વિદાય
વિદાય
વહેલી સવારે નાનીમા મમ્મીને ઉઠાડતા કહેતી હતી “અલી સોનલ! તારા પપ્પા કંઈ બોલતા નથી જરા ઉઠાડને તેમને.." સોનલ ઉંઘમાં જ હતી પણ મમ્મીના અવાજે ઝબકીને પપ્પાના રુમમાં પહોંચી..પપ્પા સુતા હતા…અને મમ્મીનું રડવાનું ચાલુ થઈ ગયું હતું… સહેજ ખીજવાઈને તે બોલી.
“મમ્મી! તને ઉંઘ નહીં આવી હોય.. પણ પપ્પા તો શાંતિથી સુતા છે..ચાલ હવે એમને સુવાદે!”
પણ મમ્મી ના માની…” બેટા આટલો પણ અવાજ થાય તો તે તો ઝબકીને જાગી જાય. માન કે ના માન કંઈક થયુ છે… તારા પપ્પા હવે આપણી સાથે રહ્યા નથી.”
હવે સોનલ ભડકી “શું વાત કરે છે મમ્મી? પપ્પાને તો નખમાં ય રોગ નથી.”
ફરી લાઈટ કરીને સોનલે “પપ્પા પપ્પા“ કર્યુ અને સહેજ ઢંઢોળ્યા તેને પણ ધ્રાસકો પડ્યો અને બોલી,
“મોમ ! ૯૧૧ને ફોન કરું?”
પાંચ વર્ષની ગ્રીષ્મા ઘરમાં થતી રડારોળ સમજવા મથતી હતી.. ૯૧૧માંથી પેરામેડીકલ માણસો સ્ટ્રેચર લઈને ઉપલે માળે જઈ રહ્યા હતા. બાની પાસે બેસીને મમ્મી પણ રડતી હતી. નાનાની તબિયત બગડી હતી.
સ્ટ્રેચર ઉપર નાનાને લઈને ચાર પેરામેડીકલ ઓફીસર ઝડપથી નીચે ઉતર્યા..”કદાચ સુગર ખુટી ગઈ હશે..” નાડી પકડાતી નહોતી એટલે તેમની વર્તણુંકમાં ઝડપ હતી…
સાયરનોના અવાજે આખી શેરી જાગી ગઈ હતી અને સબવીઝનમાં લાઈટો થવા માંડી હતી વહેલી સવારનાં ચાર વાગ્યા હશે. એમ્બ્યુલન્સ જતી રહી હતી પાછળ એક પોલીસ વિગતો ભરી રહ્યો હતો જેમાં ઇન્સ્યોરન્સ કાર્ડ અને આઈડૅન્ટીટીકાર્ડ અને હેલ્થ વિશેની વાતો મુખ્ય હતી પણ મંદાબેનનો જીવ પડીકે બંધાયો હતો..
સીપીઆર ટેસ્ટ આપનારના પડી ગયેલ મોં અને દેહને જલદી લઈ જવાની ઉતાવળને ૮૪ વર્ષની પત્ની સમજી ન શકે તેવું તો નહોંતું. હા એ વાત અલગ હતીકે તેને સ્વિકારવાનું કાઠું પડતું હતું.
સોનલ મમ્મીને અને નાની ગ્રીષ્માને તૈયાર કરીને હોસ્પીટલ પહોંચી ત્યારે પ્રાથમિક સારવારો અપાઈ ગઈ હતી.. સોનલ સાથે ડોક્ટર દેસાઈ પણ હતા તેથી તેમને રીપોર્ટ આપતા ત્યાંના ડોક્ટરે કહ્યું “માસીવ હાર્ટ એટેક હતો.. ઉંઘમાં જ ખલાસ થઈ ગયા છે. તમારે જે સગા વહાલાને ફોન કરવો હોય તે કરીદો…”
મંદાબેનને માનવું નહોતુ ૫૫ વર્ષનું લગ્નજીવન અને કાયમ એમ જ વિચારાતું કે મંદાબેનની તબિયત સારી નથી અને અચાનક જ “એ” મને મુકીને એમ ચાલી નીકળ્યા?
નાની ગ્રીષમાને સમજાતું નહોંતું કે પોલિસ શું કહેતી હતી પણ મમ્મી અને નાનીમાને ઉદાસ જોઈને તેને પણ રડવું આવતું હતું.
મમ્મી સાથે ઘરે જતા ગ્રીષ્માએ પહેલો પ્રશ્ન કર્યો “નાનાને સારું તો થઈ જશેને?”
મંદાબેને છલકતી આંખે કહ્યું “બેટા નાનાને હવે કદી સારુ નહીં થાય…”
“નાનીમા એવું કેમ કહો છો.. તમે તો કાયમ સાજા થઈને આવો છો ને?”
“હા પણ નાના હવે કદી સાજા નહીં થાય.”
“કેમ ? નાની કેમ?”
"તેમને પ્રભુ તેડી ગયા.”
“એટલે?”
“એટલે તે ભગવાનને ત્યાં પહોંચી ગયા જ્યાંથી કોઈ પાછુ નથી આવતું.”
“પણ ભગવાનને નાનાની શી જરૂર પડી?”
મા દીકરી અને પૌત્રી ત્રણેય શાંત હતા અને અચાનક સોનલ ચાલુ ગાડીએ રડવા માંડી.. મંદાબેનને પણ રડવું હતું.. ગ્રીષ્માને સમજાતુ નહોતું કે મમ્મી કેમ રડે છે. પાંચેક મીનીટ રહીને ઘરે પહોંચ્યાં. ત્યારે મંદાબેને સોનલના બરડે હાથ મુકીને કહ્યું.
”એ તો ગયા.. આપણાથી થોડું તેમની પાછળ જવાય છે? રડ ના પાણી પી અને એમની સંસ્મૃતિઓને યાદ કર.”
“બા. તને હું હવે અહીં એકલી નહીં રહેવા દઉં. મારી સાથે મારે ઘરે તને લઈ જઈશ.”
“હા પણ હવે થોડી સ્વસ્થ થા અને ફોનની ડાયરી ખોલ અને રાજુભાઈ અને વિનોદકાકાને ફોન કરી આ માઠા સમાચારો આપવાના છે અને કહેવાનું છે કે જે નાનાને ઓળખતા હોય તેમને સંદેશો આપવાનોછે.”
“બા તું રડને ? મારી જેમ… તને પણ આ દુઃખનો અનુભવ તો થાય છે ને? તો પછી તું પણ રડતી કેમ નથી?"
“જો મારે રડવું તો છે પણ તારા પપ્પાએ આ મૃત્યુનો મને મહિમા સમજાવતા કહ્યું હતું કે જે જનમ્યો તે તો જન્મતાની સાથે મૃત્યુની ટક ટક કરતી ઘડીયાળ લઈને આવ્યો હોય છે તે ટકટક જ્યારે શાંત થઈ જાય ત્યારે તેમણે કહ્યું હતું,
જીવન નદી જ્યારે ભળે, પુનિત તવ સિંધુ જળમાં
તો સજન શાને સારે અશ્રુ આવી પૂનિત પળમાં!
મને તે વાત હજી હમણાં જ સમજાઈ કે તેઓ શું કહેવા માંગતા હતાં. તેઓ જાણતા હતા કે જન્મ પછી મૃત્યુ પણ નિશ્ચિંત છે.
નાની ગીષ્માને હજી નાનાની ચિંતા હતી તેથી તે ફરી બોલી “મને તો નાના વિના નહીં ગમે. એ કેમ પ્રભુને ત્યાં મને મુકીને જતા રહ્યા? મને ભગવાનનો ટેલીફોન નંબર આપો હું ભગવાન સાથે વાત કરી નાનાને પાછા બોલાવી લઉં. મારું સ્કુલે જવાનું, મારું હોમવર્ક કરાવવાનું અને સ્કુલે જતાં ઉઠાડવાનું કામ એમના સિવાય બીજું કોણ કરશે?
મંદાબેન નાનકડી ગ્રીષ્માને સમજાવવા કટીબધ્ધ થયા. સોનલને તો હજી સમજાવવાનું બાકી હતું ત્યાં ગ્રીષ્મા વ્યગ્રતા વધારતી હતી. તેમણે નાની ગ્રીષ્માને હાથમાં તેડીને કહ્યું
“બેટા તારા પપ્પા તને બોલાવે તો રમતી રમતી પણ તું ઉભી થઈને જાયને?”
“હા બા એ તો જવું જ પડેને?”
“બસ તેમજ નાનાને તેમના પ્રભ પિતાએ બોલાવ્યા તો તેમને જવું પડેને?”
“નાની પણ આ મમ્મી કેમ રડ્યા કરેછે? મને પણ રડવું આવે છે.”
“બેટા નાના એ મમ્મીના પપ્પાને? તે પણ જતા રહ્યા છે ને?”
“મને આપોને ટેલીફોન નંબર હું તેમને પાછા બોલાવી લઉં છું..” આ વખત હળવે અવાજે તેણીએ ડુસકું નાખ્યું. ”મંદાબેને બંને દીકરીઓને પાણી આપ્યું અને તેમને ગમતી ભજનોની કેસેટ શરુ કરી…
જુનુ તો થયું રે દેવળ જુનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જુનુ તો થયું
સોનલે પપ્પાના ફોટા પાસે દીવો પેટાવ્યો અગર બત્તી કરી અને તેમને ગમતા મોગરાના પુષ્પો મુક્યાં અને ગ્રીષ્માને કહ્યું “નાના સુખીયા હતા કે ના કોઈની ચાકરી લીધી કે ના પીડાયા.. તેઓ ચોક્કસ જ પ્રભુધામમાં છે. તેમને વંદન કરીને કહો કે ભલે આપણા અન્નજળ પુરા થયા આપના આત્માને શંતિ મળે.. ઑમ શાંતિ.."
સોનલ ગ્રીષ્મા અને મંદાબેન સૌએ પગે લાગતા ઓમ શાંતિનો અવાજ કર્યો ઘરમાં લાઇટો થયેલી જોઈને પડોશીઓ એક પછી એક આવતા હતા અને મનોમન સોનલ અને મંદાબેનની સમજને બહુ માનથી જોતા હતા. અને સમજતા પણ હતા કે સહજતાથી સ્વીકારાતું મૃત્યુ એ તો ઉજવણું છે.
પ્રભુનો ન્યાય છે. તેને કૉર્ટમાં ના પડકારાય કે તેની પાછળ રોદણાનાં દેખાડા કે ધમપછાડા ના થાય. પ્રભુનો આ ન્યાય એવોછેકે જેમાં મુદ્દલ પણ જાય અને મુદ્દલનું વ્યાજ પણ જાય.. જે કામો તેમના બાકી રહી ગયા હોય તે કરવાના હોય. ગ્રીષ્મા સમજી જ નહોતી શકતી કે નાનાએ શા માટે જવું પડે અને ભગવાન ને ત્યાંથી તેઓ પાછા કેમ ન આવી શકે?
મંદાબેન તેને સમજાવતા હતા હવે તે જ વાત સોનલ તેને સમજાવતી હતી. પ્રભુપિતાને ત્યાં તેમની વધારે જરૂર છે તેથી તો તે ગયા.. તને કે મને આવજો પણ ના કહ્યું. હવે જો આપણે વધું રડીયે તો તે આત્માને દુઃખ થાય..અને પહેલા તું સમજ તેઓ પ્રભુ પિતાનું સંતાન એટલે તેમનાથી આનાકાની ના થાય.
હવે કંઈ ના ચાલ્યું એટલે તેણે પણ ભેંકડો તાણ્યો.. “નાના તમે ક્યાં છો”…
”એને છાની રાખતા બંને માની આંખો ફરીથી છલકાઈ અને ખરખરે આવનાર પડોશીઓ પણ અશ્રુ શ્રધ્ધાંજલી આપતા હતાશ..