મહારાજ – રસોઈઓ
મહારાજ – રસોઈઓ
‘આજે શાકમાં તેલ અને દાળમાં મીઠુ વધારે! ‘
‘અરે, સાંભળો છો કે, આ મહારાજ રસોઈમાં કેમ વેઠ ઉતારે છે. તમે તો હજુ માળા ફેરવશો અને પછી જમશો. એક કામ કરો, જમતા ભલે મોડા, માત્ર મહારાજ રસોઈ કરે અને મને પિરસો એ પહેલા ચાખો તો વધારે સારું!’
મોહન શેઠ જમવા બેસે ત્યારે જરૂર મનોરમા કાકી પિરસવા બેસે. તેઓ નાહ્યા વગર અને સેવા કર્યા વગર કાંઈ ખાય નહિ તેથી શું ખબર પડે કે મહારાજે આજની રસોઈમાં શું ઉકાળ્યું છે.
આ અવનવી મુંબઈ નગરીમાં બે પાંદડે શું થયા, શેઠાણીઓએ રાંધવાનું છોડી દીધું. ઘરમાં નોકર, ડ્રાઈવર અને મહારાજ. પછી કમરનો કમરો ન થાય તો શું થાય. ઉપરથી ફરિયાદ કરે, મોંઘવારી કેટલી વધી ગઈ છે. બસ આખો દિવસ કામમા ક્યાં પૂરો થાય છે ખબર પડતી નથી !
મુંબઈ અલબેલી નગરી કમાયો તે ફાવ્યો. બે પાંદડે માણસ થાય એટલે ઘરમાં નોકર, મહારાજ અને ડ્રાઈવર એ ત્રણના પદાર્પણ થાય. ૨૧મી સદીમાં એ ત્રણેયને પગાર પણ જોરદાર આપવો પડે . રામાયણ તો
ત્યાર પછી ચાલુ થાય. શું મોંઘવારી છે? સામાન્ય જનતા કેમ જીવતી હશે? પેટ્રોલના ભાવ તો જુઓ? ટેક્સી, બાપ રે બાપ કેટલી મોંઘી દાટ !
આવા બધા વિષયો પર વિચાર વિનિમય ! એમાં એ શેઠાણીઓએ જનમ ધરીને કદી એક રૂપિયો પણ મહેનતથી રળ્યો ન હોય ! પહેલાં બાપ કમાઈ અને હવે પતિ્ની કમાઈ ઉપર તાગડધિન્ના ભોગવ્યા હોય. શંભુ મહારાજ દરરોજ દસના ટકોરે આવે, ઘડિયાળ વહેલી મોડી થાય. પણ શંભુ મહારાજ કદી વહેલા મોડા ન થાય કારણ સાવ સરળ છે. ઘડિયાળના કાંટે બધે રસોઈ તૈયાર જોઈએ. શંભુ મહારાજ, શંભુ જેવા ભોળા ન હતા. એક જ મકાનમાં બધાને ત્યાં રસોઈ કરે. જેથી જવા આવવાનો સમય મુંબઈ શહેરમાં બગડે નહીં. તેથી બીજા મહારાજ માંડ ત્રણ ઘરે રસોઈ કરે શંભુ મહારાજ પાંચ ઘરે રસોઈ કરે!
પાંચમાં ઘરે માત્ર સવારના પહોરમાં ગરમ નાસ્તો બનાવવાનો હોય. જેમાં ઓછી મહેનતે ૪૦૦૦ રૂપિયા કમાઈ લે. રસોઈ કરવાના ૬૦૦૦. તેમને તડાકો પડતો.
આજે નાની દીકરી તાવમાં તરફડતી હતી તેથી શાકમાં તેલ અને દાળમાં મીઠું વધારે પડી ગયું હતું. મહારાજ તો રસોઈ કરીને જતા રહે. દીકરા વહુ કામે જાય. નાની દીકરીને કૉલેજ મૂકવા વિઠ્ઠલ ગાડી લઈને ગયો હતો. ટ્રાફિકમાં ફસાયો હોવાથી હજુ આવ્યો ન હતો. આમ તો શેઠને ખબર ન પડે પણ બપોરે ચા સાથે ખાવાના નાસ્તાના ડબા એ ચાડી ખાધી.
‘મારે જમવું નથી.’ કહી શેઠ ઊભા થઈ ગયા. મનોરમા શેઠાણી પાછળ મેંગો લસ્સી લઈને પહોંચ્યાં.
‘અરે, સાંભળો છો, શંભુની દીકરી બીમાર છે એટલે આજે ગોટાળો થયો છે.’ દીકરીનું નામ આવ્યું એટલે શેઠ પીગળ્યા અને નરમ બન્યા.
છતાંય આજકાલની ઘરમાં રહેતી શેઠાણીઓને મહારાજ વગર ચાલતું નથી ! જાતે રસોઈ કરવી એટલે 'પોઝીશનમાં પંકચર' !