શૂળીનો ઘા…
શૂળીનો ઘા…
ઓસ્ટિન ગુજરાતી જૈન પરિવારો અવારનવાર જૈન ગુરુઓના સાન્નિધ્યમાં સત્સંગનું આયોજન નિયમિત રૂપે કરતા જ હોય છે. આમે ય વારાફરતી પ્રત્યેક જૈન પરિવાર સત્સંગ સભાનું આયોજન તો કરે જ કરે છે. સરસ મઝાના ભજન-કીર્તન ગવાય, કોઈ સાત્ત્વિક પ્રવચન કરે કે ભારતમાં કોઈએ હાલમાં કરેલી સમેત શિખર, પાલીતાણા, દેલવાડાના કે કુલ્પાક્જીની યાત્રાનું અનુભવ-વિવરણ પ્રસ્તુત કરે. સ્તવન તો ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક હોંસે હોંસે ગવાય જ ગવાય. સાત્વિક વાચન પણ કરવામાં આવે. મોટા ભાગના પરિવારો તેમ જ તેમના સ્કુલ-કોલેજમાં ભણતા સંતાનો પણ જૈન ભોજનના જ આગ્રહી.
અમેરિકામાં જન્મેલા બાળકોમાં પણ આવા ઊંચા સાત્વિક-આધ્યાત્મિક સંસ્કારો જોઈ -જાણી, પધારતા ગુરુ મહારાજ લોકો પણ પ્રસન્ન થાય, અભિનંદન આપે અને આશીર્વાદનું મંગલમ ભણે. મહાવીર જયંતી, સંવત્સરી, અઠઠાઈ, ધારણા-પારણા, એકાસણું, વરસી તપ ઈત્યાદિ હોંસે હોંસે, ભારે ઉત્સાહ સાથે અને ઉમંગપૂર્વક ઉજવે-મનાવે.
ક્યારેક પાસેના કોઈ શહેરમાં પણ પૂરા એક સપ્તાહની શિબિરનું આયોજન થાય અને કોઈ જૈન શ્રદ્ધાળુ પરિવાર પોતાને ત્યાં નિત્ય પૂજા ભણાવે અને સત્સંગ -આયોજન કરે.
આવું જ એક આયોજન એક વાર હ્યુસ્ટન ખાતે આયોજિત કરવામાં આવેલું. ત્યાના સ્થાનિક જૈન પરિવારો તેમ જ ઓસ્ટિનના પણ જૈન પરિવારો ઉક્ત શિબિરમાં સહભાગી થવા સારી સંખ્યામાં જોડાયા. હોટલના નિવાસની, જૈન બ્રેકફાસ્ટ -લંચ-ડિનરની સમુચિત વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ.
શિબિર નિયત દિવસે શરૂ થઇ. એક સપ્તાહની શિબિર હતી અને સહભાગીઓ ભારે ઉત્સાહથી તેમાં સંમિલિત થયા હતા. એક પરમ શ્રદ્ધાળુ પરિવારે પોતાના ઘરે, ઘર- મંદિરમાં ઠીક ઠીક પ્રમાણ ની સાઈઝના હોલમાં એક સત્સંગ સભા, ભજન કીર્તન ઇત્યાદિનું આયોજન રાખેલું. લગભગ સોએક શાવકોની ભીડ એકત્રિત થઇ અને કાર્યક્રમ પ્રારંભ થયો. ભારતથી પધારેલા ગુરુ મહારાજના પ્રવચન બાદ કીર્તન કરતા કરતા સહુ કોઈ તાનમાં આવી ગાવાનાચવા લાગ્યા.
અને માનશો નહિ, પણ એકાએક એ ગરાજ પર બનેલો આખો હોલ દબાઈને નીચે ધસી ગયો, સહુ કોઈ ઓછા-વત્તા પ્રમાણમાં ઘાયલ થયા, કોઈના હાથ-પગમાં ફ્રેક્ચર પણ થયું, સહુ કોઈને હોસ્પિટલના ઈમરજન્સી અને ટ્રોમા વિભાગમાં દાખલ કરવામાં આવ્યા. સહુથી પહેલા ગુરુ મહારાજ સાહેબ તેમના પુણ્યપ્રતાપે સ્વસ્થ થઇ ગયા અને દરેક આહત સત્સંગીની પાસે જઈ તેને પોતાની આત્મશક્તિથી જોઈતું મનોબળ આપ્યું, આશીર્વાદ આપ્યા, મંગલમ ભણી તેમને સધિયારો આપ્યો. કોઈ કરતા કોઈ આવા ભયંકર અકસ્માતના પરિણામસ્વરૂપ ન મરણ -શરણ થયું કે ન કાયમી ખોડનો ભોગ બન્યું એ સત્સંગનું જ બળ અને ગુરુમહારાજની કૃપા જ કૃપા, તેમ શિબિરમાં જોડાયેલા પરિવારોએ તો પરિવારોએ તો માન્યું-કબૂલ્યું એ તો સમજાય; પરંતુ સમાચાર પ્રસારિત કરનારાઓએ પણ તેવું જ કહેતા જાણીતી કહેવત પણ જોડી-ઉમેરી કે ગુરુ કૃપાથી અને સત્સંગ બળથી શૂળીનો ઘા સોયથી પતી ગયો. સહુ કોઈને આવું સત્સંગ બળ મળે, આવી ગુરુ કૃપા મળે.