બેસણું
બેસણું
લોકો દોડતા હતા... બધા પાસે કોઇ ને કોઇ કામ હતું. કોઇ કસર નહીં રહેવી જોઇએ. મોટો મંડપ બંધાઇ ગયો હતો, અંદર જાજમો પથરાઇ ગઈ હતી. બહાર પાર્કીંગની વ્યવસ્થા ગોઠવાઇ ગઈ હતી.
શેઠ રાયબહાદુરનું બેસણું હતું. કામ પ્રસંગે બહારગામ ગયેલ શેઠજીનું કાર અકસ્માતમાં અચાનક મૃત્યુ થયું અને ચહેરો ઓળખાય એવો પણ ન રહ્યો. અંતીમયાત્રા, અગ્નીસંસ્કાર અને આજે બેસણું... બેસણામાં શહેરનાં ઘણા લોકો આવવાની ગણતરીથી વિશાળ વ્યવસ્થા કરાઇ હતી.
નક્કી થયેલા સમયે સંગીતકાર મંડળી પણ આવી પહોંચી. આ પ્રખ્યાત સંગીતકાર ડબલ રકમની ઓફર પર માંડ રાજી થયો હતો... પણ કોઇ કસર રહેવી ન જોઇએ... બધા શોકમગ્ન હતા.. શેઠજીનો પરીવાર, કંપની નો સ્ટાફ, એમના પર્સનલ સેક્રેટરી, એમના વકીલ (જે એમના અંતરંગ મિત્ર પણ હતા.) અને બેસણા પછીની ખાનગી કૌટુંબીક મીટીંગમાં શેઠજીની વસીયત વંચાવાની હતી.
બેસણું શરૂ થયું. લોકો આવતા જતા રહ્યા. પ્રણામની મુદ્રામાં હાથ જોડાતા રહ્યા, છુટતા રહ્યા. બધું સામાન્ય હતું. શરૂઆતમાં, પણ પછી, ધીમે ધીમે અસામાન્યતા દેખાવા લાગી. શેઠજીના ત્રણ પુત્ર હતા. કિશન, ગોપીનાથ અને મુરારી... ત્રણેનાં મોબાઇલ બંધ થવાનું નામ નહોતા લેતા. એક પછી બીજો ફોન, ઉપરા ઉપરી. ત્રણે વારાફરતી ઉભા થઈ વારંવાર ખુણો શોધતા રહ્યા... અને એમજ બેસણાનો સમય પૂરો થયો. પછી ફેમીલી મીટીંગ ગોઠવાઇ, એમાં શું થયું એ તો એમાં હાજર લોકો જ જાણતા હતા...
અને આ બધું પત્યા બાદ ત્રણે ભાઇ ફરી પાછા ફોન પર લાગી ગયા હતા, ફરક એટલો કે હવે આ લોકો ફોન કરી રહ્યા હતા.
----
અને આ માહોલથી દૂર શહેરના બીજા છેડે એક નાનકડી હોટલના રૂમમાં ત્રણ જણા ચા પીતા બેઠા હતા. સાથે વાતચીત પણ થતી હતી...
વ્યક્તી ૧ - બેસણું શાંતીથી પતી ગયું...
વ્યક્તી ૨ - અને વસીયતનું વાંચન પણ... શાંતીથી...
૧ - પણ ત્રણેના ફોન ચાલુ જ હતા. તમારી વાત સાચી હતી સર. ત્રણે જણ દેવામાં ડુબ્યા છે, અને ઉઘરાણી ટાઇટ છે. મેં એમને સતત એવા જવાબો આપતા સાંભળ્યા કે... બેસણું તો પતવા દો...
ત્રીજી વ્યક્તીના હોઠો પર હળવું હાસ્ય હતું. "તમે બંને જણા બેસણામાં દુ:ખી તો હતા ને ?" કહેતા એ ખડખડાટ હસી પડ્યા...
૧ - હવે સર... એટલી તો એક્ટીંગ કરવી પડી...
૨ - જો કે... અઘરૂં હતું... વેલ... તમારો આગળ શું પ્લાન છે ?
૩ - રીટાયરમેન્ટ પણ કોઇ ચીજ છે યાર.. મેં મારી બધી વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી છે... બે દિવસમાં જ હું અહીંથી નીકળી જઈશ...
૨ - પણ આ રીતે ? શા માટે ?
૩ - આ મારો રસ્તો છે..
૧ નંબર અને ૨ નંબર ઉભા થયા...
૨ - આપની ઇચ્છા મુજબ ત્રણેનું દેવું ભરપાઇ કરી દેવામાં આવ્યું છે, જેની એમને પછીથી ખબર પડી હશે, અને કોણે ભર્યું એના વિશે એ હજી ચકરાતા હશે..
અને મલકાતા મુખે શેઠ રાયબહાદૂર બોલ્યા : તમારા બંને સીવાય કોઇ જાણતું નથી કે હું જીવતો છું... મારા ત્રણે દીકરા હવે જવાબદારી સમજશે પણ એ માટે મારે દૂર થવું જરૂરી લાગ્યું...
સેક્રેટરી અને વકીલ સાહેબે વિદાય લીધી... એક જીવતા વ્યક્તીના ભવ્ય બેસણાની યાદો મમળાવતાં...