માનવતા
માનવતા
આપણે જે પરિવારમાં જન્મ્યા એ પરિવાર જે ધર્મ પાળતો હોય એ જ આપણે પાળવા લાગીયે છીએ. એ ઉંમરે એ બાળ અવસ્થામાં આપણને એ જ્ઞાન નથી હોતું કે સાચું શું અને ખોટું શું ! દરેક ધર્મ અલગ અલગ સંસ્કૃતિ અને ભૌગોલિક પરિસ્થિતિને આધારે અલગ અલગ વિચારસરણી ધરાવે છે. પણ દરેક ધર્મનો નિચોળ એક જ છે, પ્રેમનું પ્રસરણ. આજે હુંના હિન્દૂ ધર્મની વાત કરીશ ના ઇસ્લામ ની. કે ના પછી ખ્રિસ્તી, પારસી કે બૌદ્ધની. આજે ફક્ત એ જ ધર્મની વાત કરીશ જેની આજે ખુબ જ જરૂર છે.
"ના હિન્દૂ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ તું ઇન્સાન હી બનેગા... "
માનવ ધર્મ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે. એવો મારો પોતાનો અનુભવ અને અભિપ્રાય છે.
શનિવારની સવારે હું ઘરેથી અમદાવાદ એરપોર્ટ તરફ આવેલ નોબલનગર વિસ્તારની એક હિન્દી મીડિયમ સ્કુલ શાળામાં એક સામાજિક સંસ્થા થકી વોલેન્ટિઅરિંગ માટે પહોંચ્યો. એકાદ કલાક હું વહેલા જ પહોંચ્યો જેથી ત્યાં મારા સિવાય કોઈ શિક્ષક કે વોલેન્ટિઅર નહોતા આવ્યા. શાળાની અંદર મારુ વ્હીકલ પાર્ક કરીને હું એક બાંકડા પર બેસી સંદેશ ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો. ત્યાં થોડા બાળકો એક પછી એક આવવા લાગ્યા, એક અઠવાડિયા પહેલાં એક કલાક માટે હું એ શાળાની મુલાકાતે ગયેલો પણ બધા સાથે એટલો વાર્તાલાપ નહોતો થયો. બાળકો આવી મને હાઇ ફાઇવ આપવા લાગ્યા અને મારુ નામ પૂછવા લાગ્યા. એમની આંખો માં ખુબ જ નિખાલસતાનો એહસાસ મેં માણ્યો.
"ભૈયા આપકા નામ ક્યાં હૈ..? " એટલા મધુર સ્વર માં એ બોલતા કે જાણે મારા પોતીકા હોય. મેં મારુ નામ જણાવ્યું અને એ મારી આસ પાસ બાંકડા પર અને ઝાડના ફરતે ઓટલા પર ગોઠવતા ગયા. એક પછી એક સવાલો શરુ થયા.
"ભૈયા , આજ આપ ક્યાં શિખાને વાલે હો ?"
"ભૈયા આજ મેં આર્ટ & ક્રાફટ મેં હું આપ વહાઁ આઓગે ?"
"ભૈયા આજ તો મેને ડાન્સ, ગિટાર ઔર સાયન્સ એક્સપેરિમેન્ટ લિયા હૈ... આપ મેરી ક્લાસ મેં આના..."
જેવા માસુમ સવાલો અને આજીજી કરી એમને મને પોતીકો બનાવી દીધો. મેં એક પછી એક વિદ્યાર્થીના નામ પૂછ્યા. પાયલ, શિવા, આનંદ, જીયા, વાસુદેવ, ઇકબાલ, સોફિયા જેવા નામો મને જાણવા મળ્યા. વિભિન્ન જાતિ, ધર્મ હોવા છતાં એમનો પ્રેમ મને એક જ સરખો અનુભવાયો. થોડા સમય બાદ પાયલ નામની વિદ્યાર્થીની જે ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી એને પોતાની બેગમાંથી ચોકલેટ કાઢીને મને આપી. આ એ વાત દર્શાવે છે કે બાળકોમાં જે ધર્મ જીવે છે એ માનવ ધર્મ જ છે. એમને હું ઈરફાન છું, હું મુસ્લિમ છું એનાથી ના કોઈ આપત્તી છે કે ના કોઈ ભેદભાવ. હું નાનપણથી જે વાતને સમજતો તો અને જે પણ સારા મનુષ્ય હોય એને પોતીકું માનતો હતો એ પ્રેમ મને એ બાળકો એ આપી દીધો. કોઈની જાતિ, કોઈના ધર્મ ને જોયા વગર તમે એના વર્તનથી જ જો તમે એને અપનાવો તો એથી મોટો કોઈ જ ધર્મ નથી.
એક દિવસ રવિવારે હું મારી મિત્ર મમતા સાથે અમદાવાદના આશ્રમ રોડ, ઇન્કમટેક્ષ નજીક આવેલા એક વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયો. ત્યાં સેવા કરી રહેલા બહેન સાથે ઓફીસમાં વાર્તાલાપ કર્યો. મેં અને મારી મિત્ર એ પૂછ્યું કે
"આ આશ્રમમાં કેટલા વૃદ્ધો રહે છે ? અમારે એમની મદદ કરવી હોય તો કઈ રીતે કરી શકીયે ? અમે એમને મળી વાતો કરી શકીયે ?"
જવાબમાં જાણવા મળ્યું કે..
"ત્યાં હાલ સત્તર વૃદ્ધ રહે છે, ચારનું નવું જ એડ્મીસન થયું છે. તમારે મદદ કરવી હોય તો પૈસા લખાવો અથવા ફ્રુટ દાનમાં આપી દો, અને નંબર આપો જેથી દવા કે કોઈ વસ્તુની જરૂર લાગશે તો અમે તમને ફોન કરીને મંગાવી લઈશું. અહીં કોઈ સાથે મળવાની કે વાત કરવાની અનુમતિ નથી, કેમ કે તમે જાઓ છો પછી એમને સાચવવા અમને ખુબ ભારે પડે છે. એ એમના છોકરાઓને યાદ કરીને રડે છે. જમતા પણ નથી."
મને અને મમતાને એમની વાત યોગ્ય લાગી પણ અમારે એમને મળવું હતું એટલે થોડીવાર પછી એ બહેન ઓફીસમાંથી ગયા તો અમે વિચાર કર્યો કે આપણે થોડી ગરમી છે તો આઈસ્ક્રીમ ખાવડાવવાના બહાને મુલાકાત કરી લઈએ. અને રવિવારે બપોરે એમને જમાડવા આવીશું સાથે કોઈ વસ્તુ લઇ આવશું જેથી એ બહેન આપણને પીરસવાની પરવાનગી આપે.
અમે આ વાત એ બેન સમક્ષ રજૂ કરી અને એમણે અમને પરવાનગી આપી. સાંજે સાત વાગે બધા આરતી કરવા એકઠા થયા ત્યાં સુધીમાં અમે આઈસ્ક્રીમ પાર્સલ કરાવીને લઈ આવ્યા. ત્યાં બેઠેલા દરેકને અમે આઈસ્ક્રીમ આપ્યા પણ એ બહેન પાછળ પાછળ ફરતા હતા જેથી અમે કોઈ સાથે બૌ વાત ન કરીયે. થોડીવાર પછી બેન બોલ્યા કે ત્રણજણ ઉપર ના માળે છે. ત્યાં તમે આપી આવો અને જલ્દી પાછા આવો. અમે ઉપર ગયા ત્યાં એક બા મને જોઈને ગળે વળગી ગયા. મારો દીકરો આવ્યો. મારો દીકરો આવ્યો એવા સ્વરથી મને એમના રૂમ માં રહેલ ચેર પર બેસાડ્યો.
"બેટા , ભગવાન તને ખુબ સુખી કરે, તું મોટો સાહેબ બને."
આવા નિખાલસ ભાવથી આશીર્વાદ આપ્યા. ના મારૂ નામ જાણ્યું કે ના એ આઈસ્ક્રીમના કપને ઠુકરાવ્યું. એ બા દવે હતા. બ્રાહ્મણ પરિવારના હોવા છતાં એમને મને ગળે લગાવતા ના કોઈ ધર્મ નડ્યો કે ના કોઈ લાછણ લાગી. મને માનવતા ધર્મનો પરિચય અહીં પણ થયો. બાળકો પછી વૃદ્ધોમાં પણ મને આ માણસાઈ દેખાઈ. હું સમજી ગયો કે સાચે બાળક હોય કે વૃદ્ધ દરેકને પ્રેમ જોઈએ છે. કોઈ મનભરી વાતો કરી જાય. કોઈ બાળક સાથે શાળામાં નાની અમથી પ્રવુતિ કરી જાય તો એ લોકો હંમેશા યાદ કરે છે.
તમે મંદિરે જાઓ કે મસ્જિદમાં, ચર્ચમાં જાઓ કે ગુરુદ્વારા એ, દરગાહમાં જાઓ કે દેવીના મઢે. બધે જ માણસ ભગવાન પાસે કૈક માંગવા અને મનની શાંતિ માટે જ જાય છે. ઘરમાં શાંતિ રહે, સગાંવહાલાં સાથે સારા સંબંધ રહે, આસ પાસ રહેતા લોકો સાથે ભાઈ ચારો રહે. ધંધામાં સલામતી અને તરક્કી રહે. જીવનમાં પ્રેમ રહે એ જ દરેક ને જોઈતું હોય છે.
માણસ પાણીની પરબ બંધાવે તો એ નથી જોતો કે અહીં હિન્દૂ પાણી પીસે કે મુસ્લિમ, પારેવડા જયારે તમે બાંધેલા કુંડમાં પાણી પીવે કે ઘરની છત કે આંગણામાં નાખેલી ચણ ખાય ત્યારે એ નથી જોતા કે આ બ્રાહ્મણનું ઘર છે કે હરિજનનું. આ મુસ્લિમનું પાણી છે કે ખ્રિસ્તીનું એ ફક્ત ખાઈ-પીને આશીર્વાદ જ આપે છે.
કોઈ લેખકે ખુબ સુંદર લખ્યું છે...
"મંદિરમાં ચણ ખાઈને એ મસ્જિદમાં પાણી પીવે છે. ધર્મને નેવે મૂકી એક ચકલી પણ કેવું સુંદર જીવે છે."
માનવ ધર્મ જ સર્વ ધર્મોથી ઉપર છે. જ્યાં માનવતા હશે ત્યાં નુકસાન , ઝગડા, વેર-ઝેરને સ્થાન ક્યારેય નહિ મળે.
બસ, એજ. અસ્તુ.