સાધના-૨૭
સાધના-૨૭
એમ્બ્યુલન્સના ડરામણા આવાજથી ભરતની તંદ્રા તૂટી. ફરી તે પોતાના વર્તમાનમાં આવી ગયો. હોસ્પીટલમાં નીરવ શાંતિ હોવા છતાં દરેકના મનમાં ન જાણે કેમ એક તોફાન મચી રહ્યું હતું. દરેક લોકોના મોઢા પર એક ડર અને મૂંગો વલોપાત જોવા મળતો હતો. કોઈના મોઢા પર પૈસાની ચિંતા, કોઈના મોઢા પર પોતાના સ્વજન ક્યારે ઠીક થશે તેની ચિંતા, કોઈ છાને ખુણે રડતું જોવા મળે, કોઈ સંવાદમાં સ્નેહ ઈચ્છે. કોઈ ભગવાનના પાઠ કરતુ મળે તો કોઈ ખુલ્લું આકાશ તાકતું જોવા મળે. ભલે, હવે પંચતારક હોટલો જેવી અતિઆધુનિક હોસ્પિટલો હોય પણ દિલમાં તો ડર એક પારેવા જેવો જ હોય.
આજે આવો જ ડર ભરતના મનમાં હતો. સાધનાની તબિયત બગડતી જતી હતી. તેને અન્નજળનો ત્યાગ કરી દીધો હતો. ડોક્ટરની સુચનાથી નજીકના સ્નેહીજનોને બોલાવી લીધા હતા. આગામી ચોવીસ કલાક ભારી હતા, ભરત મનમાં ને મનમાં શ્રી કૃષ્ણ શરણ મમના જાપ કરતો હતો. રાજ અને વિધિ સતત ખડે પગે ત્યાં હાજર હતા. કાલે તો અમાસ હતી જેનો ભાર દરેક બીમારના માથે હોય તેવું અમુક વર્ગ માને છે. બાકી તમારું આયુષ્ય જો ખૂટી જાય તો આ દોરીને કોઈ પકડી શકતું નથી. અંદર અંદર આવી વાતો ચાલવા લાગી. કોઈ ભરતના મનનો કલ્પાંત સમજી શકતું ન હતું. આજે તેનો અહમ કાચના ચૂરે ચુરા થાય તેમ ભાંગી ગયો હતો. તે સાધનાના દરેક સવાલના જવાબ આપવા તૈયાર હતો. તેના મંતવ્યો માનવા તૈયાર હતો. તે ની નાનામાં નાની ઇચ્છાઓને સાકાર કરવા માંગતો હતો ! પણ આ આઈ.સી.યુ.નું બારણું ઉઘડે તેની જ વાટ જોતો હતો.
સાંજના લગભગ સાત વાગી રહ્યા હતા. ડોક્ટર સાહેબ તાત્કાલિક નર્સ લક્ષ્મીની સુચનાથી સાધનાના રૂમ માં દાખલ થયા. તેને ઓક્સિજન આપવામાં આવ્યું. જરૂરી બધી જ સારવાર આપવા લાગ્યા. ડોક્ટરના મોની રેખા ઓ વ્યગ્ર બની. અંતે અથાગ પ્રયત્ન પછી પણ તેઓ સાધનાને બચાવી ન શક્યા. બહાર આવીને તેઓ એ રાજને પોતાની કેબીનમાં બોલાવ્યો અને કહ્યું હું ખુબ દિલગીર છું મારાથી બનતા બધા જ પ્રયત્નો મેં કર્યા. પણ સાધનાબેન કઈ સારવાર લઇ શક્યા નહિ. તેમની સ્મૃતિ બિલકુલ નાશ પામી હતી. તે હાજર હતા તો પણ એક જીવતી લાશ બની ને રહેતા હતા. જો તેમનું આયુષ્ય હોત તો પણ કદાચ તેઓ કોમામાં સરી પડત. આપણું સ્વજન છે તેથી દુઃખ થાય તેમાં કોઈ બે મત નથી. પણ કોમામાં હોત તો બહુ તકલીફ પડત, તેઓ આ બધું સહન પણ ન કરી શકત. તમે તમારા પપ્પાને સંભાળો કહી વાત પૂરી કરી.
બહાર નીકળી રાજે આ દુઃખદ સમાચાર બધાને આપ્યા. ભરતના માથે તો જાણે વીજળી પડી તે શોકમાં ગરકાવ થઇ ગયો. તેની આંખ સાધનાના નશ્વર દેહ ની સામે જોઈ ને માફી માગી રહી હતી. બીજે દિવસે દિવાળી હતી. સવારે સાધનાને પૂરી સુહાગણના રૂપમાં કોરા કંકુના ચાંદલા સાથે તૈયાર કરવામાં આવી. અને દિવાળીની સવારે જ સાધના તેની આરાધના પૂરી કરીને ચાલી નીકળી.
દરવાજે એક નાની ચકલી ગુમસુમ બેઠેલી જોવા મળી...
(સમાપ્ત)