નારી તું નારાયણી
નારી તું નારાયણી
નારી ધારે તો શું ન કરી શકે? આશાબેન એમાના એક દેખાવે ખૂબ જ સુંદર ઘાટીલો દેહ. પંદર વર્ષની ઉંમરે તો જાણે રુપસુંદરી લાગતાં પણ નસીબ, કહેવત છે ને કે તડકા પછી છાંયો અને છાંયા પછી તડકો પણ આશા બેનના જીવનમાં કોઈ દિવસ છાંયો આવ્યો જ નહીં પૈસાથી છાંયો નહીં પણ પોતાના જીવન કાળમાં... અને એનો એને અફસોસ ન હતો. ઘરમાં પુષ્ટ કરેલી સેવા જે પોતે જ કરતા અને હૈયે ધરપત રાખતા જે ભગવાન કરે તે સારા માટે, દુઃખ આપ્યું છે તો હસતે મોઢે સહન કરવાનું અને આ ભજન ગણગણતા:
"હું, હરીનો હરી મમ રક્ષક એહી ભરોસો જાય નહીં,
જે હરી કરે એ મમ હીતનું એ નિશ્ચય બદલાય નહીં,
એહી ભરોસો જાય નહીં."
આશાબેન પંદર વર્ષના હતા ત્યારે એમના પપ્પા હાર્ટ એટેકમાં ગુજરી ગયા. ઘરમાં મોટુ સંતાન આશાબેન અને બીજા નાના બે ભાઈ વિપુલ અને ઉમેશ ઘરની સ્થિતિ પણ કાઈ સારી નહોતી કે આશાબેન ભણતર પૂરું કરે અને પંદર વર્ષના આશાબેનના ડોક્ટર બનવાના સપના ઉપર પાણી ફરી વળ્યું. નોકરીએ લાગી ગયાં. મમ્મી કરુણાબેન પણ પતિના મૃત્યુ પછી તબીયત નરમ રહેતી હતી. ધીરેધીરે કરીને એ પથારીવશ થઈ ગયાં. પછી તો ઘરનું કામકાજ, રસોઈ અને નોકરી ત્રણે આશાબેન સંભાળતા અને સંભાળતા સંભાળતા આશાબેનની ઉંમર ત્રીસીનો આંકડો વટાવી ગઈ લગ્ન કરવાની ઉંમર પણ વહી જતી હતી. આશા બેનના મનમાં પરણવાના કોડ સંકોરાઈને પડ્યા હતા પણ ભાઈઓને ભણાવવાના ખર્ચા, માની દેખભાળ, માએ પોતાના અરમાન, મનના કોડને પુરા કરવા અસમર્થ હતી અને ઠાકોરજીની સેવા કરતા કરતા આશાબેનથી આ ભજન ગણગણાઈ જાતું ::
“હું હરીનો હરી મમ રક્ષક એહી ભરોસો જાય નહીં,
જે હરી કરે એ મમ હીત નું એ નીશ્ચય બદલાય નહીં."
અને પાછાં પોતાના રુટીનમાં વ્યસ્ત થઈ જતા. સમય તો સરકતો રહ્યો. આશાબેનના માતા કરુણાબેન હરી શરણ થઈ ગયાં. ભાઈઓ પણ ભણીગણીને કમાવવા માટે અમેરીકા ચાલ્યા ગયા. હવે તો આશાબેનની ઉંમર પચાસ વર્ષની થઈ ગઈ એકલાં થઈ ગયાં. ભાઈઓ તો બહેનનો ઉપકાર ભૂલતા નહોતા. આશાબહેનને અમેરીકા વસવા માટે ફોન કરતા પણ આશાબેનને એ ગોઠતું નહીં. પચાસ વર્ષે એકલાં પડેલાં આશાબેન વિચારતાં, “જેની માટે પોતે પોતાની મહેચ્છાઓને દફનાવી દીધી એ લોકો તો અધવચ્ચે મૂકીને ચાલી ગયા, હવે તો પૈસાની પણ કોઈ કમી નહોતી કોઈ બંધન ન હતું હવે કોઈ તમન્ના નહોતી. બસ, હવે કોની માટે જીવવું? કોની સાથે જીવવું એ વિચારવું મુશ્કેલ લાગતું હતું. કુટુંબમાં તો આશાબેનને ખૂબ જ માનથી બોલાવતા નાગરસમાજના કુટુંબ મેળામાં શાલ ઓઢાડીને સન્માન થયું અને "નારી તું નારાયણી"નું બીરુદ આપ્યું કે આશાબેને માતા અને ભાઈઓની ખાતર જીવનમાં લગ્ન ન કર્યાં અને એકલા રહીને કુટુંબને તાર્યું અને સમાજમાં કોઈની પણ મદદ લીધા વીના ભાઈઓનું ઉંચ્ચ ભણતર પૂરું કર્યું અને પરદેશ મોકલ્યા અને આખા સમાજે તાળીઓના ગડગબાટથી આશાબેનને વધાવી લીધા અને આશાબેન મનમાં ફીક્કું હસ્યાં અને ઘરે આવી વિચારતાં રહ્યાં શું આને જ કહેવાય "નારી તું નારાયણી" અને પાછાં ભગવાનની ભક્તિમાં લીન થઈ ગણગણવા લાગ્યાં.
"હું હરીનો હરી મમ રક્ષક એહી ભરોસો જાય નહીં,
જે હરી કરે એ મમ હીતનું એ નીશ્ચય બદલાય નહીં."