મારા દાદા – અંતિમક્ષણની આરાધના
મારા દાદા – અંતિમક્ષણની આરાધના
'અરે, આજે દાદાને એકદમ શું થઈ ગયું?'
આર્ણવ બહારથી આવ્યો. ઘરમાં પ્રવેશતાં દાદાને જોયા. જોરથી હાંફતા હતા.
'મમ્મી, જલ્દી આવ...'
'અરે, બેટા આવું કાંઈ પહેલીવાર નથી થયું.' હમણાં બે મિનિટમાં દાદાનો શ્વાસ હેઠો બેસી જશે. આર્ણવ જોતો રહી ગયો અને દાદા પાછાં એકદમ સામાન્ય રીતે વાત કરતા થઈ ગયા. મુલજીદાદા હવે ૭૫ વટાવી ચૂક્યા હતા.
આર્ણવ દાદાનો ખૂબ લાડકો હતો. ૭૫ની ઉંમર વટાવી ચૂકેલા મુલજીદાદા તેને ખૂબ વહાલા હતા. દાદા તેમની જુવાનીની વાતો કરે ત્યારે એક ચિત્તે સાંભળતો. દાદાએ કેવું સંઘર્ષમય જીવન ગુજાર્યું હતું તે સાંભળી તેને દાદા પર ગર્વ થતો. દાદાના પરાક્રમો, તેમના તોફાન અને તેમની બહાદૂરીની વાતો સાંભળી તેમાંથી ઘણું શીખતો.
મુલજીદાદાનો આસુતોષ એકનો એક દીકરો હતો. દીકરી પરણીને લંડન ગઈ. ત્યાં ભર્યા કુટુંબમાં હતી તેથી વારંવાર આવી શકતી નહીં. અચૂક પિતાજી સાથે વાત લગભગ રોજ કરતી. આર્ણવના મમ્મી મુલજીદાદાનું ખૂબ માન જાળવતાં અને તબિયતની કાળજી કરતાં. મનોરમાબા સાથ છોડીને ગયાને દસકો પસાર થઈ ગયો. શુશીલ વહુ ઘરમાં હોવાથી મુલજીદાદાને કશી અગવડ પડતી નહીં.
મુલજીદાદા જાણતા હતા કે ક્યારે જીવન દીપ બુઝાઈ જશે. ભલે ૨૧મી સદીમા હતાં. અમુક જૂના રીતિ રિવાજોમાં તેમને અપાર શ્રદ્ધા. જીવનની અંતિમ ક્ષણની આરાધનાના મતમાં હતાં. વૈષ્ણવતાના આગ્રહી જાણતા કે આજના જમાનાના બાળકો કશું જ કરવામાં માનતા નથી. મંદિરમાં ગાયનું દાન આપ્યું. ઘાંસચારા માટે ૨૫ હજાર રૂપિયા ફાળવ્યા જેથી આખી જિંદગી વ્યાજમાંથી તેને ઘાંસ પૂરતું મળી રહે. બ્રાહ્મણના દીકરાઓને ભણવાની સગવડતા કરી આપી.પોતાના નોકરોના બાળકો્ને વિદ્યા ઉપરાંત લગ્ન નિમિત્તે પણ પૈસા મળે તેવો બંદોબસ્ત કર્યો.
દીકરીના બાળકો માટે મામેરાના પૈસાની વ્યવસ્થા ખૂબ સુંદર રીતે કરી. આર્ણવ દાદાનો ખૂબ લાડકો હતો. આર્ણવ માટે તો સુંદર નકશો તૈયાર કર્યો હતો. દીકરો મોટો થાય પછી આપોઆપ તેનો અર્થ ઉકેલી શકે!
આર્ણવ જ્યારે કોઈ સવાલ પુછે ત્યારે દાદા ખુલાસા પૂર્વક કહે. પૌત્ર દાદાની જીવન શૈલીથી ખૂબ પ્રભાવિત થતો. કોઈ પણ મનની મૂંઝવણ હોય ત્યારે દાદા પાસે દોડીને પહોંચી જતો.
કાર્યદક્ષ મુલજીદાદાએ અંતિમ સમયે કરવાનું કોઈ કાર્ય બાકી રાખ્યું નહીં. અરે, પોતાને પહેરાવાના કપડાં, ચરણામૃત સઘળું એક બેગમાં ભરીને તૈયાર રાખ્યું.
જ્યાારે મુલજીદાદાએ આ પાર્થિવ દેહનો ત્યાગ કર્યો ત્યારે આસુતોષ નવાઈ પામ્યો. ફુલવાળો હાર બનાવીને લઈ આવ્યો. અંતિમ વિધિ માટેની બધી તૈયારી આપોઆપ થઈ ગઈ. અરે, કોઈનો એક પણ પૈસો ઉધાર ન હતો!
સ્માશાન યાત્રાની એક પણ વિધિમાં તેમણે ભૂલથાપ ખાધી ન હતી. શું કહેવું શબ્દો ન હતા.