મારુ ગામ
મારુ ગામ
દરેકને પોતાનું વતન, પોતાનું ગામડું ખુબ જ વ્હાલું હોય છે. પોતાના સપનાઓ પુરા કરવા એ છોડીને શહેરમાં, બીજા રાજ્યમાં કે પછી વિદેશમાં ગયા હોય છતાં પોતાનું વતન ગામડું હંમેશા યાદ આવતું હોય છે. બાળપણના અમૂલ્ય દિવસો જ્યાં વિતાવ્યા હોય એ દરેક યાદ પોતાની સાથે હંમેશા રહેતી હોય છે. બાળપણના મિત્રો, ગામની શેરીઓ, મોટા ચોક, શાળાઓ, મંદિરો, રમતના મેદાનો, ગામની નાની નાની દુકાનો, વડીલો, ભવાઈઓ, નવરાત્રીની માંડવીઓ, ગામનો ઝાંપો (પાદર, બસ સ્ટેન્ડ) આપણાં મનમાં ખુબજ નાજુકાઈ થી કોતરાઈ ગયેલ હોય છે. એ અવિસ્મરણીય હોય છે.
જીવનની ભાગદોડમાં તમે જયારે કંટાળી જાઓ છો ત્યારે એ યાદો તમારા ચહેરા પર સ્મિત લાવી આપતી હોય છે. જીવનમાં ખુશીનું કારણ ન મળે ત્યારે વ્યક્તિને પોતાનું ગામ, પોતાનું વતન સાંભરે છે. જયારે કોઈ વ્યક્તિ તહેવાર કરવા, કોઈના પ્રસંગમાં કે પછી વેકેશન ગાળવા પોતાના ગામમાં પ્રવેશે છે ત્યારે એના ચહેરાની ચમક જ ઘણું કઈ જતી હોય છે. વ્યક્તિને પોતાનું વતન, પોતાનું ગામ જનનીની જેમ જ વ્હાલું હોય છે. મને પણ મારુ ગામ એટલું જ વ્હાલું છે.
મારુ ગામ વણોદ સુરેન્દ્રનગર જિલ્લાનાના છેવાળાના ગામોમાનું એક છે. ગામમાં હાલ દસ હજાર જેટલા વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના લોકો રહે છે. ગામની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરું તો આ ગામ બહુચરાજીથી દૂ કી.મી. દૂર છે. ગામમાં ચાર તળાવો લાખાસર, પિપળિયું, વંદેલો, સોઢીળું ગામની ચારે દિશામાં આવેલા છે. એક કુમાર શાળા, એક કન્યા શાળા અને એક હાઇસ્કુલ બાળકોના અભ્યાસ માટે ઉપલબ્ધ છે. જ્યાં મેં જીવનના દસ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. ગામમાં કોઠનજીમાં નું મંદિર, રામજી મંદિર, મહાદેવનું મંદિર અને એક વિશાળ જૈન દેરાસર, જૈન ઉપાશ્રય આવેલ છે. જ્યાં લોકો રોજ સવારે, તહેવારોમાં અને શ્રાવણ માસમાં ભગવાન પાસે પ્રાર્થના કરતા નજરે પડે છે.
મુસ્લિમ સમુદાય માટે જુમ્મા મસ્જિદ, દરબારી મસ્જિદ, નગીના મસ્જિદ અને પરાવાળી મસ્જિદ આવેલી છે. જ્યાં લોકો દિવસ દરમિયાન ફજર, ઝોહર, અસર , મગરીબ અને ઈશાં એમ પાંચ નમાજો પઢતા નજરે પડે છે. ગામમાં આ ઉપરાંત સરકરી દવાખાનું, સસ્તા અનાજની સરકાર માન્ય દુકાનો, નાની બજાર, ક્રિકેટ રમવા માટેનું નાનું મેદાન, ગ્રામ્ય પંચાયત જેવી સુવિધાઓ પણ છે. એક ઐતિહાસિક બીબીમાંની દરગાહ પણ પીપળીયા તળાવ પાસે છે. વણોદ આઝાદી પહેલા એક સ્ટેટ ગણાતું અને અહીંના રાજા બાર ગામો પર રાજ કરતા. એ રાજ મહલ બે હજાર એકમાં આવેલ ભૂકંપ સમયે વિલીન થયો.
ગામમાં મોટાભાગે લોકો ખેતી પર નિર્ભર છે. કોઈ પોતાની માલિકીની જમીન ખેડી ગુજરાન ચલાવે તો કોઈ જમીનોના નાના નાના ટુકડાઓ ભાગવા રાખી અને એમાં ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જેની પાસે જમીન કે ધંધો નથી એવા લોકો કોઈને ત્યાં નોકરી કરી, કોઈના સાથી બની કે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અમુક લોકો દરજી કામ, કરિયાણું, શાકભાજીનો વેપાર, કટલરી-સ્ટેશનરી, મેડિકલ સ્ટોર, ફ્લોર ફેક્ટરી, દૂધની ડેરી, હેર કટિંગ, ચાની કીટલી, નમકીન-ફરસાણ, મોબાઇલ લે-વેચ-રિચાર્જ, ઓટો મોબાઈલ શોપ ચલાવે છે. મસાલાના ગલ્લાઓ, ફોટો-વીડિયો શુટિંગ, બાંધકામનો સામાન, ઝેરોક્ષ-સ્ટેશનરી, ગાય-ભેંસ-બકરી ચરામણ, યજ્ઞ-લગ્ન વિધિ જેવા વ્યવસાયો કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
ગામમાં દરેક વ્યક્તિ એકબીજા પર નિર્ભર છે અને વિવિધ વ્યવસાયો વિવિધ જાતિનાના લોકો ચલાવે છે. એટલે અહીં બધા જ ધર્મ અને જાતિ નિરપેક્ષ લોકો જોવા મળે છે. કોમી તોફાનોની આ ગામ પર કોઈ જ અસર થઇ નથી. ગામના ખેતરો પણ એવી રીતે છે કે પટેલની બાજુમાં મુસ્લિમનું ખેતર, મુસ્લિમની બાજુમાં લુહારનું ખેતર, લુહારની બાજુમાં દરજીનું ખેતર. કોઈ એક વ્યક્તિ પણ ખેતરની મુલાકાતે જાય તો બાજુવાળાના ખેતરનું ધ્યાન કરતો આવે. સહકારની નીતિ અહીં જ ખુબ જ સારી રીતે જોવા મળે છે.
ગામમાં દિવાળી, ધુળેટી, હોળી, નવરાત્રી, દશેરા, તાજીયા, જશને ઇદ, શ્રાવણ માસના પ્રવચનો, રમજાન માસની રોનક અને ઉતરાયણની મજા અહીં દરેક લોકો માણે છે. દિવાળીમાં નવા વર્ષની શુભ કામનાઓ આપવા જયારે એકબીજાના ઘરે જાય છે ત્યારે લોકો ખુબ જ પ્રેમથી સ્વાગત કરે છે. મારા દાદાના સમયમાં સાકારથી મોઢું મીઠું કરાવતા અને હવે મીઠાઈથી કરાવવામાં આવે છે. તાજીયા (મહોરમ)ના સમય એ બ્રાહ્મણ પરિવાર અને કેટલાક પટેલના આગેવાનો થકી સરબત પણ પીવડાવવામાં આવે છે. આ દર્શાવે છે કે મારા ગામમાં કેટલી ધર્મનિરપેક્ષતા અને એકતા છે.
જે રીતે દરેક સિક્કાની બે બાજુઓ હોય એ જ રીતે ગામની અમુક તકલીફો પણ છે. ગામમાં પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા નથી એટલે લોકો ખાળ કુવાનો સહારો લે છે પણ અમુક લોકો રસ્તા પર પાણીની રેલમ છેલ કરે છે. ચૂંટણીના સમય એ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગામમાં ખુબ હરીફાઈ જોવા મળે છે. માહોલ ક્યારેક ગરમ પણ બની જાય છે. પણ ચૂંટણી પુરી થયા પછી બીજા જ દિવસે બધા હળી મળીને રહે છે. ગામમાં ટ્રેન નથી પણ કોઈપણ નજીકના શહેરમાં જવા માટે જીપ, છકડા, બસ મળી રહે છે. વર્ષો થી સવારે પાંચ વાગે વણોદ-અમદાવાદ બસ મુકાય છે. મારા જીવનનો સૌથી વધુ પ્રવાસ મેં આ બસમાં કરેલો છે.
ગામના તળાવો ઢોર-ઢાંખર અને તંગીમાં સિંચાઇ માં ઉપયોગી બને છે. આજે પણ ઘણા લોકો કુવાનું પાણી પિતા નજરે પડે છે. ગામમાં એક સામુહિક સ્નાનાગર છે. જ્યાં પહેલા પાણીનું સ્તર ઉંચુ હોવાથી મોટર-પંપ વગર ચોવીસ કલાક પાણી આવતું. આજે ત્યાં નર્મદાના પાણી દ્વારા જરૂરિયાત પુરી પાડવામાં આવે છે. ગામના મોટા ભાગના લોકો આજે પણ આ સ્નાનાગરનો ઉપયોગ ન્હાવા ધોવા માટે કરે છે. રમતના મેદાનમાં બાળકો અને મોટા લોકો પણ ક્રિકેટની રમતની મજા માણે છે. ઉનાળામાં ક્યારેક ડે અથવા નાઈટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવે છે. ભવાઈ મંડળ દ્વારા લોકોના મનોરંજન માટે ઉનાળા ની રાત્રીઓમાં ભવાઈ ભજવવાનું અને લોકોને હસવાનું કામ કરવામાં આવે છે.
શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શિસ્ત, રમત ગમત, સ્પર્ધાઓ, રાષ્ટ્રીય તહેવારોના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપે છે. આથી બાળકોમાં બાળપણથી સેલ્ફ કોન્ફિડન્સ અને લીડરશીપ જેવા ગુણો વિકસે છે.
તો આ હતું મારુ ગામ વણોદ તમને કેવું લાગ્યું ? મને જરૂરથી કોમેન્ટમાં જણાવશો.