નંદવાયેલું વાસણ
નંદવાયેલું વાસણ
પવનની ઝડપે સમાચાર ફેલાઇ ગયા કે શાંતિલાલના મોટા છોકરા ભાર્ગવને કેન્સર જણાયું. કેન્સર એટલે ‘કેન્સલ’ના ભાવો આપો આપ આવી જાય. દયા, કરુણા અને અરેરાટીની ભાષા સંભળાતી અને બંને નાના ભૂલકાં અને તેમની મા ભાર્ગવી પણ મૂંઝારો અને અકળામણ વેઠતાં હતાં. ભાર્ગવ સાથે સંકળાયેલ સૌ એક પ્રકારનો ભાર વેઠતા હતા. ચીનની લડાઈ વખતે એક પછી એક નીકળતા જતા ચીની જવાનોની જેમ એક પછી એક ટેસ્ટ સુચવાતા જતા હતા અને બે મહીના પછી આજે નિદાન આવી ગયું કે ફેફસામાં કેન્સર છે.
ભાર્ગવને ભાર્ગવી અને મોંટુ અને પીંટુ સાથે બા અને બાપુજીનાં ચહેરા દેખાતા હતા. દરેક્ને માણસ ખોવાનું દુ:ખ વઢી ચઢીને દેખાતું હતું. ભાર્ગવી હવે મારું શું થશે કરીને રડતી હતી..હું એકલી જાત આ બંને ને કેમ મોટા કરીશ અને કેમ જીવીશ નો પ્રશ્ન હતો..જાનકી બા ને તૈયાર થયેલો કમાતો છોકરો ખોવાનો અને ઘડપણેમાં કેમ જીવાશેનું દુ:ખ હતું.
શાંતિબાપાને તો દીકરો ગુમાવવાનું તો દુ:ખ હતું પણ સાથે સાથે ઘડપણ માટે બચાવેલી મૂડી વપરાઇ જશે અને છોકરો તો બચવાનો નહીં’નો ગમ કોર્યા કરતો હતો. મિત્રો સગા સબંધીઓનાં ટોળા વચ્ચે પણ ભાર્ગવનો જીવ ચુંથાતો હતો. તે સૌની દયા દ્રષ્ટી થી અકળાતો હતો. સૌ કંઇક ગુમાવવાનાં હતા જ્યારે હું તો બધુજ ગુમાવવાનો છું તે વિચારથી તેની આંખો વારે વારે ભરાઇ આવતી હતી. જાનકી બા રડતાં રડતાં તેને દિલાસો આપતાં હતાં.
ભાર્ગવે રડતી જાનકી બાને કહ્યું, 'બા હું તો કાચનું વાસણ. તીરાડ પડી ગઇ એટલે નકામું નહીં?'
‘ના બેટા તિરાડ ક્યાં પડી છે દવા ચાલુ છે ને? સૌ સારુ થઇ જશે.’
‘બા તો પછી રડો છો કેમ? તમેજ મને શિખવતા હતાને કે રડે તેનું કિસ્મત પણ રડે!’ ભાર્ગવે મંદ અને ધ્રુજતા અવાજે કહ્યું.
જાનકીબાથી ન સહન થયું અને છુટ્ટા મોંએ રડી પડ્યાં. ‘હા બેટા હા મારું કિસ્મત જ રડવા બેઠું છે અમારે જેમનો જવાનો સમય આવી ગયો છે તે રહી પડ્યા છે અને જેમને જીવવાનું છે તે પહાડ જેવા દીકરાનાં તેડા આવે...’
શાંતિબાપા ભાર્ગવને ખીજવાયા, ‘ભાર્ગવ તું જરા શાંત રહીશ?’
ભાર્ગવ જાનકીબાની સામે જોતાં ફરી બોલ્યો, ‘મારા જન્મ વખતે પીડાની માર્યા તમે રડતાં હતાં. આજે પણ જતાં જતાં તમને રડાવું છું, નહીં?’ ભાર્ગવની આંખમાં આંસુ હતાં.
ભાર્ગવની નજર ભાર્ગવી, મોંટુ અને પીંટુ તરફ ફરી અને ખુલ્લી જ રહી ગઈ…
નંદવાયેલું વાસણ બટકી ગયું.