રાહ અને ચાહ
રાહ અને ચાહ
તસ્વીર સૌજન્ય રેખા શુકલ (શીકાગો)
શ્યામા ખાલી નામની જ શ્યામા હતી. કેશ સિવાય રૂપ તો પ્રભુએ કૂટી કૂટીને ભર્યુ હતું, વળી નાગરી નાત અને પોલિસ જમાદાર બાપ પછી કોની મજાલ છે કે તેને છેડે. સોળે સાન અને વીસે વાન આવે ત્યારે શ્યામા ગામ આખાનું આકર્ષણ બની ગઈ. તેને હૈયે પણ “કો’ક મારું હોય”નાં અંકુરો જેમ જેમ ફૂટતા ગયા તેમ તેમ તે પણ તેને યોગ્ય મુરતિયો શોધતી. જો કે માતાપિતા પણ તેને મુરતિયા બતાવતા પણ તેનું મન હજી માનતું નહોતું. તેનાં મનનો માણીગર હતો પ્લંબર ગરાસીયો રજતસિંહ..
બહુ વિચિત્ર સંજોગોમાં તેમનું મળવું થયું… ગામ આખું શ્યામાની પાછળ દિવાનું પણ રજત તેને ભાવ ના આપે. કોલેજમાં ભણવાનું સાથે પણ રજતને ભણતાં ભણતાં પ્લંબીંગનું કામ કરવાનું તેથી તે માનતો કે પ્રેમ એ ભગવાનની ઉમદા દેન છે પણ પોતે નસીબનો ઉણો છે. શરીર સૌષ્ઠવ સારું તેથી તેની ઉપર પણ સહપાઠીઓની મીઠી નજર પણ તેની પાસે એવો સમય ક્યાં હતો કે તે સહપાઠીઓની મીઠી નજરોને માણે? આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે શ્યામાએ તેને કોલેજમાં રોકી લીધો.
“રજત તને ખબર છે પૃથ્વી સૂરજને પામવા કેમ મથે છે?”
“પાના અને પાઇપ સાથે રમનારો રજત એવું બધું ક્યાં સમજે?”
“રજત! તું તો શીવ શંભુ જેવો અલગારી… આખરે મારે જ પહેલ કરવી પડી.”
“શ્યામા... તને તો ખબર છે ને કે આપણા આ સંબંધ વચ્ચે કેટલી બધી આડ્ખીલીઓ છે, તેથી તો તારી તરફથી આવતા સમસ્ત ઇજનોને અવગણતો રહ્યો હતો...”
“રજત જબ મીયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી?” રાધા - શ્યામાની સખી ત્યારે ટહુકી.
“જો હું તો એવું સમજું કે હું મારા પ્રિય પાત્રને સુખ આપી ન શકવાનો હોઉં તો તે દિશામાં જવાય જ ના. કેમ કે અમીરી ગરીબી, જ્ઞાતિ – જાતિની કેવી મોટી દિવાલ આપણી વચ્ચે છે? અને વળી પાછા પોલિસ ઇંસ્પેક્ટર સામે બાથ ભીડવાની…”
“એટલે તું ડરે છે?”
“ના દરબાર ડરતા નથી હોતા પણ જરા મને કહે તો ખરી કે મને ભરથાર તરીકે પામીને તું ગરીબી કેમ પામવા ઇચ્છે છે?”
“જો તું મારા મનનો માણિગર છે એટલું જ મારે માટે બસ છે... તને જોતાં જ મારા હૈયાની ધડકન વધી જાય છે.”
“મારાં પણ એજ હાલ છે.”
“તો પછી વિલંબ શાનો છે?” પાછી રાધા ટહુકી.
રજત બહું ઠાવકાઇથી બોલ્યો “શ્યામાની માતાપિતાની અનુમતિનો પ્રશ્ન મને ગુંચવે છે. આપણાં સુખદુઃખનો અત્યાર સુધી ખયાલ રાખનારની સંમતિ તો લેવી જ રહીને?”
“મને ગળા સુધી ખાતરી છે તે મળનાર નથી તો શું તમે કદી નહીં મળો?” પાછી રાધા ટહુકી
હિન્દી ફીલ્મનાં હીરોની જેમ તે ફરી બોલ્યો, “હું તો તેમની સંમતિ મેળવવા આકાશ પાતાળ એક કરીશ.” શ્યામા નિઃસાસો નાખીને કહે, “અરે રજત! આ ખયાલી પુલાવ પકાવાનું રહેવા દે અને ચાલ, મારો હાથ પકડીને મંદિરે ભગવાનની સાક્ષીએ લગ્ન કરી નવું જીવન શરુ કરીયે.”
રજત કહે, “શ્યામા તને લગ્ન કરતાં પહેલાં મારે તને મારો ભૂતકાળ કહેવો પડે અને તે જાણ્યા પછી ઇન્સ્પેક્ટર અવાશીયા મને કદી મંજૂર નહીં કરે તેથી પાછી વળી જા.” શ્યામા ગંભીરતાનો ડોળ કરતાં બોલી, “લગ્ન મારે તારા વર્તમાન અને ભવિષ્ય કાળ સાથે કરવાના છે તારા ભૂતકાળ સાથે મારે શું લેવા દેવા? અને પપ્પાને તો હું કહી દઇશ કે જ્યાં મારું મન ઠરે ત્યાં હું રાજી! મારા સુખે કે દુઃખે હું રડતી પાછી નહીં આવું.”
“સાંભળ હું કોલેજમાં ખુબ ધમાલીયો એટલે એક તબક્કે કોલેજનાં રાજકારણમાં મારા મારી કરીને જેલમાં ગયો હતો. તે આઘાતમાં મારી મા મરી ગઈ. બાપે મને ઘર બહાર કર્યો. કોલેજમાં બે વર્ષ બગડ્યા અને પાના અને પાઇપ પકડીને પ્લંબીંગ કરુ છું કમાઉ છું અને ભણું છું. અવાશિયા સાહેબ મને કંઇ દીકરી આપી દે તેટલા માનથી જોવાના નથી તેથી તારું માન સચવાય અને હું ભણીને થોડો લાયક બનું પછી આપણે એક થઇએ.” રાધા રજતનાં વાણી અને વર્તનથી અંજાતી જતી હતી ત્યાં શ્યામા બોલી, “રજત એ તારી ધમાલો અને પરાક્રમોની તો હું દિવાની છું અને એ જવાની શું કામની જેમાં કોઇ કહાણી ના હોય… મારું ભણતર પૂરું થયા પછી તને એમ લાગે છે કે મારા બાપા મને એમેને એમ ઘરમાં બેસવા દેશે? મને તો ભાગીને લગ્ન કરવાનો અનોખો રોમાંચ અનુભવવો છે.”
“સારું તો તારો શિવશંભુ કાલે અવાશિયા સાહેબને મળવા આવે છે. અને જો તેઓ નહીં માને તો પૃથ્વીરાજ ચૌહાણ જેમ સંયુક્તાને હરી ગયા હતા તેમ તારું અપહરણ કરવા આવું છું.”
બીજા દિવસે સવારે રજત સજીધજીને અવાશિયા સાહેબને ત્યાં આવ્યો, ત્યારે ઘરમાં અજંપા ભરેલી શાંતિ હતી. ઇન્સ્પેક્ટર અવાશિયાએ રજતને જોયો અને દીકરીની પસંદગી માટે ક્ષણભર તો માન થયું પછી પહેલો જ પ્રશ્ન પૂછ્યો, “કેટલા જાજરુ બાથરુમો રોજનાં સાફ કરો છો?” શ્યામાને અપમાન થશે તેવી આશંકા તો હતી પણ સાવ નિમ્ન કક્ષાની વાત પહેલા જ થશે તેવી અપેક્ષા નહોતી. રજતે સૌમ્યતાથી કહ્યું “ સહેબ હું હજી તો ભણું છું અને પ્લંબીંગનું કામ મારી જીવન જરૂરિયાત માટે કરું છું. આપ સમજો છો તેવો હું હરિજન નથી, જાડેજા છું અને ભણતર પત્યા પછી આપની જેમ જ હું શ્યામાને ઠાઠથી રાખીશ.
“અરે જા રે જા... મારી દીકરી તારા જેવા ભુખ્ખડ ગરાસિયાને પરણાવા કરતાં એને ઘરે બેસાડીશ. અને મને તું મોટો થાય અને મારી શ્યામાને સુખી કરે એવા કોઇ સ્વપ્ના જોવા નથી. મને તો આજે લઈ જાય અને સુખી કરે તેવો નાગર બચ્ચો જોઇએ છે સમજ્યો…”
“પણ સાહેબ! શ્યામા અને હું બંને એક બીજાને ચાહીયે છે. રજતનાં સૌમ્ય અવાજ અને અભિમાન યુક્ત હાસ્યથી અવગણતા બોલ્યા, “એ રુપાળી છે એટલે કેટલાય એના દિવાના હોય... કંઈ એમ દરેકને ઓછી પરણાવાય દીકરી. વળી, તું તો ક્રીમીનલ છો. ફરીવાર અહીં આવ્યો તો જેલમાં નાખી દઇશ સમજ્યો. ગરજતા અવાશિયા સાહેબે તેને બહાર જવાનો રસ્તો બતાવી દીધો. તે રાત્રે રાધા અને શ્યામા મંદિરે આવ્યા પણ રજતને રજત જ રહેવું હતું. પૃથ્વીરાજ નહોતું થવું.
ક્ષણો વીતી ચાલી અને જિંદગીએ બંને પ્રેમીઓને જુદા રાહે ચઢાવી દીધા. કોઈ ઉમ્મીદ નહીં કોઈ વાયદો નહીં. કવિ નરભેરામે સાચું જ કહ્યું છે;
“નથી નિપજતો પ્રેમ વાડીમાં પાણી પાતાં,
નથી નિપજતો પ્રેમ તેલ ચોળ્યાથી તાતાં.
નથી મળતો કાંઈ પ્રેમ ગાંધી દોશીને હાટે,
નથી મળતો કાંઈ પ્રેમ ખોળતાં વાટે ઘાટે.
નથી મળતો પ્રેમ તપાસતાં ગુજરી ગામેગામની,
કહે નરભો પ્રેમ પૂરો મળે કૃપા હોય શ્રી રામની.”
પ્રેમ પુરો મેળવવામાં કૃપા રામની જોઈએ. જો કે બંને અસંમત હતાં છતાં કોઇએ મર્યાદાની સીમા ના લાંઘી. શ્યામા ભણીને મનોવૈજ્ઞાનીક બની. ઉંમર વધતી ચાલી હતી અને રજત તેના પિતાનાં મૃત્યુ પછી લશ્કરમાં જોડાયો. બે પ્રેમી વચ્ચે એક જ કડી હતી અને તે રાધા…
રજતનાં વર્તન માટે શ્યામાને આશ્ચર્ય તો થતું હતું કે આ કેવો મર્કટ સમ વ્યવહાર? રજતમાં હિંમતનો અભાવ હતો કે વડીલો પ્રત્યેનો આદરભાવ. જેમ જેમ સમય વિતતો હતો તેમ તેને સમજાતું હતું કે રજત સંસ્કારી છે પણ તેના બાળપણમાં મર્કટ વૃત્તિ ક્યારેક જોર કરી ગઈ છે તેના અંશ હજી તેના જીવનમાં છે તે ક્યારેક વગર વિચાર્યુ પણ હિંમતવાળું કાર્ય આજે પણ કરે છે. તેના સારા અને નરસા પરિણામો પણ વેઠે છે. મનોવૈજ્ઞાનિક મંથનો તેને રજતને વધુને વધુ પ્રેમ કરવા પ્રેરતા અને તેથી અવાશિયા સાહેબે બતાવેલા અગણિત મુરતિયાઓમાં ક્યારેય તેનું મન ના બેઠું.
પો.ઇ. અવિનાશ અવાશિયાની ઓફીસમાં આર્મ્સ્ટ્ડેમનાં ઝવેરી શ્યામ અને તેમના બાપુજી અદભુત હાથી બેઠા હતા. શ્યામની ઝવેરાતની દુકાનમાં થયેલી ચોરીનાં ચોરને પો.ઇ. અવાશિયાએ ત્રણ દિવસમાં પકડી પાડીને ૯૦% જેટલો માલ પરત કરવા બોલાવ્યા હતા. શ્યામને જોતાની સાથે જ અવિનાશને પહેલી નજરે તે ગમી ગયો હતો. સામાન્ય વાતચીતમાં અદભુતરાયે કહ્યું કે આર્મ્સ્ડમની હીરા બજારની ધીખતી કમાણી શ્યામ સંભાળે છે પણ મારે માદરે વતન રાજકોટમાં નિવૃત્ત જીવન કાઢવું છે તેથી ત્યાંની એક શાખા અહિં તેઓએ ખોલે દોઢેક વર્ષ થયું છે.
શ્યામનાં લગ્ન વિશે પૂછતાં અદભુત કહે એની ઉંમર વધતી જાય છે અને તેને કોઇ છોકરી ગમતી નથી. ભારત આવવાનું અને રાજકોટમાં શાખા ખોલવાનું એક નાનું કારણ એ પણ છે કે તેને યોગ્ય પાત્ર મળે અને તેઓનો સંસાર આગળ વધે. શ્યામ ચોરીનાં દાગીના પરત લેવા ગયો ત્યારે આંખમાં ઝળઝળીયા સાથે શ્યામાની બાબતે થયેલ ભૂલ અને તેની ભોગવાતી સજા વિશે જણાવ્યું. ફૂલ જેવી ખીલેલી કળી અત્યારે અકારણ પ્રેમનો રોગ લગાડી શોષવાય છે, અને જો વાંધો ના હોય તો આપ આવો અને શ્યામ અને શ્યામાને એક બીજાને મળવા દો.
અદભુતરાયે કહ્યું, “આમાં શું વાંધો હોય? 'પણ' કહીને તેમણે કહ્યું શ્યામનો નિર્ણય જ હંમેશા ફાઇનલ હોય છે તેથી જો તે ના કહે તો આપણે ધરતી ઉપર આવી જવાનું.” આ સમયે રજતથી વાકેફ રહેતી રાધાને... અવિનાશે વિનંતી કરી કે રજત વિશે કોઇ માહિતી નથી મલતી અને તે શહિદ થયાની વાત કર કે જેથી પતલી આશાને સહારે ઝુલતી શ્યામા શ્યામને ના ન કહે.
પિતાને બહુ વ્યથિત જોતી શ્યામાએ આ વખતે નમતું જોખ્યું. શ્યામ અને શ્યામા મળ્યાં. જુગતે જોડી તો હતીજ. પહેલી જ મુલાકાતમાં રજતની વાત કરી અને શ્યામાએ શ્યામને ભૂતકાળ તેનાથી ભુલાતો નથી અને રજત શહીદ થયાની વાતે તે પિતાની ઇચ્છા પ્રમાણે વર્તી રહી હતી વાળી વાતને શ્યામે બહુ ખેલદીલી પૂર્વક લીધી. લગ્ન થયાં પણ રજતનાં શોકમાં ગળાડુબ શ્યામા ક્યાંય સુધી શ્યામથી અળગી રહી. શ્યામને ઘણી વખત થતું કે તે પોતે અવિનાશ અવાશિયાની જીદનો શિકાર છે કે શ્યામાની દિવાનગીનો? તેની જર્મનીની આવન જાવન વચ્ચે ઇંનટર્નેટ ઉપર રજતને પગે ગોળી વાગી તે છતા કારગીલમાં તેની જીતને વખાણતા આર્ટીકલે રાધાનાં જુઠને કડડભુસ કરી નાખ્યું. શ્યામા જે ખરેખર માની જ નહોંતી શકતી કે રાધા તેની સાથે રજત માટે આવું જુઠાણું ચલાવશે. અવિનાશભાઇએ રાધા તરફ વધતા અભાવાને રોકવા કબુલ કરી લીધું કે રાધાને ખોટી માહિતી એણે જ આપી હતી. પણ હવે શું? શ્યામાએ શ્યામને કહ્યું, “મને જુઠાણું આચરીને તમારા તરફ વાળવામાં આવી છે. હું આપથી છૂટા થવા માંગું છું મનથી તો હું રજતની હતી જ અને હવે તનથી પણ રજતની થવા માંગુ છું.”
અદભુતરાયને ડર લાગ્યો કે શ્યામા પૈસા માંગશે. પણ છૂટાછેડાનાં કાગળો ઉપર સહી કરતી વખતે શ્યામા ઉપકૃત હતી અને કોઇજ અજુગતી માંગણી નહીં કે પૈસાની ચર્ચા પણ નહીં.
આ બાજુ રાધાને ખબર પડી કે રજતને ગ્રેસફુલ રીટાયરર્મેંટ મળી હતી અને તેનો સંપર્ક મેળવવા અવિનાશે મહત્તમ પ્રયાસ કર્યો. પગેરુ શોધતાં શોધતાં ખબર પડી કે રજત મુંબઈ ખાતે ઇંડસ્ટ્રીયલ સીક્યોરીટી કંપનીનો વડો હતો.
અવિનાશ અત્યારે પસ્તાતો હતો. તેને તેના શબ્દો સંભળાતા હતા. “અરે જા રે જા... મારી દીકરીને તારા જેવા ભુખ્ખડ ગરાસિયાને પરણાવા કરતા ઘરે બેસાડીશ. અને મને તું મોટો થાય અને મારી શ્યામાને સુખી કરીશ વાળા કોઇ સ્વપ્ના જોવા નથી મને તો આજે લઇ જાય અને સુખી કરે તેવો નાગર બચ્ચો જોઇએ છે સમજ્યો…” એ જ ભુખ્ખડ ગરાસીયો વતનનો માનનીય સિપાહી હતો. દિકરીને સુખી જોવી તે માતાપિતાની પહેલી ફરજ છે જ્ઞાતિ જાતિ અમીરી ગરીબી બધી બહુ જ ગૌણ બાબતો છે.
રાધાએ તેનું કામ કર્યુ. રજત આવ્યો. શ્યામા માટે ધબકતાં હૈયાં સાથે ઘણું બધું લઇને આવ્યો. અવિનાશભાઇને વંદન કર્યા ત્યારે અવિનાશભાઇ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા... અને માફી માંગી કે તમારી પેઢી બહુ આગળ નીકળી છે અને અમે સમજણ વિનાની વાતો કરીને તમને બહુ દુભવ્યાં છે. રજત ફરી ઠાવકાઇથી બોલ્યો, “સમયનાં તાપે આપણને સૌને વ્યવહારિક બનાવ્યા.” કવિ નરભેરામ કહે છે ને કહે નરભો પ્રેમ પૂરો મળે કૃપા હોય શ્રી રામની શ્યામાનું મનોવૈજ્ઞાનીક પૃથક્કારણ તો ચાલું હતું તેથી લગ્ન બાદ એક દિવસે પ્રશ્નોનો દોર શરુ થયો.
“રજત તમને ખબર છે તમે પૃથ્વીરાજ ચૌહાણ બની મને ભગાડી ના ગયા પછી મારી શી દશા થઇ હતી?”
“મને તો ખબર હોય? પણ તેમ ન કરવાનું કારણ ફક્ત એક જ હતું અને તે મન મરકટ બેઉં તરફ હૂપા હૂપ કરતું હતું - એક તરફ ઉત્તેજનાઓ હતી. કંઇક નવું સાહસ થઇ રહ્યું હતું અને બીજી બાજુ પાતળી નાણાકીય પરિસ્થિતિમાં ભાડાનાં ઘરમાં તને ગરીબ જિંદગી આપતાં ખચકાટ થતો હતો.”
“પણ કહે છેને લગ્ન કરીને આવનારીનું પણ ભાગ્ય તમારી સાથે જોડાતું હોય છે. કદાચ તેના પગલે લક્ષ્મી તમારા જીવનમાં આવી હોત ને?”
“હા. પણ મને લાગતું હતું કે હું તૈયાર નહોતો.”
“શું? તૈયાર નહોતા...? તમે તો મારા પપ્પા ના પાડે તો પૃથ્વી રાજ ચૌહાણ બનીને હરી જવાના હતાને?”
“હા. તે સમયે રોમાંચ તો હતો જ પણ સમજ સામે તે રોમાંચ વામણો પડ્યો અને હવે જે વીતી ગઇ તે વાત છોડ ને?”
“ના. આ છોડવાની વાત નથી. મને તમારા ભૂતકાળને ફંફોસવો છે. જ્યારે ખૂબ જ સમજણપૂર્વક્નો નિર્ણય લેવાનો હોય ત્યારે રજત તમે દ્વિધામાં આવી જાવ છો તેનું કારણ શોધવું તો પડશે જ. મારી સામે જુઓ અને હું તમને તમારા ભૂતકાળમાં લઇ જઇશ…” રજત ખચકાયો અને કહ્યું, “ભલે તમે તમારી રીતે જે કરવું હોય તે કરો… પણ મને દુઃખ એ વાતનું છે કે મારા ઉપર તમને વિશ્વાસ નથી કારણ કે પ્રેમનું નામ જ વિશ્વાસ.”
“રજત! વિશ્વાસ શબ્દનું અર્થઘટન ખોટી રીતે થાય છે. વિશ્વાસ હતો એટલે તો પંદર વર્ષે ફરી મળ્યાં પણ મારું મનોવૈજ્ઞાનિક જ્ઞાન મને એમ કહે છે તમારા ભૂતકાળમાં કશુંક છે જેણે તમને આજે આ બનાવ્યા છે. તમને ટ્રાંસમાં નાખી હું તે વસ્તુ કાઢી ફેંકી દેવા માંગુ છું.”
હીપ્નોસીસની મદદથી રજતને તેના બાળપણામાં શ્યામા લઇ. ગઈ પાંચ વર્ષની આયુનો રજત હીપ્નોસીસમાં બોલતો હતો. તેની મા તેને ખખડાવતી હતી આ વાંદરા જેવા ચેન ચાળા માટે… ત્યારે રજત કહેતો, “મા, મારી હું ગર્ભમાં હતો ત્યારે તને વાંદરાઓ જોવા ગમતા હતા તેથી હું પણ તેને ખુશ કરવા વાંદરા જેવું વર્તું છું.”
શ્યામા અત્રે અટકી. તેને રજતની આ વાતનું પૃથ્થકરણ કરવા સમય જોઇતો હતો ટ્રાંસમાંથી જ્યારે રજત્ને શ્યામાએ બહાર કાઢ્યો ત્યારે તેનું માથું ચકરાતું હતું. શ્યામા તેનાં સાયકોલોજીનાં થોથાં ઉથલાવતી હતી. મર્કટ મન એટલે ક્યારેય સીધું વિચારી ના શકે. આ રોગ છે? આનો ઇલાજ છે? જો હોય તો કેવી રીતે તે ઉપાય કરવો જેવા પ્રશ્નોનાં વમળોમાં તે અથડાતી હતી ત્યારે રજત બોલ્યો, “તે સાયકોલોજી સાથે એમ.એ. કર્યુ અને તું તારા ભણતરને આપણા લગ્નજીવનને ભલે વચ્ચે લાવે પણ હનુમાનની તાકાત અને બુધ્ધિ મારામાં છે. જેવી રામ પ્રત્યે તેમની આસ્થા અડગ હતી તેવોજ તારા માટે મારો પ્રેમ અડગ છે. શાંતીથી વિચારીશ તો સમજાશે જ્યારે આપણે ભાગી જવાનાં હતાં ત્યારનો નિર્ણય પણ મારી રીતે વિચારીશ તો સાચો લાગશે. મારા મર્કટ વલણો ત્યારેજ આવે છે જ્યારે હું કોઇને પ્રસન્ન કરવા માંગતો હોઉં જેને તું મારી નબળાઇ માને છે તે તો મારી તાકાત છે.” જે વિશ્વાસ અને છટાથી રજત આ બોલ્યો તે છટા જોઇને શ્યામા શંકામુક્ત થઇ ગઇ. રજત વાતને આગળ વધારતા બોલ્યો, “સાહસ લેવાની વૃત્તિ વધારે હોવાનાં ફાયદા પણ છે અને નુકસાન પણ જ્યારે તારું અપહરણ ના કર્યુ ત્યારે તને થતી વેદનાઓથી બહુજ પીડાયો પણ આ ઘટનાને કારણે હું સંવેદનશીલતામાં સોરાતા સોરાતા વજ્જર થયો. રાધા મને તારી વ્યથા કહેતી પણ ભણવાનું પૂરું થયા પછી જે પુખ્તતાઓ આવે તેની રાહ હતી અને ચાહ હતી તેથી તો આજે સાથ છે.”
શ્યામા રજત ને ટગર ટગર જોઇ રહી હતી.. ક્યાં પ્લગ પાના વાળો પ્લંબર અને ક્યાં પંદર વર્ષની જુદાઇ અગ્નીમાં તપી બહાર આવેલ શુધ્ધ સ્વર્ણ સમ રજત… પાકીસ્તાન બોર્ડર પર વરસતી ગોળીઓની રમઝટ વચ્ચે પણ અડગ વિજેતા રજત… શ્યામાનાં પ્રેમમાં ગળાડૂબ અડગ રજત… શ્યામા હરખમાં ગાઈ ઊઠી... ‘આજા સનમ મધુર ચાંદનીમેં હમ તુમ મીલે તો આ જાએ બહાર..’
કથાબીજ - હરિક્રીષ્ણ મજમુંદાર