Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

પ્રભુ પધાર્યા - ૧૨

પ્રભુ પધાર્યા - ૧૨

4 mins
7.6K


છોડ પોચી પોચી પાણી ભરપૂર જમીનમાંથી ખેંચી કાઢ્યા, જળ ઉપર થપ્પીઓ તરતી મૂકી. પછી પાળો ખોલી નાખી ખેતરને ખાલી કર્યું, ને પાછી એ જ જમીનમાં અકેક રોપ કરી કરી રોપી આપ્યો.

કાઠિયાવાડમાં કહેવત છે કે, 'પાંદડા લીલાં દેખીને પનો પાંચ વાર પરણ્યો.' મતલબ એ છે કે પોતાના ખેતરના કપાસનાં પાંદડાં જ્યાં સુધી લીલાં જુએ ત્યાં સુધી નવો નવો કાલાંનો પાક લેતો લેતો ખેડૂત નાણાં ખરચીને પાંચ વાર લગ્ન કરતો રહે. એ રીતે બ્રહ્મી ભૂમિપુત્ર નીમ્યાના વરે પોતાના બાપના ખેતરમાં હરિયાળી ઘાટી ડાંગર દેખીને શું કર્યું?

એનું નામ હતું માંઉ-પૂ. એ એક ચાવલ-મિલમાં નોકરી કરતો. મહિને વીસેક રૂપિયા મળતા. પરણ્યા પછીના પહેલા મહિનાના વીસમાંથી એણે પહેલે જ તડાકે રેશમી લૂંગી ખરીદી, બીજે મહિને સરસ હાફકોટ લીધો, ત્રીજે મહિને એક ઘડિયાળ ખરીદ્યું, ચોથે મહીને એક મોટા ફુંગી ધર્મગુરુ ગુજરી ગયા હતા તેના ઉત્સવનું આખરી અઠવાડિયું હતું. આખા ગામને અને આસપાસની ગ્રામ્ય પ્રજાને, લાખો માણસોને ઉત્સવ સાંપડ્યો. બ્રહ્મદેશમાં જન્મોત્સવ કે લગ્નોત્સવ નથી, પણ એ બંનેનું વટક વાળી દે તેવો મરણોત્સવ છે.

ફુંગીના મૃતદેહને મસાલા લીંપી, સુગંધી દ્રવ્યો છાંટી, નક્શીદાર સુખડની પેટીમાં ત્રણેક માસથી મુકવામાં આવ્યો હતો અને હવે એનાં શેષ સંસ્કાર ટાણે પ્રત્યેક ફ્યામાં, એકેએક ચાંઉમાં, ઘરેઘરમાં નાટારંભ, જલસા, મહેફિલો અને જુગારની રમઝટ બોલી. નૃત્ય બ્રહ્મીને ઘેલી કરે છે; હજારો બ્રહ્મી સ્ત્રીઓએ પોમેડ, પાઉડર અને પફની દુકાનો પર ગિરદી મચાવી; હજારો લુંગી અને ઘાંઉબાંઉવાળા રેશમના વેપારીઓ રળવા લાગ્યા. ચાલતી નોકરીને ઠોકર લગાવીને ઉત્સવમાં સામિલ થનારાઓમાં માંઉ-પૂ પણ હતો. કાગળનાં ફૂલો બનાવીને વેચવા બેસતી નીમ્યા પણ બીજી હજારો સ્ત્રીઓ સાથે અદૃશ્ય બની, અને નીમ્યાના સસરાએ એક મદ્રાસી ચેટ્ટીની પેઢી પર જઈને ડાંગરનું પાકેલું ખેતર ગીરો મૂકી નાણાં ઉપાડ્યાં. મદ્રાસથી આવીને ધીરધારનો ધીકતો ધંધો

ચલાવવામાં પાવરધા બનેલા આ ચેટ્ટીઓ બ્રહ્મદેશની હજારો માઈલ જમીનના સ્વામી બનીને બેઠા હતા. શાંતિદાસ શેઠની સોનાચાંદીની દુકાને પણ એટલો જ તડાકો પડ્યો.

દાક્તર નૌતમ અને હેમકુંવરબહેન પોતાની મેડીએ ઊભાં ઊભાં આ મરણોત્સવનું પાગલ સરઘસ જોતાં હતાં. મુસ્લિમોના તાબૂતની માફક કાગળના બનાવેલા મોટા કલાયુક્ત ફ્યા (પેગોડા) નીકળ્યા. ધ્વજો અને પતાકાઓ, ગાન અને તાન વચ્ચે ઊંચે ઊંચે એક મંદિરના ઘુમ્મટ જેવડું એક કમળફૂલ ચાલ્યું આવે છે. એક ઠેલાગાડીમાં લોકો એને ખેંચી લાવે છે. ધીરે-ધીરે, ધીરે-ધીરે, ધીરે-ધીરે, કેમ જાણે કોઈક વસંતના મલયાનિલની લહરે લહરે ઊઘડતી હોય તેમ એની મોટી મોટી પાંદડીઓ સરખા પ્રમાણમાં ગોળકૂંડાળે ઊઘડતી આવે છે.

સહેજ ઊઘડી, વધુ ઉઘડી, અને અંદરથી અપ્સરા જેવી પાંખાળી જણાતી કો નર્તિકાએ ડોકું કાઢ્યું. જનપદે પાગલ બનીને હર્ષઘોષણા દીધી.

અપ્સરાનું સુંદર ઓળેલ સઢોંઉવાળું મસ્તક દેખાયું. હીરાના હારે હીંડળતી ડોક દેખાઈ, આછા વાયલની એંજીમાં ઢંકાયેલી પીનપયોધરવિહોણી, તસતસતા બાંધેલા કપડા વડે સપાટ કરી મૂકેલી પહોળી ચપટી છાતી દેખાઈ. એના કમ્મર સુધીના દેહને પ્રગટ કરીને પદ્મ પૂરેપૂરું પ્રફુલ્લિત બન્યું. કાંસાની કટોરીઓને કૂંડાળે ગોઠવીને બનાવેલ બ્રહ્મી જળતરંગ પર ઝીણી ડાંડીએ સૂરો જગાડ્યા. તંતુવાદ્યોના તાર પર બજવૈયાના હાથનાં આંગળાં ફર્યાં. (બ્રહ્મી પ્રજા પવન-વાદ્યને ધિક્કારે છે.) અને પદ્મમાં ઊભેલી પદ્મશ્રીએ નૃત્ય આદર્યું.

આ નૃત્યને ચગાવવા લહેરાવવા ત્યાં ચણિયાના ચાળીસહથ્થા ઘેર નહોતા, ચૂંદડી-ઓઢણીના ચકડોળ ફરતા પાલવ નહોતા. પગને રૂંધી રહેલી તસોતસ આસમાની લુંગી આપણી કાઠીયાણી-આહીરાણીઓની જીમી કરતાંયે વધુ ચપોચપ હતી. એમાંથી જે નૃત્ય નીકળ્યું તે નૃત્ય

એક આપમેળે શીખેલું નાજુક કટિનૃત્ય હતું. પદ્મશ્રીની કમ્મર તાલે તાલે ને સૂરે સૂરે પોતાના પાતળિયા લોક પાસે જાણે કે છંદો ગવરાવી રહી હતી. કોળીમાં આવી જાય તેટલી જ એ કેડ્યમાં માનવીએ મહાગ્રંથો ભરી આપે તેટલી બધી કરામત કોણ જાણે ક્યારે છુપાવી રાખી હતી.

પદ્મ પાસે આવ્યું અને હેમકુંવરબહેને હર્ષનાદ કર્યો, "અરે, અરે, આ તો આપણી નીમ્યા. અરે વાહ રે વાહ, નીમ્યા!"

પદ્મમાં નૃત્ય કરતી નીમ્યાની અને હેમકુંવરબહેનનની ચાર આંખો ભેળી થઈ અને પદ્મ-ગાડી પસાર થઈ ગયા પછી હેમકુંવરે પતિને કહ્યું "કહો ન કહો, પણ આ બાઈની આંખોમાં પોતે નાચે છે તેટલો ભારોભાર ઉલ્લાસ નથી."

"જોયું નહીં !" દાક્તરે કહ્યું, "નીમ્યા હવે માતા થવાને માર્ગે જણાય છે."

"તો તો થાકીને લોથ થવાની."

"તેનું બ્રહ્મીને શું ! આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે!"

"માળાં નાનાં બાળકો જેવાં."

"બસ, તેં બરાબર કહ્યું. આ બ્રહ્મી પ્રજા એની મધુર મુગ્ધ બાલ્યાવસ્થા જ વિતાવી રહી છે. અને ખોટુંય શું છે?"

"પણ એ અવસ્થા ઊતરશે ત્યારે શું થશે, દાક્તર ?"

"આપણે પરદેશીઓ કદાચ એ બાળાપણનો વહેલો અંત આણી દેશું. આ નિર્દોષતા લાંબી નહીં ટકે. આપણે એનું સુખ-સોણલું ઉડાડી મૂકશું!"

"એટલે શું?"

"એટલે રતુભાઈ રોજ કહે છે તે. એમને - એ બ્રહ્મીઓને - હવે ભાન થવા લાગ્યું છે કે તેઓ ભીંસાય છે. તેઓને કોઈક છેતરી રહેલ છે. અને તેઓની ભૂમિને કોઈક પરાયાં શોધી રહેલ છે."

તે જ વખતે છાપું આવ્યું. અને ડૉ. નૌતમે મોટાં મથાળાં વાંચ્યાં.

'બર્મા ફોર ધી બર્મીઝ : બર્મા બર્મીઓનું જ બનશે ! બર્મી મજૂરોની સાથે હિંદી મજૂરોની મેલી હરિફાઈ. આ મજૂરીનું પ્રમાણ નક્કી કરવા બ્રહ્મદેશીઓનો પુકાર' વગેરે વગેરે.



Rate this content
Log in

Similar gujarati story from Classics