હનુભાઈ
હનુભાઈ
લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધાણા છે કે માંહે ચકલુંય માર્ગ કરી શકે તેમ નથી. બાર બાર મહિના થયાં પટેલના ચાર દૂધમલિયા છોકરાએાએ દિવસ અને રાત કોસ હાંકી હાંકીને આવી થાંભલીઓ જેવી શેરડી જમાવી છે. ચિચોડાની ચીસો ગાઉ ગાઉને માથે સંભળાય છે. દીકરાના વિવાહ થાતા હોય તેમ ગામડે ગામડેથી પટેલનું કુટુંબ ગળ અને શેરડી ખાવા આવ્યું છે. બાવા, સાધુ કે ફકીરફકીરાં તો કીડિયારાંની જેમ ઊભરાણાં છે.
આજ લાઠીના ધણી લાખાજી ગોહિલ પોતાના મહેમાનોને તેડીને આ વાઢે શેરડી ખાવા આવ્યા છે. બાપુએ કહ્યું : “પટેલ, જસદણના ધણી શેલા ખાચરની દાઢમાં ધરતીના સવાદ રહી જાય એવી શેરડી ખવરાવજો, હો કે ! ”
પોરસીલો પટેલ ભારા ને ભારા વાઢી ડાયરાની સામે પાથરવા મંડ્યો. દરબાર શેલો ખાચર અને એના ત્રણસો અસવારો 'હાંઉ બા, હાંઉ ! ! ' ઢગ્ય થઉ ગી બા, બસ કરો !' – એમ બોલતા બોલતા માથાબંધણાંના ઊંડા ઊંડા પોલાણમાંથી ધારદાર સૂડીઓ કાઢીને એ અધમણ
અધમણ ભારના સાંઠાને છોલવા મંડ્યા. પાશેર પાશેર ભારનાં માદળિયાંની ઢગલીઓ આખી પંગતમાં ખડકાવા માંડી; અને છરા જેવા દાંતવાળા પહેલવાન કાઠીઓ, પોતાના મોઢામાં કેમ જાણે ચિચેાડા ફરતા હોય તેમ, ચસક ચસક એ પતીકાંને ભીંસી ભીંસી ચૂસવા લાગ્યા. અમૃત રસના ઘૂંટડા પીતી પીતી કેમ જાણે દેવ-દાનવોની સભા બેસી ગઈ હોય એવી મેાજ આજ લાઠીના વાઢમાં જામી પડી હતી.
“વાહ લાખાજી ! શેરડી તો ભારે મીઠી !” દરબાર શેલા ખાચરે વખાણ શરૂ કર્યા.
લાખાજીએ વખાણને ઝીલીને જવાબ આપ્યો : “ હા, બા ! મીઠપ ઠીક છે. ભગવાનની દયાથી અમારી વસ્તી ઠીક કામે છે. ”
ત્યાં કાઠી-ડાયરામાંથી એક બીજા ગલઢેરાએ સાદ પૂર્યો : “બા, આથી તો પછેં ગળપણનો આડો આંક આવી ગયો હો ! અમૃતના રોગા ઘૂંટડા ઊતરે છે.”
“ હા, બા !” ફરી વાર લાખાજીએ કાઠીઓની તારીફ સ્વીકારી. “તમ જેવા ભાઈઓની દયામાયા, કે લાઠીના લોક બાપડાં મહેનત કરીને ગદર્યે જાય છે.”
પણ લાખાજીના હોઠ મરકતા હતા. એને મર્મના બોલ બોલવાની બૂરી આદત હતી, તેથી હમણાં કંઈક બરછી જેવા બોલ છૂટશે એવી ધાસ્તી લાગવાથી શેલા ખાચરે પોતાના કાઠીઓ તરફ મિચકારો તો ઘણોય માર્યો, છતાં રંગે ચઢેલો કાઠી-ડાયરો અબોલ રહી શકે તેવું નહોતું. ત્રીજો કાઠી તાનમાં બોલી ઊઠ્યો : “ ભણેં, બા લાખાજી ! આવડી બધી મીઠપ આણવાનો કારસો તો બતાવો ! આવો રૂડો ખાતર તે કાણાનો નાખ્યો છે તમે?”
લાખાજીથી ન રહેવાયું : “ખબર નથી, બા ! તમારા વડવાએાનાં માથાં વાઢી વાઢીને ખાતર ભર્યું છે, એટલે આવી મીઠપ ચઢી છે, સમજ્યા ?”
લાખાજીથી એટલું બોલાઈ ગયું, અને એનાં વેણ પડતાં તો “થૂ! થૂ !” કરતા તમામ કાઠીઓ શેરડીનાં માદળિયાં થૂકી નાખીને બેઠા થઈ ગયા. સહુની આંખો રાતીચોળ થઈ ગઈ, રંગમાં ભંગ પડ્યો, અને આંખેા કાઢીને કાઠીઓ ચાલવા મંડ્યા. ત્યારે વળી લાખાજીએ બળતામાં ઘી હોમ્યું : “એ બા ! લાઠીમાં બરછિયું ઘણીયુંય મળે છે. એકેક બાંધો છો તો હવે બબ્બે બાંધજો ને લાઠીને ઉખેડી નાખજો !'
શેરડીનો રસ ખારો ધૂધવા જેવો થઈને કાઠીઓની દાઢને કળાવતો રહ્યો.
ઉત્તરમાં બાબરા અને કરિયાણાના ખાચરોની ભીંસ થાતી આવે છે; દખણાદી દશે આંસોદર, લીલિયા અને કુંડલાનો ખુમાણ ડાયરો લાઠીને ઉથલાવી નાખવા ટાંપી બેઠો છે; ઉગમણેથી ગઢડા, ભડલી અને જસદણ-ભીમોરા જેવાં ખાચરોનાં જોરાવર મથકો બરછી તોળીને ઊભાં છે, અને આથમણી કોર ચિત્તળ ને જેતપુરનો વાળા ડાયરો જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે હલ્લા કરી રહ્યો છે. એવી રીતે –
કાઠી બળ થાક્યા કરી, કટકે ત્રાઠી કેક,
(તોય) અણનમ નોઘાટી એક, (તારી) લાઠી લાખણશિયડા !
હે લાખાજી ગોહિલ, કાઠીઓ બળ કરીને થાક્યા, ઘણાં લશ્કર તારા ગામના સાથે ત્રાટક્યાં, તોય તારી લાઠી નમ્યા વિના ઊભી જ છે; તેમ તમારી જમીન પણ નથી ઘટી.
મારુ, માટીવટ તણું, બળ દાખછ બળ ફોડ્ય,
કાઠી ચારે કોર, (વચ્ચે) લાઠી લાખણશિયડા !
હે મારવાડમાંથી આવેલા ગોહિલ કુળના જાયા લાખાજી ગોહિલ, મોટા મરદોનું જોર તેં તોડ્યું છે, અને તારું માટીપણું (પુરુષત્વ) પણ તું અન્યને દેખાડી રહ્યો છે. ચારે બાજુ કાઠી છે, અને વચ્ચે તારી લાઠી સુરક્ષિત ખડી છે.
એ જોરાવર લાખાજીના લોહીમાંથી હનુભાઈ નામનો દીકરો પાક્યો. હનુભાઈ ફટાયા હોવાથી જિવાઈમાં લીંબડા નામનું ગામ લઈને લાઠીની ગાદીએથી ઊતર્યા.
એની બરછીની સાધના જબરી હતી. પીઠા ચાંદસૂર નામને ઘોબા ગામનો એક કાઠી ગલઢેરો પોતાના એકસો ઘોડેસવારને લઈને ચડતો ને ચોમેર હાક બેાલાવતો. પણ હનુભાઈ કહેતા : “જો મારી સીમમાં પીઠો ચાંદસૂર પગ મેલે તો જેટલી જમીનમાં હેમખેમ એનાં ઘોડાં ફરી જાય તેટલી જમીન હું દાનમાં દઈ દઉં.”
આવાં કડક વેણ તો રણકાર કરતાં પીઠા ચાંદસૂરને કાને પહોંચ્યાં. મૂછોને ત્રણ વળ દઈને પીઠો લીંબડા લૂંટવા આવ્યો : પણ લાગ દેખીને અચાનક આવ્યો. આવીને સીમમાંથી માલ વાળ્યો. હનુભાઈને પોતાનાં વેણ તો સ્વપ્નેય સાંભરતાં નહોતાં, એટલે એણે ગફલતમાં પોતાનાં બધાં ઘોડાં બહાર મોકલી ફક્ત પાંચ જ અસવાર લીંબડે રાખ્યા હતા. આજ લીંબડા લૂંટાયાની એને જાણ થઈ એટલે ચાર આયર અને ભગા ભૂતૈયા નામના સરદારને લઈ હનુભાઈ પીઠાની પાછળ ગાયોની વહારે ચડ્યા.
લીંબડાથી અઢી ગાઉ ઉપર, લાખાવાડ ગામને સીમાડે, ડુંગરાની સાંકળી નાળ્યમાં, દુશ્મનો સાથે ભેટા થયા, પણ શત્રુ પાસે જાડાં માણસો હતાં. એ ધીંગાણામાં હનુભાઈના ત્રણ આયર કામ આવ્યા, એટલે ભગા ભૂતૈયાએ હાકલ કરી : “બાપુ, હવે ભાગો.”
"ફટ્ય ! હનુભાઈ ભાગે ?”
“હા, હા; જુઓ હમણાં રંગ દેખાડું. તમને નહિ લજાવું ! ફિકર કરો મા. હું વેતમાં છું.”
બેય અસવારે ઊભી નાળ્યે નીચાણમાં ઘોડાં વહેતાં મૂક્યાં. વાંસેવાંસ પીઠાએ પોતાની ઘેાડી છોડી. ઊંટવઢ મારગની અંદર એ ત્રણચાર ઘોડાના ડાબલા એવા તો જોરથી ગાજ્યા કે જાણે એકસો ઘોડાની ઘમસાણ બોલી રહી છે. પીઠો બરાબર લગેાલગ પહેાંચ્યો. એક ભાલું ઝીંકે તો હનુભાઈ ધૂળ ચાટતા થાય એટલી જ વાર હતી. પણ પીઠાનો જીવ લોભમાં પડ્યો : હનુભાઈની પીઠ ઉપર સોનાના કૂબાવાળી ઢાલ ભાળી એણે પછવાડેથી ચીસ પાડી : “એ હનુભા, છોડી નાખ્ય, છોડી નાખ્ય - ઢાલ છોડીને નાખી દે, જો પ્રાણ વહાલા હોય તો !”
પીઠાએ હનુભાઈને એટલો સમય દીધો એટલે સાવધાન ભગે હાકલ દીધી, “હાં બાપુ, હવે ઝીંકો બરછી.”
હનુભાઈએ હાથ હિલોળીને પોતાની બરછીનો ઘા બરાબર પાછળ ઝીંક્યો. નિશાન માંડવાની જરૂર નહોતી. સાંકડી નાળ્યમાં વાંસે પીઠો જ નિશાન બનીને તૈયાર હતો. વળી, એ વેગમાં આવતો હતો. હનુભાઈની બરછીને એ વેગની મદદ મળી. પીઠાની છાતી વીંધીને બરછી પીઠાના શરીરમાં જ ભાંગી ગઈ. પીઠો ધૂળ ચાટતો થયો.
લાઠીની લાઠીધણી, ચોડી છાતીમાંય,
પીઠાને પડમાંય, કાઠી ગળ મીંડું કર્યું.
હે લાઠીના વંશજ હનુભાઈ, લાઠીની બરછીને તેં દુશ્મનની છાતીમાં જ ચોડી. અને બાળકો જેમ ગળમીંડાની રમત રમીને
પોતાના સામાવાળાને પોતાના કૂંડાળામાં રોકી રાખે છે, તેમ તેં પણ આ પીઠાની સાથે રમત માંડીને એને તારા સીમાડારૂપી કુંડાળામાં પૂરો કર્યો.
એક દિવસ ડેલીએ બેઠા હનુભાઈ દાતણ કરે છે. ત્યાં તો ચીસો પાડતો એક કણબી રાવ કરવા આવ્યો; આવીને બોલ્યો : “બાપુ ! મારા બાજરાનું આખું ખેતર ભેળી નાખ્યું. મારા છોકરાને રાબ પાવા એક ડૂડુંય ન રહ્યું.”
“કોણે ભેળવ્યું, ભાઈ ?” કુંવરે પૂછ્યું. “કુંવર”_એ હનુભાઈનું હુલામણું નામ હતું.
“ભાવનગર મહારાજ વજેશંગજીના કટકે.”
“એ શી રીતે ?"
“મહારાજ જાત્રાએથી વળીને ભાવનગર જતા હતા. મારગકાંઠે જ ખેતર હતું. દોથા દોથા જેવડાં ડૂંડાં હીંચકતાં હતાં. દેખીને આખું લશ્કર ખેતરમાં પડ્યું. પોંક પાડવા ડૂડાં વાઢ્યાં ને બાકી રહ્યું તેની, ઘોડાને જોગાણ દેવા, કોળી કોળી ભરી લીધી. હવે મારાં પારેવડાં શું ખાશે, બાપુ ?” એમ કહીને કણબી રોઈ પડ્યો.
કુંવર હસી પડ્યો, જવાબ દીધો : “પણ એમાં રુએ છે શીદને, ભાઈ ? એ તો વજેસંગજી બાપુ આપણો બાજરો કઢારે લઈ ગયા કહેવાય ! આપણે એમનો ચારગણો બાજરો વસૂલ કરશું, લે બોલ્ય. તારો બાજરો તું કેટલો ટેવતો હતો ?”
“બાપુ, પચીસેક કળશી.”
“બરાબર ! હવે તેમાંથી સાડાબાર કળશી તો અમારા રાજભાગનો જાત ને ?”
“હા, બાપુ !"
“ત્યારે જા, તારા ભાગનો સાડાબાર કળશી બાજરો આપણે કોઠારેથી અટાણે જ ભરી જા, પછી વખત આવ્યે હું અને વજેસંગજી બાપુ હિસાબ સમજી લેશું.”
પટેલને તો પોતાનો બાજરો બીજા સહુ ખેડુ કરતાં વહેલો અને વિના મહેનતે કોઠીમાં પડી ગયેા.
ખળાટાણું થયું. લીંબડાને પડખે જલાલપર અને માંડવા નામે ભાવનગરનાં બે ગામ આવેલાં છે. બરાબર ખળાં ભરવાને ટાણે હનુભાઈ ઘોડીએ ચડીને જલાલપર પહોંચ્યા, અને તજવીજદારને કહ્યું : “અમારો બાજરો બાપુ કઢારે લઈ ગયા છે, માટે આ ખળામાંથી ત્રણસો કળશી બાજરો આજ તમારાં ગાડાં જોડીને લીંબડે પહાંચતા કરો.”
દિગ્મૂઢ થયેલા તજવીજદારે કહ્યું : “પણ બાપુ, મને કાંઈ–”
“હા, હા, તમને કાંઈ ખબર ન હોય, પણ મને તો ખબર છે ને ! ઝટ બાજરો પહોંચાડો છો કે નહિ ? નહિતર હું મારી મેળે ભરી લઉં ?”
તજવીજદારે હનુભાઈની આંખમાં અફર નિશ્ચય જોયો. લીલો કંચન જેવા ત્રણસો કળશી બાજરો લીંબડે પહોંચાડ્યો, અને બીજી બાજુથી આ સમાચાર ભાવનગર પહોંચાડ્યા.
વજેસંગજી મહારાજ સમજ્યા કે કુંવરને આખા મલકની ફાટ્ય આવી છે. પણ એમ પરબારા એને માથે હાથ ઉગામાય તેમ નહોતું. આખી કાઠિયાવાડ હનુબાઈને એક હોંકારે હાજર થાય તેવી તૈયારી હતી. કુંવરને શિખામણ આપવા એમણે ભાવનગર બોલાવ્યા.
મહારાજા વજેસંગજી ગમે તેવા તોય પોતાના વડીલ હતા. એની સામે ઉત્તર દેવા જેટલી બેઅદબી કરવાની હિંમત કુંવરમાં નહોતી. એટલે આકડિયાવાળા વીકાભાઈ ગઢવીને સાથે લઈને પોતે ભાવનગર ગયા.
કચેરીમાં મહારાજાની બાજુએ પોતાનું માથું ધરતી સામું ઢાળીને કુંવર અદબપૂર્વક બેઠા છે. મહારાજાએ પણ કુંવરને ન શરમાવતાં વીકાભાઈને પૂછ્યું : “વીકાભાઈ, કહેવાય છે કે કુંવર જલાલપુર-માંડવાનાં ખળાં ભરી ગયા !”
“એ તો હોય, બાપ ! એ પણ આપના જ કુંવર છે ને ? એટલાં લાડ ન કરે ?” વીકાભાઈ એ મીઠો જવાબ વળ્યો.
“પણ, વીકાભાઈ ! અવસ્થાના પ્રમાણમાં સહુ લાડ સારાં લાગે ને ! અને હવે કંઈ કુંવર નાના નથી. આજ એ લાડ ન કહેવાય, પણ આળવીતરાઈ કહેવાય.”
મહારાજાનાં વેણમાં જ્યારે આટલી કરડાકી આવી ત્યારે ચારણનો સૂર પણ બદલ્યો :
“પણ, મહારાજ ! કુંવરે તો રાણિયુંને ઘણુંય કહ્યું કે, હાલો, આપણે બધા લાણી કરવા સીમમાં જાયીં, એટલે રોટલા જોગું કમાઈ લેશું, માણું માણું મૂલ મળશે. પણ રાણિયુંએ ગઢમાંથી કહેવરાવ્યું કે, ભૂખ્યાં મરી જાયીં તો ભલે, પણ જ્યાં સુધી ભાવનગર રાજ્યનું એાઢણું અમારે માથે પડ્યું છે ત્યાં સુધી તો દા'ડી કરવા નહિં જાયીં; ભાવનગરને ભેાંઠામણ આવે એવું કેમ કરાય ?”
"એટલે શું ?"
“બીજું શું ? કુંવરના ઘરનો બાજરો ખૂટ્યો !”
"કાં ?”
“મહારાજનાં ઘોડાંને જોગાણની તાણ પડી. ને
મહારાજના સપાઈનાં છોકરાં પેાંક વિના રેતાં'તાં, તે સો વીઘાંના ખેતરનો બાજરો ભેળી દીધો !”
વજેસંગજી મહારાજને બધી હકીકતની જાણ થઈ. આખી કચેરી હસી પડી. મહારાજનો રોષ ઊતરી ગયો પણ મોં મલકાવીને એમણે કહ્યું : “ભલા આદમી ! પચીસ કળશીને સાટે ત્રણસો કળશી બાજરો ભરી જવાય ?”
વીકોભાઈ કહે : “બાપુ, ઓલ્યા ખેડૂતને અક્કેક આંસુડે સો સો કળશી ભર્યો છે. ખેડુ વધુ રોયો હોત તો તેટલો વધુ બાજરો લેવો પડત.”
“સાચું! સાચું ! ખેડુનાં આંસુ તો સાચાં મોતી કહેવાય. રંગ છે તમને, કુંવર !” મહારાજાએ કુંવરની પીઠ થાબડી, રોકીને મહામૂલી પરોણાગત કરી.
બપોરે મહારાજના કુંવર જસુભા અને હનુભાઈ ચોપાટે રમવા બેઠા. રમતાં રમતાં જસુભાની એક પાકી સોગઠી ઢિબાઈ ગઈ. કુંવરે જસુભાની અાંગળી જોરથી દાબી કહ્યું: “યુવરાજ! અત્યારે તો અમારા – લાઠી ભાયાતોના – ગરાસ પૈસા આપી આપીને બાપુ માંડી લ્યે છે, પણ યાદ રાખજો, જેમ બાજરો કઢાવ્યો છે તેમ અમે એ બધાં ગામ પાછાં કઢાવશું, હો !”