છેલ્લે તો આપણે બે જ હોઇશું
છેલ્લે તો આપણે બે જ હોઇશું
કવી મૃગાંક શાહની આ કવિતા મારા આ પ્રકરણ નો આખો સાર જ કહીયે તો ચાલે તેમ છે.
નિવૃત્ત થયા પછી જીવવાના બે દાયકા હોય છે અને તેમાં સાથી સાથે સ્પર્ધા નથી પણ નિર્દોષ ધમાચકડી હોય છે. કહે છે ને વધતી ઉંમરે બચપણ પાછુ આવે છે. અને સાથે સાથે સાથીને ભરપુર પ્રેમ પણ આપવાનો હોય છે.પણ કમભાગ્યે તેમ થતું નથી. પાછલી ઉંમરે એક રોગ વળગે છે સંવેદનશીલતાનો…
“મહાદેવનાં ગુણ તો પોઠિયો જ જાણે ને? એમની તો રગે રગ હું જાણું.”
આ દાવો કરનાર પતિ હોય કે પત્નીતે બંન્ને મહદ અંશે ખોટા જ હોય છે. તે બંન્ને એક મેક્નો ભૂતકાળને જ જાણતા હોય છે તેમના આજ અને આવતીકાલ વિશે તે બંન્ને લગભગ અજાણ હોય છે. ઉંમરનાં અને સમયનાં પરિવર્તનોથી તેઓ લગભગ અજાણ જ હોય છે. સોમાકાકા અને શાંતાકાકીનાં કેસમાં કંઇક આવું જ બન્યુ.
સોમાકાકાએ ૫૦ વર્ષનાં લગ્ન જીવનમાં કદી ધાર્યુ નહોંતુ ૭૫ વર્ષે શાંતા કાકી પચાસ ટકા સંપતિમાં ભાગ માંગશે અને છુટા છેડાની અરજી કરશે. સોમાકાકા બધી રીતે સારા પણ તેમને મન તેમનું સાસરું નબળું અને વારંવાર વહેવારની બાબતે તેમને ઓછુ આવી જાય.જ્ યારે શાંતાકાકી આ બધામાં વારંવાર મો સીવી લે. હવે ૫૦ વરસ પહેલા મારા બાપાએ કંઇ ના કર્યુ તેને હવે સુધારી શકાય નહિ, તો હવે ભુલી જાવને ?
વાત વાતમાં શાંતાકાકીને ‘ચાલવા માંડ” કહીને ઉતારી પાડ્યા ત્યારે ખરેખર લાગી આવ્યુ.
“પચાસ પચાસ વર્ષથી નોકરી કરીને ઘર ભર્યુ અને હજી મારા બાપાએ લગન વખતે વહેવાર ન કર્યો વાળી વાતને ચગળતા શરમ નથી આવતી ?” ડોક્ટર દીકરા પાસે કકળતા શાંતાકાકી બોલ્યા.
બે પાંચ દિવસે શાંત થઈ જતા કાકી આ વખતે સહેજ પણ ટસના મસ ના થયા. ત્યારે દીકરી અને વકીલ જમાઈએ શો કોઝ નોટીસ મોકલાવી.
પછીતો વકિલોએ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોથી ફાઈલો ભરી. અને વકિલોએ ઘર ભરયા. બંને જ્યારે કાનુની રીતે છુટા પડ્યા ત્યારે ચાર મોટેલો ઘટીને બે થઈ. ભારતમાં કશુંજ ના રહ્યું અને ડોક્ટર દીકરાએ જ્યારે ઝઘડતી માને અલ્ટીમેટમ આપ્યુંંકે સમાધાન કરો નહીંતર સીનીયર હાઉસમાં રહેવા જાવ મારા બાળકો પર કુસંસ્કાર પડે છે. ત્યારે શાંતાકાકીની આંખ ખુલી…પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયુ હતુ.
બહારનું ખાવાપીવાનું અને ટેંન્શનથી સોમા કાકાની પણ કીડની ખલાસ થઈ ગઇ હતી. આખરે તે દિવસ આવી ગયો જ્યારે મિલ્કતો વહેંચાઈ ગઈ અને ૫૪ વર્ષનાં લગ્નજીવનનું પૂર્ણ વિરામ આવી ગયું.
શાંતિથી વિચારતા સોમાકાકા અને શાંતાકાકી જાણતા હતા કે વાંક બંનેનો હતો. કોઇક જરા વેંત નમ્યું હોત તો જિંદગીનાં અંતિમ તબક્કે છુટા પડવાનો વારો ના આવ્યો હોત. પણ હોની ને કોણ ટાળી શકવાનું હતુ ?
ઉપરનું કાવ્ય એટલુંજ સમજાવે છે કે નિવૃત્ત થયા પછી સૌથી મોટું કામ પતિ અને પત્ની વચ્ચે એક મેકનું માન રાખવાનું છે. અને આ માન રાખવાનો અર્થ એટલોજ કે તમને આટલો વખત સહન કર્યા તે જ સૌથી મોટો ગુણપાહાડ છે. માન અને અપમાનનાં ઉભરાને સહન કરવા માટે. અને આ ઉંંમરેજ પેલા બાળક જેવી રમતિયાળ વૃતિ આવવી રહી. એ તો છે જ એવી કે એની સાથે એના જેવું ન થવાય. અભી બોલા અભી ફોક જેવું કરીને જીવતા સોમાકાકા અને શાંતી કાકીને ન આવડ્યુ.
જો તેમ કરીને શાંતાકાકી જીવી ગયા હોત તો વકીલોનાં આટલા બધા ઘર ન ભરાત. છેલ્લા પચાસ વર્ષથી આ મેણા સાંભળતા હતા તો હવે જીવવાનું પણ કેટલું હતુ ? એટલું જીવ્યા તેટલુંતો નહોંતું જ જીવવાનું ને ?
સોમા કાકા બીજે દિવસે દીકરાને ત્યાં જઈને શાંતાકાકીને કેમ લઈને ના આવ્યા ? તેમનો અહંકાર તેમને નડ્યો તેઓ માનતા કે નારી, ઢોલ અને ઢોર એ સબ તાડન કે અધિકારી. આ માન્યતા પણ ખોટી. અગત્યની વાત એ છે કે સહજીવન જેટલું વધુ સાથે જીવ્યા તે મોટો ગુણ પહાડ છે. એકમેકને સહ્યા તે મોટો ભાગ છે.