સંવાદિતા
સંવાદિતા
એક સરસ નાનકડી પણ મઝાની કથા વાંચવામાં આવી.
એક માણસ પોતાના ખભા પર લાકડીની મદદથી બંને તરફ માટલાં લટકાવીને નિકળે. કૂવા પર જાય અને બંને માટલાંમાં પાણી ભરીને પોતાના ઘર તરફ પાછો વળે. હવે વાત જાણે એમ હતી કે એક બાજુનું માટલામાં સહેજ કાણું હતું એટલે એમાંથી ઘણું-બધું પાણી તો એના ઘેર પહોંચતા સુધીમાં રસ્તા પર જ ઢોળાઇ જતું.
ઘણા લાંબા સમય સુધી આમ જ ચાલ્યા કર્યું. ના તો પેલો માણસ માટલું બદલે કે ના તો પેલા માટલાનું કાણું પુરે. આખું અને સાજું નરવું માટલું હતું એ તો મનોમન રાજી થાય કે એ પોતાના માલિકની બરાબર ચાકરી કરે છે. માલિકે જેટલું પાણી ભર્યું હોય એ પુરેપુરું ઘર સુધી પહોંચાડે છે.
બીજા માટલાને અત્યંત સંકોચ થતો. એણે પોતાના મનની વાત માલિક પાસે મુકી. “મને મારી જાત પર ખુબ શરમ આવે છે. મારામાં રહેલા કાણાંને લીધે તમે જેટલું પાણી ભરો છો એ હું ઘર સુધી પહોંચાડી શકતું નથી. મને લાગે છે કે હું તમારી યોગ્ય રીતે સેવા કરી શકતું નથી.”
કાણાંવાળા માટલાંની વાત સાંભળીને માલિકે જરા સ્મિત સાથે એને રસ્તામાં આવતા-જતાં ઉગેલા ફૂલોની હારમાળા બતાવી અને કહ્યું ,“ આ ફૂલોની હારમાળા જોઇ? તારામાં રહેલી ખામીને નજરમાં રાખીને જ મેં આ વ્યવસ્થા ગોઠવી હતી. દરરોજ આપણે જે રસ્તેથી પસાર થઈએ છીએ ત્યાં મેં આ ફૂલોના બીજ એવી રીતે વાવ્યા હતાં કે જેના પરથી પસાર થતાં તારા છિદ્રમાંથી જે પાણીની હળવી પણ સતત ધાર એના પર થયા કરે એના લીધે એને નિયમિત પાણી મળતું રહે અને મને નિયમિત ફૂલો મળ્યા કરે જે હું ઇશ્વરને અર્પણ કરી શકું. જો તારામાં આ ખામી ન હોત તો આવી સરળ રીતે ફૂલો ઉગાડવાનું અને મેળવવાનું શક્ય બન્યું હોત ખરું? તું તો ઇશ્વર સુધી પૂજાના ફૂલો પહોંચાડવાનું તો નિમિત્ત બન્યું છું.”
આ વાતને આપણે એવી રીતે લઈ શકીએ કે આપણા સૌમાં કોઇને કોઇ ખામી તો હોવાની જ. કોઇપણ માનવી સર્વાંગ સંપૂર્ણ હોય એ શક્ય નથી. આપણાંમાં રહેલી ખામી, અપૂર્ણતા કે નબળાઇને સમજીને એની સાથે મેળ સાધીને ય જીવનને અર્થપૂર્ણ બનાવી શકાય. આપણી જાતને આપણી ખામી સાથે સ્વીકારી લઈએ એવી જ રીતે અન્યની ખામીઓને પણ સ્વીકારી લઈને એની સાથે સંવાદિતા સર્જી શકીએ તો સંસારની ઘણીબધી સમસ્યાઓ હળવી થઈ જાય. જીવન સરળ અને આનંદમય બની રહે.