ઉદાર દિલે
ઉદાર દિલે
"શું હાફુસના કરંડિયામાં ચાર કેરી સારી હશે તો તેને આપણે સડેલી કેરી સાથે ફેંકી દઈશું?"
જવાબ સીધો છે, 'ના'.
હવે ઉદાર દિલે આ સત્ય ઘટના વાંચો અને વિચારો.
હુસેનમિંયા નામ પરથી જ ખબર પડે કે મુસલમાન છે. નસિબ જોગે ફાતિમા પણ ખૂબ શ્રદ્ધાળુ હતી. જન્મે મુસલમાન તેને તો કેમ કરી અટકાવાય! બંને પતિ પત્ની કૃષ્ણના ભક્ત હતાં. રામ તેમના હ્રદયમાં વસ્યા હતા. તેમને ઘણા હિંદુ મિત્રો હતા. તેમનાં સ્વભાવ, રહેણીકરણી હિંદુઓની હોય તેના કરતાં પણ વધારે 'હિંદુ' હતી.
બે બાળકો રાધા અને રામ. સુંદર સંસ્કારી ,ભણવામાં કુશળ અને શિસ્તના આગ્રહી. માતા પિતાને ખૂબ પ્યારને સમ્માન આપતાં. હુસેનમિંયા ધંધો પ્રમાણિકતાથી કરી બે પાંદડે થયા. ફાતિમા સિલાઈકામમાં પ્રવીણ હતી.
સુંદર કપડાંની સિલાઈ કરતી. અવનવી જમાનાની રીત પ્રમાણે ભાતભાતની કારિગરી દ્વારા ગ્રાહકોને ખુશ રાખતી. કોલેજની યુવતીઓ તેની સુંદરતા જોઈ ફાતિમા પાસે પોતાનાં કપડાં સિવડાવતી. તેની સિલાઈમાં ક્યાંય આછકલાંપણું જણાતું નહીં. તેથી યુવાન છોકરીઓની મા તેમને મોં માગ્યા દામ આપવા માટે રકઝક ન કરતી.
સવારના પહોરમાં હુસેનમિયા મોટેથી ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા' ગાઈને ઘરનાંને અને શેરીની વસ્તીને જગડતા. સહુને એક આદત પડી ગઈ હતી. જો કદાચ વહેલું મોડું થાય તો તેમની દિનચર્યામાં ગડબડ થઈ જતી. રાધા અને રામને મિત્રો પણ હિંદુ હતા. નામ ઉપરથી કોઈ કહી પણ ન શકે કે તેઓ જન્મે મુસલમાન છે.
બંને ભાઈ અને બહેન ભણીગણીને સારી નોકરીએ લાગ્યા. સ્વભાવિક છે માતાપિતા તેમના લગ્નની ચિંતા કરે. રાધાને બાજુનાં મકાનમાં રહેતાં રોહિત સાથે પ્રેમ થઈ ગયો હતો. રોહિતને પણ સુંદર રાધા ખૂબ ગમતી. રામ ડોક્ટર થયો. તેની સાથે ભણતી રીના સાથે વચનથી બંધાયો હતો. માતા અને પિતા આ વાતથી અનજાણ હતા.
રોજ સવારે હેંગીગ ગાર્ડન મિત્રો સાથે હુસેનમિંયા ફરવા જતા ત્યારે ધર્મની ચર્ચા ચાલતી હોય. તેમનું વેદ, રામાયણ અને મહાભારતનું જ્ઞાન જોઈ તેમના
હિંદુ મિત્રો ચકિત થઈ જતા. ગીતાતો તેમણે પચાવી વર્તનમાં સાંગોપાંગ ઉતારી હતી. એક દિવસ તેમનાં મિત્ર શાંતિભાઈ કહે, "હુસેનમિંયા આટલો બધો હિંદુ ધર્મ પ્રત્યે પ્રેમ છે. તમારું વાંચન અને જ્ઞાન પણ અઢળક છે. તમે હવે હિંદુ ધર્મ બસ અપનાવી લો."
હુસેનમિંયા એક પલક વિચારમાં પડી ગયા અને બોલ્યા, "શાંતિભાઈ મને હિંદુ ધર્મ અપનાવવામાં જરા પણ વાંધો નથી. મને ખાત્રી આપો કે મારા બાળકોને તમે દીકરા, દીકરી પરણાવશો?"
શાંતિભાઈ જવાબ ન આપી શક્યા. ગરીબ પ્રજાને નિચલી વર્ણ ગણી આપણે તેમને હડધૂત કર્યા. તેના પરિણામ રૂપે ઘણાં હિંદુઓ વટલાઈને મુસલમાન થઈ ગયા. હવે જ્યારે તેમેને પાછા હિંદુ થવું હોય તો ઉદારતાતો દાખવવી જ પડે.
ભલું થજો કે તેમનાં બાળકો હિંદુને પરણ્યા. પ્રેમ થઈ જાય છે. પ્રેમ થાય ત્યારે બીજું બધું ગૌણ હોવાથી હુસેન મિંયા અને ફાતિમા બાળકોને પરણાવતાં પહેલાં હિંદુ ધર્મ અપનાવી વાજતે ગાજતે લગ્ન વિધિથી કર્યા.
ઉદાર દિલનાં આવા સુંદર પ્રસંગો નજરે પડે ત્યારે હ્રદયમાં આનંદની અનૂભુતિ થાય.