નૃત્ય
નૃત્ય
એક સુંદર મઝાનું સરોવર હતું. સરોવરમાં બતક, બગલા, શાહમૃગ, સૂરખાબ જેવા પક્ષીઓ રહેતા હતાં. સરોવરની આસપાસ સુંદર લીલુછમ જંગલ હતું. લીલાછમ જંગલમાં મોર, ટીટોડી, સુગરી, શાહુડી, પોપટ, બુબુલ, કબૂતર, ચાતક, ચકલી જેવા પંખીઓ રહેતા હતાં.
એક દિવસ સરોવરમાં પાણી પીને મોર સરોવર કાંઠે કળા કરવા લાગ્યો. આટલું સુંદર તેનું નૃત્ય જોઇ બગલાભાઇ તો ખુશ થઈ ગયા. વરસાદી વાદળો પણ ઘેરાયાં હતાં. વીજળીના ચમકારા થતા હતા એ જોઇ મોર વધુને વધુ નૃત્ય કરવા લાગ્યો. થોડીવારમાં ખૂબ વરસાદ પડ્યો અને મોર મોટા વૃક્ષની ઓથે બેસી ગયો. વરસાદ બંધ થતાં બગલાભાઇ મોર પાસે આવ્યા અને કહ્યું, "મોર... મોર... મને પણ નૃત્ય કરતાં શીખવું છે. મને પણ શીખવોને." બગલાની વાત સાંભળી મોર કહે, "બગલાભાઇ તમને નૃત્ય શીખવવામાં મને વાંઘો નથી પણ તમારી પાસે મારા જેવા પીંછા નથી અને તમે મારાથી ઘણા ઊંચા છો. તમને નૃત્ય કરતાં નહિ ફાવે."
મોરની વાત સાંભળી બગલાભાઇ નિરાશ થઈ ગયા. બગલાને નિરાશ જોઇ મોરએ કહ્યું, "તમે દુ:ખી ના થાવ, તમે લાંબો સમયસુધી સરોવરમાં ઊભા રહી શકો છો. એમ હું ઉભો નથી રહી શકતો. ઇશ્વરએ સૌને જુદા-જુદા ગુણ આપ્યા છે. સુગરી જેવો માળો આપણે ન બનાવી શકીએ. કોયલ જેમ કોઇ વાતોની નકલ ન કરી શકીએ દરેકની પોતાની કંઇક વિશિષ્ટતા હોય છે. તમને મારુ નૃત્ય ગમ્યુને, તો હું એક કામ કરી શકું તમને જ્યારે ઇચ્છા થાય કે તમારે મારુ નૃત્ય જોવું છે. ત્યારે તમારે મને કહેવાનું હું તમારા સરોવરની પાળે મારું નૃત્ય તમને બતાવીશ. બસ?"
બગલાભાઇ મોરની વાત સાંભળી ખુશ થયા અને મોરનો આભાર માની કહ્યું, "કાલે સરોવરનું પાણી પીવા આવો ત્યારે મને સાદ પાડજો. હું તમને મળવા જરૂરથી આવીશ." મોરે બગલાને મળવાનું વચન આપ્યું. અને જંગલ ભણી ઊડવા લાગ્યા.