સાધના-૧૬
સાધના-૧૬
આજે સાધનાથી ઉઠવામાં થોડું મોડું થઇ ગયું .તેણે ઝટપટ નાહિ લીધું.
આજે પોતાનું મો પણ અરીસામાં જોવાનું પાલવે તેમ ન હતું, તેથી ચાંદલો પણ ન કરી શકી અને કામમાં લાગી ગઈ, કૈલાશબેન હવેલીથી આવી ગયા, આવતા વેત જ બોલ્યા “સાધના ! તારો ચાંદલો ક્યાં ?
“તું મોડી ઉઠી ?” મને હતું જ ! આજે જ જાત્રા પર જવાનું બધા નક્કી કરતા હતા, પણ હું તો ક્યાય નહી જઈ શકું. તારા પર ઘરની જવાબદારી કેમ સોપું ?” સાધના સવાર સવારમાં આવા શબ્દો સાંભળતી હતી, પણ મો બંધ રાખીને કામ કર્યે જતી હતી. ભરતે હાક મારી, સાધના મારો રૂમાલ ક્યાં ખાનામાં છે ? વળી તે રૂમમાં દોડી
ભરતના હાથમાં રૂમાલ આપી તે બહાર નીકળતી હતી.
ત્યાજ ભરતે તેનો હાથ ખેચી લીધો અને બોલ્યો, "કાલે કેમ મૂડમાં ન હતા મેડમ ?" સાધના બોલી,"ના, એવું કઈ નહી, અને તેનું ધ્યાન રસોડામાં હતું, ગેસ પર શાક મુકેલું હતું. તેને ભરતના આલિંગન કરતા ગેસ પર મુકેલા શાકની ચિંતા હતી. તે બોલી,"એક મિનીટ, હું આવું હો ! ગેસ ફાસ્ટ છે , મારુ શાક બળી જશે." કહી ,તે હાથ છોડાવીને ત્યાંથી દોડી. ભરતને લાગ્યું મારું દિલ બળી જાય તો કઈ વાંધો નહિ પણ શાક ન બનવું જોવે !! ભરત તૈયાર થઈને હું જાવ છું કહીને નીકળી ગયો. તેનો ડબ્બાવાળો થોડો મોડો આવતો હતો. તેથી ચિંતા ન હતી. પણ તેને ખુશ ન કરી શકી તેનો અફસોસ સાધનાને પારાવાર હતો. પપ્પાજીનું ટીફીન તૈયાર હતું. ત્યાંજ કૈલાશબેન બોલ્યા બીટ,દુધી ને ગાજરનો રસ જ્યુસરમાં કાઢી આપ, તારા પપ્પા પીને જશે. ભરત તો એમ જ ગયો બિચારો ! વળી નાનો દિયર પણ બોલ્યો, ”કેમ એમ જ ગયા મોટા ભાઈ ?” “એમ જ જાય ને ! સવારમાં ઉઠવામાં જોને કેટલું મોડું કરે છે !”
સાધના કઈ પણ બોલ્યા વગર જ્યુસ કાઢવા લાગી.તેને રડવું આવી રહ્યું હતું.
આંખોના ખૂણા પણ ભીના થઇ ગયા હતા. પણ ચુપચાપ કામ કરવા લાગી. પપ્પાજી દુકાને જવા વહેલા નીકળી ગયા, તો પણ મમ્મીજી બોલ્યા, "ઘરમાં આવું વાતાવરણ હોય તો, માણસ જલ્દીજ નીકળી જાય ને !" આ દોષનો ટોપલો પણ સાધના ઉપર આવ્યો. તોપણ તે મૂંગે મોઢે કામ કરવા લાગી. થોડવારમાં કૈલાશબેન ના જેઠાણી કાંતાભાભી આવ્યા “આવો આવો ભાભી ! કહીને મમ્મીજી પગે લાગ્યા. સાધના પણ બહાર આવીને પગે લાગી. અને પાણી લઈને આવી તે બોલ્યા,"જો કૈલાશ મારા રાહુલના લગ્નની તારીખ આવી ગઈ છે, અખાત્રીજના નક્કી કર્યા છે. તો રેખાને જાણવી દેજે. નાના જમાઈ અણવર બને તો સારું ને ! અને કહેજે કે ભાભુએ વહેલી તેડાવી છે"
ત્યાં તો કૈલાશબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યા ”ભાભી તે તો બે વરસ સુધી નહિ આવી શકે, આપણી વહુ જેવું થોડું છે,કે જયારે જવા મળે ત્યારે તૈયાર થઇ જાય. કહી સાધનાની સામું આડકતરી રીતે જોવા લાગ્યા. ભાભી ઘરની વાત પારખી ગયા. તે બોલ્યા, “ના હો, આવું ન હોય. પ્રસંગો સિવાઈ બાપના ઘરનો મોહ જ ન રાખવો. ૨૫ વરસ સુધી તો ત્યાં રહ્યા, હવે સસરાના ઘર પ્રત્યે પણ કઈ ફરજ હોય ને !” કામ સિવાય જવાનું જ નહી.
સાધના ચા સાથે નાસ્તો લઇ આવી. સાધના બોલી, "ભાભુ મારા યોગ્ય કઈ કામ હોય તો જણાવજો." "રાતના ભરત આવે ત્યારે કામ પતાવીને રોજ એક આટો મારી જજો. અમે બધા રાતના જ ભેગા મળીયે.” ભાભુ બોલ્યા.” “હા આવીશું ! ભરત આવે પછી કામ પરવારતા જ મોડું થઇ જાય, પછી સુવામાં મોડું થાય, ને પછી ઉઠવામાં પણ મોડું થાય. તમારે ઘરે તો ક્યાંથી આવશે ?" કૈલાશબેન દાઢમાં બોલ્યા. અમે લોકો જ આવીશું. ”સારું ત્યારે જયશ્રી કૃષ્ણ.“કહીને ભાભુ ઉઠ્યા.
કૈલાશબેન થેલી લઈને શાક લેવા ઉપડી ગયા. સાધનાને રડવું આવી ગયું. મમ્મીજી મારી કઈ ભૂલની સજા દઈ રહ્યા છે કે બીજાની સામે પણ મને નીચી દેખાડવાનો કોઈ મોકો છોડતા નથી. સાધનાની સહનશક્તિની પરીક્ષા લેવાઈ રહી હોય તેવું લાગતું હતું. દિવસ પસાર થઇ ગયો. રાતે બધા ઘરે આવ્યા. જમતા જમતા કૈલાશબેને ભાભુ આવ્યાના સમાચાર આપ્યા,રેખાને તેડાવવાનું કહેવા આવ્યા હતા તે પણ જણાવ્યું. ત્યાંજ પપ્પાજી બોલ્યા, "મેં ફોન માટેની બધી કાર્યવાહી કરી લીધી છે, ૨૨૦૦ રૂપિયા ઓનના આપવા પડશે. તેથી જ તો હું આજે વહેલો નીકળી ગયો હતો. સાધના એ જ્યુસ આપ્યું તે પણ થોડું જ પીધું." હાશ ! સાધના ના મનમાં શાંતિ થઇ કે મમ્મીજીના કહેવા મુજબ તેઓ વહેલા નહતા ગયા. જમીને ફરી રોજ જેવી જ રાત પડી. આમને આમ દિવસો પસાર થતા હતા. મમ્મીજી સાધનાને સંભળાવવાનો કોઈ મોકો છોડતા ન હતા. અને સાધના કઈ પણ બોલતી ન હતી અને સહન કર્યે જતી હતી. થોડા સમય બાદ ભાભુની નવી પરણેલી વહુને સારા દિવસો રહ્યા. આ સમાચાર સાંભળીને કૈલાશબેન પિત્તો ખુબ ગયો. આજે તો તેઓ ન બોલવાના વેણ પણ બોલી ગયા. અને કીધું, "ન ભગવાનના પાઠ વાંચે, ન હવેલીએ જાય. તો પછી કઈ ભગવાન થોડું તારી સામે જોવે ? સુવા માંથી નવરી નથી પડતી. કાલથી વહેલી ઉઠીને પાઠ કરજે, તો જ સારાવાના થશે.
આજે તો આંખો દિવસ સાધનાનો બહુજ ખરાબ ગયો. હવે રાતની પ્રતીક્ષામાં હતી .આજે તો ભરતને બધી વાત કરું, મારું મન આવું સાંભળી સાંભળીને મારી ગયું છે, હું થોડા દિવસ મારા બાપુ પાસે ગામ જઈ આવું. હવે સહન થતું નથી. તેવો નિશ્ચય કરીને તૈયાર રહી.
ભરતે રૂમમાં આવતા વેત કહ્યું કે "મારા માટે ગરમ પાણીની કોથળી ભરીને લઇ આવ ને. મારાથી બેસાતું પણ નથી. કમરમાં અસહ્ય દુખાવો થાય છે." સાધના તરત જ ગરમ પાણી લેવા ગઈ જેવી તેને રસોડાની બત્તી ચલુ કરી તો, કૈલાશબેનના પેટમાં ફાળ પડી, તે ઉઠ્યા ને બોલ્યા, "શું થયું ? કેમ પાણી ગરમ કરે છે ?" "આ તો, મમ્મી ભરતને કમરમાં બહુ દુખે છે ને એટલે શેક માટે." “હાય હાય તેણે મને કેમ ન કહ્યું ? હું બામ લઈને આવી, પાતું પાણી પછી લઈને જજે“
સાધના તો ચિઠ્ઠીની ચાકર, તે પોહ્ચે તે પહેલા કૈલાશબેન બામ લઈને પોહોચી ગયા અને માલીશ કરવા લાગ્યા. ભરતે ઘણી ના પડી પણ બધું વ્યર્થ. "કાલે મારે ડોકટર પાસે જવાનું છે. પછી સાચી હકીકત ની ખબર પડે, તમે સુઈ જાઓ મમ્મી, સાધના છે ને, ધ્યાન રાખશે." કૈલાશબેનને સાધના પર જરા પણ વિશ્વાસ ન હતો, પણ દીકરાના કહેવાથી તે ઉઠ્યા. સાધનાને લાગ્યું કે મમ્મીજી ભરતના દુખાવા માટે મને જ જવાબદાર ગણે છે.આમ ન ઇચ્છતા પણ તેના મનમાં સાસુ માટે એક કડવાસ વ્યાપી ગઈ. તે મનોમન વિચરવા લાગી કે મારે મા મર્યાને વરસો થયા મને તેમનું મોઢું પણ યાદ નથી. કૈલાશબેન મળ્યા તો મને માની કમી નહિ વર્તાય તેમ હતું પણ હું નસીબની બળેલ કે તેમાં પણ ન ઠરી. એક નિસાસા સાથે તે ભરતની બાજુમાં સુઈ ગઈ. અને પોતે કરેલો નિશ્ચય મનમાં જ દબાવી દીધો...(ક્રમશ)