મોહપાશ
મોહપાશ
ભાર્ગવીને જ્યારે ખબર પડી કે તેની લાડલી અને માનીતી દીકરી એ તેને છૂટી કરી ત્યારે એ અવાચક થઈ ગઈ. માનસી એનું મનોસ્વપ્ન હતું. તેમાં તેણે તેના બધા સ્વપ્નો વાવ્યા હતા – અને એની ધારણ પ્રમાણે માનસી તૈયાર પણ થઈ ગઈ હતી. સ્કુલમાં પહેલી, કોલેજમાં પહેલી – વિનય અને સદગુણોનો ભંડાર ઘરમાં જ્યાં અને ત્યાં માનસીનો દાખલો અપાય. પણ જનક મામા સાથે જ્યારે પહેલી વખત માનસી એ તેના અંતરિક વલણોની ચર્ચા કરી ત્યારે જનક મામા બોલ્યા – ચાલ માનસી! મમ્મીને છુટાછેડા આપીયે…
જનક અને ભાર્ગવી એ બહુ નાની ઉંમરમાં મમ્મી ગુમાવેલી તેથી – ૧૭ વર્ષની ઉંમરે ૨૭ વર્ષની પુખ્તતા સાથે ભાર્ગવી બંને નાના ભાંડુરાને ઉછેરવા લાગી. સાવકી મા ન આવે તેથી માનું દરેક પ્રકારનું કામ કરતી જિંદગી જીવવા માંડી. ભણતરને અનુરુપ જીવન જીવતા માર્કડં સાથે વિવાહ થયા. કાચી ઉંમરે ભાંડુરાઓની માતા બનેલી ભાર્ગવી પોતાના ગમા અને અણગમા સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં હંમેશા તકલિફ અનુભવતી… મોં પર હાસ્ય – હાથમાં ઘરકામનો ભાર અને મનમાં દબાયેલા કચડાયેલા સ્વપ્નોના ભંગારનો અર્ધ કચડાયેલ ભાર લઈને જીવતી ભાર્ગવીના ખોળે માનસી આવી.
ભર્યા ઘરમાં માર્કંડના પરિવારની સાથે ભાર્ગવી માનસીને ઉછેરતી ગઈ. પણ પેલા કચડાયેલા સ્વપ્ના જે કાચી ઉંમરે મા બનેલ માતૃત્વને જરુર કરતા ગાઢા રંગથી જીવીત કરી ગયા. અને માતૃત્વના એ હુમલા માનસી અને અલીશાને ઉછેર દરમ્યાને કયાંક અને કયાંક ઘાટ છોડતા તો કયાંક ઘાટ કુંઠીત કરતા. ખૈર! આતો થોડીક પૂર્વ ભુમિકા.
જનક મામા પાસે હસતી હસતી માનસી બોલી, “મામા – મમ્મીને તો કંઇ છૂટી કરાતી હશે…”
જનક મામા ઘુંઘવાતા અવાજે બોલ્યા... “પણ બેટા ! તેણે તારા ઉછેરમાં કચાશ રાખી હોય તો છૂટી કરવી પડે ને...”
માનસી કહે, “તેમના ઉછેરમાં કચાશ નથી – કચાશ તો અમારામાં છે. કે અમારું ઘડતર તેમના ધારવા પ્રમાણે નથી થતું.”
જનક મામા બોલ્યા, “ભાર્ગવી અમારા ઉપર તો હીટલર થઈ તો ચાલ્યું. પણ તમારા ઉપર પણ આટલી જોહુકમી...?”
“પણ મામા ! આમા કયાં જોહુકમી ?”
“અરે તારે ! જેમ રહેવુ હોય તેમ રહેને ! આ ખા ને ખા… જાડી થઈ જઈશ…. અરે આ બધી તો કંઈ ચિંતા કરવાના કારણો છે ? “
“હા મામા – ચિંતાના કારણો તો ખરાજ ને?”
“નારે ના. આ ઉંમરે તો શરીર બંધાતું હોય છે. અને એ બધી ચિંતા જે લોકો બહુ ખાતા હોય તેમણે કરવાની. પણ આપણે તો આમેય ઓછુ ખાતા હોઈએ અને તેમા વળી આવી સુફીયાણી વાતો તો કંઈ ચાલતી હોય? – દિવસની બે રોટલી ખાવાની અને તેમાય પાછી કોરી !”
“મામા! તમારી વાત સાચી છે… પણ હવે મારાથી નથી ખવાતુ… હું ખાવાનું જોઉ છું અને ઉલટી થાય છે. “
“તને ખાવાની ઈચ્છા થાય છ ખરી ?”
“હા પણ – ભય લાગ્યા કરે છે કે...”
“માનસી – આ ભય તે મનનું કારણ છે તે તને સમજાય છે ? તો પછી મનને કેળવવું પડશે… જેમ મમ્મીની વાતો માનીને તેમ હવે મમ્મી ની વાતો ન માનીને ચાલવુ પડશે. મમ્મીની ખાવાની વાતોનો વિદ્રોહ કરવો પડશે.”
જનકે માનસી ની સામે જોયુ તો માનસી ની આંખમાં આંસુ તગતગી રહ્યા હતા. માનસીના આંસુ એ વાતનું પ્રતિક હતા કે આ વાતો એને ગમતી નહોતી. મમ્મી એને પ્રાણથી પણ વહાલી હતી. એ વિચિત્ર મનોદશામાંથી પસાર થઈ રહી હતી એટલે વાતને ફેરવવા તેણે માનસીને પૂછ્યું – “માનસી તને હરે રામ મંદીરમાં વોલન્ટીયર વર્ક કરવુ છે?”
”મામા – તમને તો ખબર છે હું તો ત્યાંજ જઈ ને રહું. તેનો મને વાંધો નથી પણ એટલી શક્તિ આવે તેટલી તબિયત સારી કરવી પડશે ને.”
અઠવાડીયા પછી હરેરામ મંદિરમાં જવાનું નક્કી કર્યું અને ત્યાં સુધી માનસી ને ખાવા પીવાની બાબતો માં નહીં ટોકવા એ વાત ઉપર જનક મામા એ ભાર્ગવી ને સમજાવી દીધી…. ભાર્ગવી ને તો માનસીની આ વર્તણુંકો ખુબ જ દુખ પહોંચાડતી હતી પણ…. નાની નાની વાતો નાં અર્થ ઘટનો છોડવા યોગ્ય લાગ્યા હતા. તેથી માનસી ને નહોતું ગમતું છતાં એણે માનસીની શારીરિક દશાની ચર્ચા જનક જોડે છેડી હતી.
સ્વામી હરિપ્રસાદ હરેરામ મંદીરના મહંત હતા – અને ધર્મને આજનાં માધ્યમથી જોડવા સક્ષમ હતા અને ધાર્મિક ભાવોથી ભરપુર માનસી સાચા રસ્તે ચઢે તેવું ઈચ્છતા હતા. તેથી જુદી જુદી વાતોથી એના મનમાં પ્રવેશવા પ્રયત્ન કરતા હતા. ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં માનસી વધુ રસ લેતી હતી.
તેથી એક દિવસ હરિપ્રસાદે કર્હ્યું, “આ ગાયને માતા કેમ માનીયે છે તે તને ખબર છે માનસી?”
માનસી બોલી, “તે ખુબ જ પવિત્ર છે અને સૌથી સારી વાત તો એ છે કે એ કદી તેના વાછરડાને કહેતી નથી કે તું આમ કર કે તેમ કર.”
સ્વામી હરીપ્રસાદને આ પાછલી ટકોર ન ગમી પણ મૌન રહી બધી વાતો વિચારી લીધી – મુળ વિદ્રોહનું કારણ કયાં હતું તે શોધી નાખ્યું. વિદ્રોહ હતો પધ્ધતિ સામે. અને એમણે જનકને ફોન કર્યો – કાલે માનસીનું ઓપરેશન છે – તમે આવી શકશે?
બીજે દિવસે ભાર્ગવી – જનક અને માર્કડં હરે રામ મંદિરમાં પહોંચ્યા – ત્યારે તેમની હાજરીમાં મહંતે માનસીને વાતો વાતોમાં હીપ્નોટાઈઝ કરી અને હસતાં હસતાં પૂછ્યું –
“માનસી આ ઝાડને તે કેમ પકડી રાખ્યું છે?”
ત્યારે માનસી બોલી “ઝાડે મને પકડી રાખી છે હું તો છોડવા માંગું છું.”
ભાર્ગવી આ વાંતો સમજી શકતી નહોંતી તેથી તે ચુપ રહી. મહંતે તેની સાથે વાતો આગળ ચલાવી –
“ઝાડ ના હાથ તને દેખાય છે ?”
માનસી – કહે – “ના”
મહંત – “તારા હાથ ઝાડની આજુબાજુ છે તે તને દેખાય.છે?”
માનસી – “હા, પણ મને ઝાડે પકડી રાખ્યા છે.”
મહંત – “ના તારે પહેલ કરવાની છે જો ઝાડ તને છોડી દે”.
માનસી અસમંજસમાં હતી. તેથી એ વાત ને ફરી મહંતે દો હરાવી – “તારે ઝાડને છોડવાનું છે. તું નહીં છોડે તો તને તકલીફ થશે...”
માનસીના ચહેરા ઉપર કંટાળાના ભાવો હતા… તે જોઈ મહંત ફરી બોલ્યા, “તારે જોવુ છે આ ઝાડ તને કેવી રીતે છોડતુ નથી….”
માનસી – “મેં ઝાડને પકડી રાખ્યું હતું. હે ! હે ! અને આ છોડી દીધું. ખડખડાટ હસતા હસતા માનસી એ એકદમ રડવા માંડયુ.”
મહંતે તેને રડવાની ના પાડી અને ફરી પૂછ્યુ, “તું કેમ ખાતી નથી ?”
“મને ખાવુ છે – મને મમ્મી ખાવાનુ કહે ત્યારે ભય લાગ્યા કરે છે.”
“કોનો ભય ?”
“મમ્મીની દરેક વાત મેં માની છે. પણ હવે મને લાગે છે કે મમ્મી ખોટી છે તેથી સૃજલ ની વાત મેં મમ્મી ને નથી કહી.”
“કોણ સૃજલ ?”
“મારે સૃજલને મેળવવો છે પણ મમ્મી પાસે તેને લઈ જવાની હિંમત નથી.”
“કેમ ?”
“મમ્મીને મેં ખુબ દુખ વેઠતી જોઈ છે. અને એ દુખને જોયા પછી મને લગ્ન કરવા ન હોંતા – પણ સૃજલને જોયા પછી મનમાં ફરી પરણવાના...”
“માનસી તે ઝાડને પકડ્યું છે. તારા મનમાં જે વિચારો ચાલે છે તેનું નિરાકરણ થાય તેમ છે… “
“જો તેમ થાય તો તુ આ સત્યાગ્રહ છોડી દઈશ !”
“એમ થાય તેમ નથી તેથી તો મારે જીવવુ નથી.”
“એમ કરવાનું કામ માઠુ છે. તારે માટે તો બંને પક્ષે તકલીફો જ છે – જો આમ ડીપ્રેશન માં રહી જીવ છોડીશ તો અવગતે જઈશ અને ધર્મધ્યાન સાથે સમજ પુર્વક દેહ છોડીશ તો સૃજલ નહીં મળે એટલે તેને પામવા ફરી ભટકવુ પડશે?”
“સૃજલ તો મારી સાથે આવશે. અહીં નહીં અમે ત્યાં ભેગાં થઈશું જયાં મમ્મી નથી – દુનિયાના દુઃખો નથી.”
દરેકના મનમાં પ્રશ્ર્નો હતા – અને તંદ્રા ત્યાં અટકાવી દઈ મહંતે જનકની સામે જોયું – ભાર્ગવીની સામે જોયું – માર્કડં સામે જોયું અને પૂછ્યું – “આ છોકરી જીવવા નથી માંગતી તેના કારણો સમજાય છે? તમારા બાળકો ઉપર તમારા આગ્રહો એટલા જ મુકો જેટલા તેને જરુર હોય...”
થોડાક સમયની ચુપકી દોને અંતે ભાર્ગવી બોલી “સૃજલ કયાં છે તેની માહિતી મળી શકે?”
મહંત ભાર્ગવીના માતૃત્વ સમજી ગયા – અને માનસી ને તંદ્રામાં આગળ લઈ જતા કહ્યું – “સૃજલને બોલાવી લઈએ – જરુર પડશે તો મમ્મી ને જનક મામા સમજાવશે, પણ તમારી તપશ્ચર્યાને મિલન સ્વરુપમાં ફેરવશું. એવુ બનતુ હું જોઈ રહ્યો છુ – હવે તો ઝાડ છુટશે ને ?”
માનસી બોલી – “મમ્મીને દુઃખી કર્યા વિના સૃજલ મને મળે તે તો કલ્પના બહારની વાત છે પણ તે પ્રભુકૃપાથી શકય બનશે.”
માનસીની વાત સાંભળી ભાર્ગવીએ મનોમન નક્કી કદી લીધુ કે દીકરી ને ઘડતા ઘડતા હવે એ થાકી ગઈ છે – દીકરી મા બની જાય અને મા દીકરી તો કેવું?
બે કલાક ની ઉંધ પછી માનસી ઉઠી ત્યારે ભાર્ગવી – જનક અને માર્કડં ત્યાં નહોતા – ઘણા સમયથી ઊંધ મળી ન હોંતી તેથી આ મોહનિંદ્રાએ એના મનને ભરી દીધું હતું. તેના ચહેરા પર સ્ફુર્તિ હતી.
અલીશા જાણતી હતી સૃજલને... અને ભાર્ગવી સૃજલ મળી – તેને જોઈ મનમાં તો નિ:સાસો નાખ્યો... પછી નુકશાનમાંથી ઓછું નુકશાન ક્યું? તેમ વિચારી થંભી ગઈ. પુખ્તતા દેખાડી દીકરીને સૃજલ સાથે પરણાવવી કે નહીં તેની ગડમથલોમાં અચાનક તે બબડી પડી; એ તો મને શું છૂટી કરતી હતી – હું જ એને છૂટી કરું છું.
માર્કંડ મા દીકરીની દ્વીધા અને અર્થ ઘટનો અને તેના વિચિત્ર અંતોને જોઈને ખીજવાયો – ભાર્ગવી તને ખબર છે ને प्राप्तेषु षोड शे वर्षे पुत्रं मित्र वदाचरेत।
સોળ વર્ષ પછી પુત્ર મિત્ર બને છે અને પુત્રી પણ સહીયર – હવે માનસી નાની નથી. એમને જતન પુર્વક ઉછેરી ને મોટા કર્યા – આપણા માબાપ નું આપણા ઉપરનું જે ઋણ હતુ તે પૂરું કર્યું. તેમને ભણાવ્યા પછી જ્યારે તેમની બુધ્ધી શક્તિ ખીલી ગયા પછી આપણા વિચારોને સુચવવાના હોય – લાદવાના ન હોય. સૃજલને તું નહીં સ્વીકારે તે નહીં ચાલે – હું બંનેને હસતાં જોવા માંગું છું. તું ૧૯૬૦માં જે રીતે ઉછરી – જીવી તે રીતે માનસીને ઉછેરી તે ૨૦૦૦માં જ્યાં જમાનો ઘણો આગળ વધ્યો છે ત્યાં નાના નાના આગ્રહોને છોડી આખું ચિત્ર નવેસરથી જોવાની વાતને સ્વીકારો.
ભાર્ગવી માટે કપરી કસોટી હતી – પણ સૃજલ બહુ જ આદરથી બોલ્યો – માનસી – મમ્મી અને પપ્પાના આશીર્વાદ વિના નવજીવન નથી શરું કરવું.
ભાર્ગવીના મનમાં સૃજલનો વિનય સ્વીકૃત થયો અને મમ્મીએ માનસીને મનથી છૂટી કરી. ખરેખર ઘણું જ કપરું હોય છે આ પુત્ર કે પુત્રીને આપણા મોહપાશમાંથી અલગ કરવા.
જનકમામા હસતા હસતા બોલ્યા કે ચાલો છુટાછેડા દૂર કરો અને લગ્નની તૈયારી કરો.
લગ્ન નક્કી થાય છે અને માનસી મમ્મીને પગે લાગે છે. ભાર્ગવી દુઃખનાં ડુંગરો મોં પર ધારીને કહે છે; સૃજલ સાચવજે મારી માનસીને…
માનસી બોલી, “મોમ, તું પણ સાચવજે…”