બેસ્ટ રીડર
બેસ્ટ રીડર
બેસ્ટ રીડર એટલે શ્રેષ્ઠ વાચક, ઝડપભેર વાંચે, માર્મિક થઈને વાંચે, સમજે અને આનંદથી વાંચન કરે એમ જ ને ! પણ, કહેવાય છે કે બેસ્ટ રીડર એ છે જે શબ્દો નહીં સ્થિતિ વાંચી શકે, પરિસ્થિતિ વાંચી શકે, માણસ વાંચી શકે. આવા જ એક બેસ્ટ રીડરની આ વાત છે.
સિ.એમ.એમ. એક મલ્ટીનેશનલ કમ્પની હતી, જે ફેબ્રિક મેન્યુફેક્ચરિંગનું કામ કરતી હતી. આશરે દસ હજાર કર્મચારીઓ, લેટેસ્ટ ટેકનોલોજીના મશીન્સ અને ખૂબ જ સુંદર ત્યાંનું વાતાવરણ. એક નોકરિયાતને જોઈએ એવો સારો પગાર પણ હતો ત્યાં. પછી જોઈએ શું ? નગીનદાસ કાપડિયા કંપનીના મૂળ સ્થાપક અને પછી એમના દીકરાઓ પણ જોડાઈ ગયા બિઝનેસમાં. બધું બરાબર ચાલતું હતું. ત્યાં કોણ જાણે કેમ આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ એક વખત સહેજ ઉતારતો આવ્યો. આમ સામાન્ય રીતે બીજું કોઈ હોય તો આ વાતને કોઈ ગણકારે નહીં. પણ, વર્ષોના પીઢ નગીનદાસ કાકાથી આ બાબતે રહેવાયું નહીં. કારણકે નગીનદાસ કાકા જાણતા હતા કે નવું રિસર્ચ થશેનહીં તો માર્કેટમાં ટકવું મુશ્કેલ બની જશે. પ્રગતિ સંશોધન થાય એમાં જ હોય છે. આ આવનાર વ્યાપારિક જોખમનું સિગ્નલ હતું. એટલે એમણે મી.આર.કે.ઐયરને બોલાવ્યા અને ખૂબ ઝીણવટ અને ખાનગી રાહે તપાસ કરવાનું કહ્યું. આ ઐયર સાહેબ એટલે એચ.આર.ડિપાર્ટમેન્ટના હેડ. નગીનદાસ કાકા સાથે શરૂઆતના દિવસોથી જોડાયેલા, કંપનીના વફાદાર અને સમર્પિત પણ.
થોડા દિવસ ઐયર સાહેબે આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટ પર નજર રાખી. અને અચાનક એક દિવસ તીરંદાજી માટેના સાધનો આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં આવી ગયા. સહુને કહી દેવામાં આવ્યું કે સહુએ દસ બાણ સામે આપેલા નિશાન પર તાકવાના રહેશે અને જેનો સ્કોર સહુથી વધુ હશે એ દિવસે એ વ્યક્તિને બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ ડેનો એવોર્ડ મળશે. વર્ષને અંતે જેની પાસે આ એવોર્ડની સંખ્યા વધુ હશે એને બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ ડિપાર્ટમેન્ટનો એવોર્ડ અને ફેમિલી સાથે ટુરનું પેકેજ મળશે. ડિપાર્ટમેન્ટ હેડ થી લઈને પટાવાળા સુધી દરેક એ આ કાર્ય નિયમિત પણે કરવાનું રહેશે.
બે ચાર દિવસ બાણ નિશાન સુધી પણ ન પહોંચ્યા કોઈના. બે ચાર અઠવાડિયા પછી શરૂઆત થઈ અને કોઈ કોઈની પ્રગતિ એટલી સારી હતી કે બરાબર વચ્ચે નિશાન તકાતું હતું. બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ ડેના એવોર્ડ શરૂ થયા. આર એન્ડ ડી ડિપાર્ટમવન્ટનો ગ્રાફ એ હદે વધ્યો કે બજારમાં સિ.એમ.એમ. કંપનીના નવા લોન્ચ થયેલા ફેબ્રિકની મોનોપોલી થઈ, કોમ્પિટિશન માટે કોઈ હતું જ નહીં અને નવા નવા પ્રકારના ફેબ્રિક ડિપાર્ટમેન્ટ શોધવા લાગ્યું.
ધ્યાન, એકાગ્રતા, ધ્યેયસિદ્ધ, શાંત મગજ જેવા કેટલાય ગુણોનું સિંચન પહેલી દસ મિનિટમાં થતી તીરંદાજી જેવી સામાન્ય રમતથી કર્મચારીઓમાં થવા લાગ્યું. આ જ પ્રગતિ હતી. કર્મચારીઓ અને પરિસ્થિતિને વાંચવામાં ઐયર સાહેબ બેસ્ટ રીડર સાબિત થયા.