મુઠ્ઠી ભર તો રેતી વાવો તો ખેતી
મુઠ્ઠી ભર તો રેતી વાવો તો ખેતી
આ સુવાક્ય સંતના મુખેથી ઉચ્ચારાય તો વાત સત્કાર્યોની બની જાય. મુઠી ભરવાની વાત એટલે બેકની એફ.ડી. થઈ જાય. જરિરિયાત મંદોને વહેચતા રહો તો તે ખેતી થઈ જ્યારે મારી ભત્રીજી સિધ્ધિ એ ફેસબુક પર આ સુવાક્ય મોકલ્યુ ત્યારથી જ ગમી ગયુ હતું. જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ બે શબ્દો મનને ઝંકૃત કરતા રહ્યા. જરુર કરતા વધુ કશું જ ન રાખો. કારણ કે આજની સંપતિ મૃત્યુ પછી સાથે નથી આવવાની અને તેથી મુઠી બાંધી એટલે તે રેતી થઈ કારણ કે એ મુડી તમને તો કામ નથી જ લાગવાની. હા તમારા વારસોને કદાચ તે કામ લાગે કે ના પણ લાગે.
મરિયમ કાચવાલાને ગામ આખુ કંજુસ કહે કદી કોઇ ધર્મનાં કામમાં પૈસા ના ખર્ચે. પતિ કાસમની પેન્શનની રકમો જમા થાય અને આખી ચાલનું ભાડુ આવે છ્તા બહાર જવું હોય તો નજીક હોયતો ચાલી નાખે. દુર હોયતો બસ પકડે અને બહાર જવું હોય તો લોકલ ટ્રૈન પકડે.
દીકરી નરગીસ માના આ વલણથી સંકોચાય. જમાઇ ખુરશીદ તો ધીક્કારે આ કંજુસાઈને. પણ આખરે નરગીસની મમ્મી છે તે રીતે માન આપે. એ ધ્યાન રાખે કે તેમની કંજુસાઈ ઉપર ભુલે કં ચુકે કંઇ બોલાઈ ના જાય.
ખુરશીદ એવું માને કે આ એની એકલપેટી સાસુએ દલ્લો સારો જમાવ્યો હશે. ખર્ચો નહીંવત અને આવકો ચારે બાજુની. અને એક જ વારસદાર નરગીસ. એટલે એ દલ્લો જ્યારે મળે ત્યારે મઝા જ મઝા. તે દિવસે નજીકની દુકાનમાંથી મરિયમ માટે સોય ખરીદવાની હતી. નરગીસે એક રુપિયાનું પેકટ ખરીદ્યુ ત્યારે વેપારી નાગજી બોલ્યો “બા માટે સોયનું પેકેટ ખરીદ્યુ ?”
“હા”
“બેન ફરીથી ધક્કો ના ખાવો હોય તો એક જ સોય લઈ જાવ.”
“કેમ એમ કહો છો”
“બા એમ માને છે કે જરુરિયાત જેટલું જ વસાવવું.”
નરગીસ વિચારમાં પડી ગઈ, નાગજી એ કહ્યું “ડઝન સોયનો રુપિયો અને છુટક સોયનાં દસ પૈસા એ વાતે પણ તેમણે જીદ કરીને એક જ સોય લીધી” અને કહ્યું “મારે જરુર હશે તો તું ક્યાં દુર છે ? બીન જરુરી સોયો ખોવાઇને પુરી થઈ જાય છે.”
માની વાત તેને તરત તો ના સમજાઈ. પણ શાંતિથી વિચાર્યુ તો તે સાચી હતી. સોય દોરાની જરૂરિયાત ક્યારે પડે ? જ્યારે કોઇક કપડું ફાટે ત્યારેને ? અને વરસમાં કેટલા પણ કપડા ફાટે દોરાની દડીમાં સોય સાચવી રાખો તો વરસો અને વરસો સુધી જરૂર ના પડે.
મરિયમ બેન ગયા ત્યારે તેમની મૈયતમાં આખુ ગામ ઉભરાયું અને નરગીસને માનાં પૈસા ક્યાં જતા હતા તે વાતો સમજાઈ. પેટે પાટા બાંધીને કેટલીય જાતની સખાવતો તેમણે કરી હતી. અને ગામનાં દરેક જરુરિયાત મંદ લોકોને કહેલું કે તમારી પરિસ્થિતિ સુધરે ત્યાર તમે પણ જરુરિયાત મંદને મદદ કરજો. સંબંધ અને સંપતિ ભેગી કરશો તો તે રેતી છે. પણ વાવતા રહેશો તો તે ખેતી છે.
ખુર્શીદ આ ભીડને જોતો રહ્યો. મરિયમ મા ઘરની બહાર પણ નીકળતા નહોંતા અને આટલા બધા લોકો ઉદાસ અને રડતાં રડતાં તેમનો શોક મનાવતા હતા. એમની ચાલનાં ભાડુઆતોમાંથી કેટલાય લોકોએ એમનો સખાવતી રાહ અપનાવ્યો હતો.