અનુ
અનુ
સીધા રસ્તા હોત તો શું રહેત આ જિંદગી,
અક્ષરના વળાંકમાં છે મજાની આ જિંદગી,
સીધા જીવ મળે તો મજા શું છે આ જિંદગી,
વાંકી છે આ ધરતી, તો પાક આપી ટકાવે આ જિંદગી,
વાંકી આંગળીએથી ઘી કાઢી માણવી આ જિંદગી,
જો સીધી ચાલે તો મજા શું એવી જિંદગીની...
ગોપાલભાઇ અને તરુબહેનને રૂપાળી એવી ત્રણ પુત્રી. પોતાનો વંશ આગળ વધે તે આશામાં પ્રભુની મરજીએ ત્રણ લક્ષ્મીજી અવતરી, પણ તે લક્ષ્મી સ્વરૂપે નહીં. બાકી તો ઘરમાં હાંડલા કુસ્તી કેમ રોકવી તે પ્રયત્નમાં રહેતા ગોપાલભાઇ દિવસરાત દરજીકામ કરવામાં વ્યસ્ત રહેતાં. ભાઇ નથી આપી શક્યા તો ભણતર તો આપવું જ કારણ, દીકરો કે દીકરી તે તો પ્રભુ મરજી પણ, યોગ્ય ભણતર આપવું પોતાનાં હાથમાં છે એવું માનતા ગોપાલભાઇ તરુબહેન ઘરકામ ઉપરાંત દીકરીઓનો ભણતરમાં વિકાસ થાય તેનો અતિ આગ્રહ રાખતાં.
મોટી ગીતા ભણવામાં ઠીક, પણ ઘરકામ ઉપરાંત ભરત ગુંથણમાં પણ નિપુણ. પિતા સીલાઈ કામ કરે તો પોતે ફટાફટ પોતાનું હોમવર્ક પતાવી પિતાને કામમાં મદદ કરે. સ્વભાવે એકદમ ઢીલી. પણ ખાસ્સી ઉઘડતે વાન ને નાજુક નમણી. ગીતા હોમસાયન્સ લઇ અને ડીગ્રી લીધી.
વચલી દીકરી રમીલા પોતે ભલી ને પોતાનું કામ ભલું. સ્વભાવે ખાસી મૂંગી. બહુ બોલવા ન જોઈએ. તેનાં મનમાં જાણે પુત્રી તરીકે જન્મ લેવાઈ ગયો હોય ને માતા અને પિતાની લાગણી દુભાઈ હોય તેવી ગ્રંથી થઇ ગયેલી. એક દિવસ રમીલાને સુનમુન બેઠેલી જોઈ ગોપાલભાઈએ વાત કરવાં કોશિશ કરતાં શરૂઆત કરી, "કેમ બેટા, દિવસે- દિવસે તું આમ ચુપચાપ રહેતી વધારે થઇ છું! "કાંઈક સંકોચ સાથે રમીલા કહે, "પપ્પા આમ પણ મારા જન્મથી તમને નિરાશા જ મળી છે ને, એક પુત્ર તરીકે હું જન્મી હોત તો તમને કેટલી ખુશી થઇ હોત." ગોપાલભાઈ અને તરુબહેન તો આવી વાત સાંભળી ડઘાઈ ગયાં. તેમને લાગ્યું કે જરૂર આપણા ઉછેરમાં કંઈ કમી રહી હશે કે આજે રમીલાએ આવું વ્યક્ત કર્યું." બંને ખૂબ દુઃખી થઇ ગયાં અને રમીલાને ઘણી સમજાવી કે અમારે તો પુત્ર હોય કે પુત્રી કોઈ ફરક નથી પડતો. બસ, તમે સારું ભણો અને તમારું જીવન સુખમય થાય તે જ પ્રયાસ... પણ કહેવાય છે ને કે કોઈના મનને કોઈ પહોંચી નથી શકતું. રમીલા હંમેશા સ્વભાવે અંતર્મુખી જ રહી. હા, કોઈ વાતનો હરખ નહીં ને કોઈ વાત નો શોક નહીં. સાયલોકોજી સાથે બી.એ કરવાની તેની ઈચ્છા હતી ને પછી એમ.એ કરીને પ્રોફેસર થવું હતું. પણ ગોપાલભાઈ અને તરુબહેન ઈચ્છતા કે બી.એ થઇ સાસરે વળાવી દઈએ પછી સાસરે જઈ આગળ ભણવું હોય તો તેઓની મરજી. છોકરીને જેટલું વધારે ભણાવીએ એટલો તેનો પતિ અંગેનો માપદંડ વધી જાય, માટે સમયસર પરણાવી દેવી સારી.
નાની દીકરી અનુતો સ્વભાવે મોજીલી. પોતે તો હર વક્ત આનંદમાં રહે અને આસપાસનાં લોકોને આંનદમાં રાખે. ગીતાનાં લગ્ન લેવાયાં ત્યારે તો અનુને જાણે પાંખો આવી હોય તેમ દોડાદોડ કરવાં લાગી. શરમાળ ગીતાને વારંવાર ચીડવતી કે, "સુરેશભાઈ તો આટલાં પિક્ચર જોવાનાં શોખીન છે ને તું રહી સાવ ઘરકૂકડી, હું તો કહીશ જીજાજીને કે આ અમારી કૂકડીને ખુશ રાખજો ને જરા સંભાળીને રાખજો, અમારાં બહેન બહુ નાજુક છે." ગીતા બિચારી શું બોલે, શરમથી પાણીપાણી! એક દીકરાની ગરજ સારે એમ લગ્નની બધી દોડાદોડ ભરી જવાબદારી અનુએ ઊપાડી લીધી હતી ને રમીલા બધાં મહેમાનની વ્યવસ્થામાં લાગી. આમ પોત પોતાના સ્વભાવ અનુસાર કાર્યભાર ઉપાડીલેતાં ગોપાલભાઈને ત્યાં પ્રસંગ ક્યાં પતી ગયો તેની ખબર પણ ના પડી.
સમય અને હવા ની ઝડપ ક્યાં માપી શકાય ?? રમીલાના પણ ઉમેશ સાથે એવીજ સુંદર રીતે લગ્ન પતિ ગયાં , એમાં તો વળી જમાઈ સુરેશભાઈ પણ ઉત્સાહ પૂર્વક કામે લાગ્યાં હતાં ને બધી વ્યવસ્થાની અનુ ને ખબર અને અનુભવ હોવાથી બંને સાથે મળીને લગ્ન આટોપવા માં પણ લાગી ગયાં. પતંગિયા જેવી અનુની તરુબહેનને બહુ ચિંતા રહેતી. રમીલાનાં લગ્ન પતતાજ તરુબહેને ગોપાલભાઈને કહ્યું ," હવે અનુ માટે પણ યોગ્ય મુરતિયો જોવા લાગો. ભગવાન કરે ને એને પણ આગલાં બેઉ જમાઈની જેમ સારો પતિ મળી જાય એટલે ગંગા નાહ્યા. "ગોપાલભાઈ તરુબહેનની વાતનો અણસાર તુરંત પામી ગયાં ને આદરી શોધ...
અનુ હજી બીકોમ કરી આગળ ભણવાની ઈચ્છા રાખતી હતી. કોલેજનાં છેલ્લાં વર્ષમાં હતી ને ભરત દૂરથી અનુને જોયાં કરતો. અનુની ચંચળતા અને નિખાલસતાએ ભરતનું મન મોહી લીધું હતું. અનેકવાર વાત કરવા કોશિશ કરી, પણ અનુ કોનું નામ એમ તે કાંઈ વાતો કરે! ભરતને તો બસ અનુ સિવાય કાંઈ દેખાય નહિ. એક દિવસ અચાનક અનુ ની બહેનપણી શારદા સાથે ભરતને કંઈ નોટ્સની આપ-લે થઇ અને અનુ પણ શારદા સાથે હોવાથી બંનેની ઓળખાણ થઇ. મુલાકાતો વધતી ગઈ શરૂઆતમાં તો શારદા હતી ને ક્યાં બેઉ એકલાં મળવા લાગ્યાં તેની બેઉમાંથી કોઈને ખબર પણ ના પડી.
પ્રેમ ન જુએ નાત કે જાત... મોટી બેઉ બહેનોનાં લગ્ન તો નાતમાં જ થયાં હતાં. એ વિચાર માત્રથી અનુ પહેલાં તો ગભરાઈ. એક દિવસ એણે સામેથી ભરતને પોતાની પરિસ્થિતિ સમજાવતાં કહ્યું, "મારા પિતા એક સામાન્ય દરજીનું કામ કરે છે, તમારા ઘરમાં આ વાત કેવી રીતે સ્વીકારશે તે વિચારી જોજો. અમે મધ્યમ વર્ગના કહેવાઈએ. મારા માતા અને પિતાએ પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા છે. ભણતર એ જ મારી મૂડી કહો કે દહેજ કહો. હા, તેઓ દેખાય છે જેવા શાંત તેવાં જ છે અને ખૂબ સરળ અને આધુનિક વિચારસરણીવાળાં છે. મારી પસંદ પર એમને પૂરો ભરોસો પણ તમે તમારાં ઘરમાં વાત કરી જુઓ." ભરત એકનો એક પુત્ર હોવાથી પોતાના માતા પિતા સાથે ખૂબ નિખાલસ સંબંધ રાખતો હતો. તેણે અનુની વાત પોતાના ઘરમાં કરી ને બીજે જ દિવસે હરખભેર ભરતના માતા અને પિતા ભરતને લઇ પહોંચી ગયાં અનુને ત્યાં અનુનો હાથ માંગવા. જીવનમાં પહેલીવાર અનુ આટલી ગભરાઈ ને સંકોચાઈ... તે તો હજી આજે પોતાના માતાપિતાને ભરત પ્રત્યેના તેના પ્રેમની વાત કરવાની હતી.
ભરતનાં માતા અને પિતાને અનુની અને તેના માતા પિતાની સાદગી ખુબ રૂચી ગઈ ને ગોપાલભાઈને કહેવા લાગ્યાં, "હવે અમારાથી બહુ રાહ નહીં જોવાય, આવી સુંદર અને સુશીલ દીકરી અમને વહેલી તકે સોંપો એવી અમારી નમ્ર વિનંતી છે. "તરુબહેન અને ગોપાલભાઈ હજી આગળ કંઈ કહે તે પહેલાં જ ભરતનાં પિતાએ કીધું, "અમને બસ કંકુ ને કન્યા બે જ ખપે. અમારી દીકરીને અમે અમારી મરજી પ્રમાણે શણગારશું. એની ચિતાં તમે ના કરશો. એને કોઈ વાતે દુઃખી નહિ થવા દઈએ." ગોપાલભાઈ અને તરુબહેન તો આટલાં મોટા ઘરનાં અને ખાનદાની વેવાઈ પામતાં ધન્ય થઇ ગયા. ને લેવાયા ઘડિયા લગ્ન...આનંદથી પ્રસંગ પતી ગયો.
ત્રણે દિકરીને સારે ઘરે વરાવી ગોપાલભાઈ અને તરુબહેન બન્ને પ્રભુમય જીવન ગાળવા લાગ્યાં. પણ કેવાય છે ને કે સંસારમાં સુખ અને દુઃખની ઘટમાળ ચાલતી જ રહે છે. એક દિવસ ગોપાલભાઈને એકદમ છાતીમાં દુઃખાવો ઉપાડ્યો. હજી ત્રણે દીકરી પિતા પાસે આવે તે પહેલા તો તેઓ હરિના ધામમાં ચાલી ગયાં. ત્રણે જમાઈ પણ સારા મળ્યાનો સંતોષ લઈને ગયા હતા. હજુ બારમું તેરમું પત્યું ને તરુબહેને પણ પ્રભુ મરજીનો સ્વીકાર કરી શોક બાજુ મૂકી ઝડપથી પતિએ લીધેલાં સિલાઈના અધૂરાં કામ પતાવવા લાગી ગયા હતા. વારાફરથી એક એક દીકરી તરુબહેન સાથે થોડો સમય રહેવા લાગી અને સમય વીતતો ચાલ્યો. તરુબહેન પણ હવે દીકરીઓને કહેવા લાગ્યા, "તમારો પણ સંસાર છે આમ પિયર આવું રોકાઓ બહુ સારું ના લાગે, છોકરીની માતાએ તો એકલા જીવતા શીખવાનું જ હોય છે. વળી તમે બધા અવારનવાર ખબર તો પૂછતા રહો છો ને મને કંઈ તકલીફ હશે તો હું તમને જ કહેવાની છું ને. હવે તમારા સંસારમાં મન લગાવીને આનંદ કરો ને સુખી રહો ને બધાને સુખ આપો ને તમારો કુટુંબ ધર્મ અપનાવો." એવામાં જ અનુ બોલી ઉઠી કે, "આપણે હવે અઠવાડિયાનો એક શનિવાર ત્રણે બહેનો બપોરથી મા પાસે આવીએ ને રાત પડે ત્રણે જમાઈ આવશે. બધા સાથે બેસીને જમીને છૂટા પડશું." તરુબહેનને પણ આ યોજના ગમી અને સર્વાનુમતે મંજુર થઇ. ગીતા, રમીલા અને અનુ દર શનિવારે બપોરનું ઘરકામ વગેરે પતાવીને માતા તરુબહેનને મળવાં આવતાં. બધાં જમાઈને પણ એકબીજા સાથે સારું બનતું. ક્યારેક માતાને લઇ બધાં પિક્ચર જોવાં જતાં.
થોડા દિવસ થયાં ને ગીતાએ માતા બનવાની છે તેવા સમાચાર આપ્યા. ને આનંદનું વાતાવરણ થયું. ગીતા સાસરીમાં એકની એક, નહીં દેરાણી કે જેઠાણી ને મરતાને મર ના કહે તેવા સ્વભાવના સાસુ , ને પાછી પોતે પણ શાંત સ્વભાવની. નાનપણમાં ગીતાએ અનુને એક માતા જેટલાં પ્રેમથી ઉછેરી હતી. આથી અનુને એની બહુ ચિંતા રહેતી. અનુને હંમેશા થતું કે ગીતાબહેનને કાંઈ ખાવા પીવાનું મન થશે તો પણ તે બોલે તેવાં નથી ને સુરેશભાઈના સ્વભાવ મુજબ તે કાઈ બહેનને પૂછશે પણ નહિ. માટે અનુ ગીતાને ત્યાં વારંવાર જતી અને ખબર દિવસમાં એક વાર ફોન કરી ને ખબર પૂછતી. એકાદ બે વખત સુરેશભાઈને ટકોર કરતાં કીધું પણ ખરું કે ગીતાબહેનની આવી અવસ્થામાં એની થોડી વધારે સંભાળ રાખવી જરૂરી હોય છે. તો જવાબમાં સુરેશભાઈ કહે , "અરે તું છુંને સંભાળનારી, પછી મારું શું કામ? તારો હુકમ માથા પર, તને લાગે ત્યારે મદદ કરવા આ બંદા તૈયાર."
ગીતાનું મન પ્રફુલ્લિત રહે તે માટે અનુ જ તેનું ધ્યાન રાખતી. ક્યારેક પિક્ચર જોવાં જતાં તો ક્યારેક સાંજે આંટો મારી આઇસક્રીમ ખાવાં જતાં.આમ સાત મહિના કયાં પસાર થઇ ગયાં. ગીતાનો ખોળો ભરવાં નો પ્રસંગ પતાવી ગીતા પિયર રહેવા આવી. તરુબહેન પણ આનંદિત થઇ ગયા. તેમના એકલવાયા જીવન માં ગીતાની કંપની મળી. ગીતાને ભાવતાં ભોજન આપવા અને તેની તબિયતની સંભાળ રાખવી એજ થોડા મહિના માટે તરુબહેન નું ધ્યેય થઇ ગયું. મોજીલા સુરેશભાઈ ખબર પૂછવા આવતા જતા રહેતા.
મોટી બહેન ગીતાને સુવાવડ આવે એ દરમ્યાન અનુએ વિચાર્યું કે જો પોતે મોટી બહેનની સંભાળ રાખે તો આરથ્રાઇટીસનાં રોગથી પીડાતી માતા ને થોડી રાહત મળે. એક વખત પોતે પતિ ભરત સાથે સમય ગાળતી હતી ત્યારે એણે ભરતને પોતાનો વિચાર જણાવ્યો. ભરતે તુરંત હા પાડી અને કહ્યું ," આપણે આપણી માતાનો અને બહેનનો વિચાર તો કરવો જ જોઇએ , આફ્ટરઓલ આપણું એક કુટુંબ છે." અનુ એ જ્યારે માતાને આ વાત કરી તો ખરા અર્થમાં ભરત એક દીકરા સ્વરુપે લાગ્યો.
એક રાતે ગીતાને એકદમ પેટમાં દુઃખવા લાગ્યું , તરુબહેને સુરેશભાઈને તુરંત આવી જવા કીધું અને સાથે સાથે અનુને પણ એક ફોન કરી દીધો. ગીતાને હોસ્પિટલ લઇ ગયાં , ને ડોકટરે તપાસી ને કહ્યુંકે બાળકને ગળે નાયડો વીંટાઈ ગયો હોવાથી તાત્કાલિક સિઝેરિયન કરી બાળકને બચાવી લેવું જરૂરી છે. આમ પણ પુરા દિવસ થઇ ગયાં હતા ,ઓપરેશન કરી સ્વસ્થ પુત્રને જન્મ થયો. ગીતા અને બાળક બંનેની તબિયત સારી છે તે જાણી બધા નાં શ્વાસ હેઠા બેઠાં ને પેંડા વહેચાયા.
અનુએ હોસ્પીટલમાં રહી ગીતા અને બાળકની સંભાળ લેવાની જવાબદારી લીધી. ગીતાનાં પતિ સુરેશને ગીતાની સુવાવડ દરમ્યાન એકલતા નો અનુભવ થવા લાગ્યો. આમ પણ સ્વભાવે મોજીલા... દિવસો વિતતા ચાલ્યા. ગીતા સવા મહીનો થતાં પોતાને સાસરે ચાલી ગઈ. અનુ ક્યારેક ગીતાનાં ઘરે જતી. સ્ત્રીને ભગવાને એક ઇન્દ્રિય એવી પણ આપી છે કે સામેનાં પાત્રનાં અમુક વર્તનનો અણસાર આવી જતો હોય છે. અનુને ઘણીવાર સુરેશભાઈનું વર્તન જરા વિચિત્ર લાગવા માંડ્યું. તેમને અનુ તરફ કુણી લાગણી જન્મી હોય તેવો અનુભવ થવા લાગ્યો. તેવામાં એક દિવસ સુરેશે અનુને કહયું, "અનુ હું તને પ્રેમ કરું છં."પિતા સમાન મોટા બનેવી ની આ વાત સાંભળી અનુ જરાક હબકાઇ. એક બાજુ બહેન બનેવીનો સંસારને પોતાનો સંસાર આમ આવી વાત કેમ ચાલે! મૂંઝાયેલી અનુ ને તો ન કામમાં જીવ લાગે અને ખૂબ મૂંઝાયેલી રહેવા લાગી. એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ પડ્યો.
પ્રેમાળ પતિ ભરતની નજરે અનુના આ ફેરફારની નોંધ લીધી. એક દિવસ અનુને કહે, "ચાલ ઘણા વખતથી ક્યાંય બહાર નથી ગયાં આજે સરસ મજાનું ડીનર લેવા જઈએ." કેન્ડલ લાઈટ ડીનર લેતાં અનુને પ્રેમથી પૂછ્યું, "શું વાત છે અનુ? કેમ આટલી મૂંઝાયેલી રહે છે? " ને અનુની આંખોનો બંધ ખૂલ્યો, આંસુ તો વહેતા ચાલ્યાં તેમ ભરતની મૂંઝવણ વધતી ચાલી. પણ આજે ભરતે પણ નક્કી કર્યું હતું કે અનુની મુંઝવણનો અંત લાવાવો જ રહ્યો. અનુનો હાથ પ્રેમથી પકડી કહેવા લાગ્યો, " કેમ અનુ મારી ઉપર અને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ નથી? બેફીકર થઇ આજે મન હળવું કર." છેવટે અનુએ મન મક્કમ કરી બધી વાત કરવાનો નિર્ણય લીધો અને બોલી, "હમણાં છેલ્લે ગીતાબહેનને ત્યાં ગઇ ત્યારે બનેવી સુરેશભાઇ એ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો. હું ખૂબ મૂંઝાણી કે આતો કેવી વાત થઇ? આવો વિચાર જ કેવી રીતે તેમને આવે? ભરત, બહેનની જિંદગીનો તો વિચાર કરો!" ભરતે ખૂબ શાંતિથી આખી વાત સાંભળી ને પછી પ્રેમથી અનુને કહ્યું, "શું તું આને ખરો પ્રેમ કહે છે? અરે મોટીબહેનની સુવાવડ દરમ્યાન સુરેશભાઇનું મન સહેજ ચળ્યુ હશે. બાળક આવવાથી બહેનનું ધ્યાન થોડું ઓછું મળે એટલે ઘણા પુરુષોને આમ થતું હોય છે. આને પ્રેમ નહીં, પણ દેહાકર્ષણ કહેવાય. આવી બધી વાતો ધ્યાનમાં નહીં લેવાની. આપણો પ્રેમ શું એટલો નબળો છે કે આવી વાતોથી ડગે! અરે આવી અમથી વાતો મગજ પર લીધા વગર જિંદગી જલસાથી જીવ."
અનુ એ બે ક્ષણ અચંબાથી ભરત સામે જોયા કર્યું અને વિચારવા લાગી કે શું ઉચ્ચ વિચાર ધરાવે છે ભરત! અને એકદમ હળવાશ અનુભવી. બહેનની સુવાવડ પતાવી જ્યારે તે પોતાના ઘરે પાછી આવી ત્યારથી તેણે પોતાનામાં જન્મેલો માતા થવાનો ભાવ પ્રગટ થવાની અભવ્યક્તિ એક વિશ્વાસ સાથે ભરત આગળ કરી તો તેના આનંદની સીમાનો કોઇ પાર ન સમાયો. અને કહેવા લાગ્યો,
" સંગાથ રાખું જીવનભર વાદો અમારો,
હટાવું કાંટા બિછાવું સેજ સુંવાળી વાદો અમારો ,
ભલે હોય મંઝિલ દૂર પણ સાથ આપું વાદો અમારો,
સાથ હાલું જીવનભર વાદો અમારો"