘરે બાળકો પણ તારી અને મારી રાહ જુએ છે. બન્ને ઘરે આવ્યા. બાળકો જમીને બેઠા હતાં. બીજે દિવસે શાળાએ જવાનું હોય એટલે ઘરકામ કરવામાં વ્યસ્ત હતાં. દાદીની તબિયત સારી છે જાણી ખુશ થયા.
મનન જમીને પાછો હોસ્પિટલ પહોંચી ગયો. મનન વિચારે ચડ્યો. બાળપણમાં પપ્પા અને મમ્મીએ કેટલી મહેનત કરી હતી. પપ્પાને તો તેમના મમ્મીએ ઉછેર્યા હતાં. પોતાની ત્રેવડ ઉપર જીંદગીમાં આગળ આવ્યા હતાં. મનનના પપ્પા અને મમ્મીએ દાદીની ખૂબ સેવા કરી હતી. મનન આ બધું જોઈને મોટો થયો હતો. તેથી તો સ્તુતિને પરણતા પહેલાં ચોખવટ કરી હતી. ‘મારી માની ક્ષતિઓ પણ સહન કરવી પડશે’. હું માથી અલગ નહી થાંઉ’.
સ્તુતિએ સ્વિકાર્યું હતું કે,’ એ પાપ હું નહી કરું’.
નસિબ સારાં કે સ્તુતિ જેવી સુંદર પત્ની મળી. મારાં કરતા મમ્મી હવે સ્તુતિની વાતો કરતાં થાકતી નથી. સ્તુતિ ક્યારેય મમ્મીમાં અવગુણ ન જોતી. હા, ઉમરને કારણે વિચાર જુદા હોય તો શું થઈ ગયું. તેને ખબર હતી, જો મારામાં આવદત હોય તો દુનિયામાં કાંઈક કરી બતાવવાનું. મનન અને મમ્મી તો મને જાણે છે. ખેર મનને વિચાર ખંખેર્યા. મનમાં થયું , ‘મમ્મી તું જલ્દી સાજી થઈ જા. ‘
દયા બહેનને અઠવાડિયામાં તો ઘરે લઈ જવામાં આવ્યા. સ્તુતિ ના કહે, છતાં બધી મદદ તેને કરે. પાછાં પગભર થયા. બાળકો ધીરે ધીરે મોટા થતાં ગયા. સ્તુતિને પાછો નોકરી પર જવા આગ્રહ કર્યો. ઘરમાં રાંધવાવાળી બાઈ પણ રાખી લીધી હતી. દાદીની નિગરાની હેઠળ બાળકો મોટા થઈ રહ્યા.
તેમને ખબર હતી સ્તુતિ ખૂબ હોંશિયાર છે. બાળકોને કારણે શામાટે પોતાની આવી સરસ કારકિર્દીને તિલાંજલી આપે ?