સુખ એટલે
સુખ એટલે
તળપદી ભાષામાં સુખ એટલે આનંદ દાયક પરિસ્થિતિ અને દુઃખ એટલે અણગમતી પરિસ્થિતિ. બંને પરિસ્થિતિ જ છે પણ મનનાં ત્રાજવે તોલાયેલી અને સ્વિકાર્ય કે અસ્વિકાર્ય પરિસ્થિતિ. એનો અર્થ એવો તો થયો જ કે ઘટેલી ઘટના ઉપર મન જે સિક્કો મારે તે પ્રમાણે અનુભુતિ થાય.
અહીં એ પ્રશ્ન થાય કે કોણ જરુરી અનુભુતિ કે મનનું ત્રાજવુ ?
અનુભુતિ તો ઘટના છે જેમ કે મિષ્ટ અન્ન ખાધુ. હવે ઓડકાર આવ્યા પછી મન એમ વિચારે કે આ સુખ હતુ કે દુઃખ ત્યારે સહજ જ હસવુ આવે કે મિષ્ટ અન્ન હતુ. ખવાઇ ગયુ પછી આ વિચાર જરુરી ખરો ?
મહદ અંશે જે લોકો દુઃખી છે તેનું કારણ આ એક નાનકડા લેખમાં આપ્યુ છે.
બે કીડીઓ હતી. એક મીઠાના પહાડ પર રહેતી હતી, અને બીજી કીડી ખાંડના પહાડ પર. એક દિવસ પહેલી કીડી બીજી કીડી પાસે આવીને બોલી – “બહેન ! તું હંમેશા ખાંડ ખાતી રહે છે, શું મને પણ એનો સ્વાદ ચાખવા દેશે ?” બીજી કીડીએ ઉત્તર આપતા કહ્યું – “હા બહેન ! કેમ નહીં. અહીં તો જ્યાં-ત્યાં ખાંડ જ ખાંડ છે, એ સિવાય અહીં બીજું કશું જ નથી. તને ખાવી હોય એટલી ખાંડ લઈ લે.” મીઠાના પહાડ પર રહેનાર કીડી ખાંડના આખા પહાડ પર ફરી આવી અને જ્યાં-ત્યાંથી તેણે ખાંડ ચાખી પરંતુ તેને તો મીઠાસ આવી જ નહીં. તેણે આવીને કહ્યું “બહેન અહીંયા તો ખાંડ જ ક્યાં છે ? મને તો ક્યાંય સ્વાદ નહીં આવ્યો.”
બીજી કીડી પહેલા તો ઘણા આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ વિચાર કરવા પર એને કારણ સમજાય ગયું. એણે મીઠાના પહાડ પર રહેનાર કીડીને મોઢું ખોલવા કહ્યું. મોઢું ખોલવા પર જાણ થયું કે એણે મોઢામાં એક મીઠાનો ટૂકડો મૂકી રાખ્યો હતો. કારણ પૂછતાં કીડી એ કહ્યું કે – “બહેન! આ તો ભવિષ્યમાં જ્યારે કઈ ખાવા નહીં મળે તો ભૂખી નહીં રહી જાઉં એટલા માટે આ એક ટૂકડો હું સાચવીને રાખું છું.” જ્યારે એના મોઢામાંથી એ મીઠાનો ટૂકડો કાઢી નાખ્યો ત્યારે તેને ખાંડની મીઠાસ આવી. એણે એ મીઠાનો ટૂકડો મુસીબતના સમય માટે રાખી મૂક્યો હતો.
દુઃખી સર્વે જણા એ આ કમળાનો ચશ્મો આંખ પાસેથી પહેલા ઉતારવાનો છે. કમનસીબે વર્ષોથી આપણે સુખને અવસર જ નથી આપતા. આપણા મનમાં પ્રભુએ આપણે માટે સુખ સર્જ્યુ છે તેવું માનતા જ નથી. પેલો મીઠાનો ટુકડો મનમાંથી કાઢીયે તો એવું સમજાય ને કે દુઃખ નથી અને એ દુઃખ વિનાની સ્થિતિ એટલે સુખ જ એમ સમજાય ને ?
મારા એક સ્નેહી કાયમ જ એમના સુખની સાથે સાથે ભૂતકાળનું દુઃખ કે ભવિષ્ય કાળનો ભય લાવી જ દે. “આતો હવે જરા બે પાંદડે થયા બાકી આખી જિંદગી દસ સાંધો અને તેર તુટે તેવા હાલ હતા”.
મારે કહેવું પડે “આજે તો સુખ છે ને ? તે માણ ને ભાઇ !..ભૂતકાળમાં જે હતું તે હતુ પણ હવે તો બે પાંદડે છે ને ? “
ત્યાં ફરી કહેશે, ”હા. પણ આજે જે છે તે ઉડાવી ઓછુ દેવાય ? કાલે ઉઠીને માંદગી આવી અને મોટો હોસ્પીટલને ખર્ચો થયો તો ? બચાવવુ તો પડે ને ?”
હું હસતા હસતા કહું પણ ખરો કે “તને રાજ રોગ ડાય બીટીસ છે.. હાર્ટ ક્યારે નબળુ પડે તે કહેવાય નહીં અને કોઇ મોટી માંદગી આવે તે પહેલા જ જો ગામેતરું કરી ગયો તો ?”
ત્યારે સહેજ ખીજવાઇ ને કહે “તો મારી પાછળ ખાનારા છે ને ?”
મેં વાતને ટીખળે ચઢાવતા કહ્યું, ”તારા બંને છોકરાઓ ડૉક્ટર થઇને ડોલરની ટંકશાળ પાડે છે. તારા વીસ બાવીસ લા્ખની સામે ય તે જોવાનાં નથી.. માટે તું જરા ભાભીને લઇને દુનિયા જો. મઝા કર.’
તે દિવસે તો એને મારી ટીખળ ન ગમી. પણ બે દિવસ પછી ભાભીનો ફોન આવ્યો. ”તમે બહું સાચુ સમજાવ્યુ. તેમને સુખની પરિભાષા એટલે સંતોષ એ વાત જ નથી સમજાતી.વતનમાં સરસ મઝાનું ઘર છે એ વેચી દે તો સારા એવા પૈસા આવે તેમ છે . પણ ના મારી હયાતીમાં વડીલોપર્જીત મકાન ના વેચાય. એમ મંડ્યા રહે છે. જરા તેમને આ ભૂતકાળ અને ભવિષ્ય કાળમાંથી બહાર કાઢી આજમાં રહેતા શીખવાડજો.”
જો કે એ વાત ત્યારે તો પતી ગઈ લાગતી હતી પણ બે દિવસ પછી તે સ્નેહી કહે, “યાર તારી વાત તો સાચી છે.”
મેં અજાણ્યા બની ને પુછ્યુ. “કઈ વાત ?”
“યાર તમે લોકો એ આખી જિંદગી પાન બીડા ખાધા મજા કરી અને આજે બોખલા છો પણ મેં તો તેની સામેય જોયુ નથી અને મારા દાંત કેમ પડી ગયા તે મને સમજાતુ નથી.”
“હા એજ વાત હજી દસ વર્ષ પછી પણ સાલસે. અમે લોકો આખી દુનિયા ફરી આવ્યા હોઇશુ અને તારા પગ ધ્રુજતા હશે જ્યારે તબીયત સારી છે ત્યારે જાત્રા કર જ્યારે હાથપગ ચાલતા બંધ થઇ જશે ત્યાં સુધી. પૈસા સાચવવાને બદલે. હવે તેનો ઉપભોગ કર.”
“પણ..?”
“પણ અને બણ છોડ. જો તું લાંબુ જીવી ગયો તો છોકરા તને સંભાળશે. કાયમ નકારત્મક ના વિચાર. ક્યારેક હકારત્મક વિચારીને. આજનાં સુખને માણ..સમજ્યો ? મેં હળવો ધબ્બો પીઠ પર માર્યો અને તે ખડ્ખડાટ હસી પડ્યો.”
અને બોલ્યો..”હવે મને સમજાય છે કે તમે લોકો આટલા હળવા અને સુખી જીવન કેવી રીતે જીવો છો?
મેં હળવેક્થી મને ગમતુ ગીત છેડ્યુ,
mમેં જીંદગી કા ગીત ગાતા ચલા ગયા,
હર ફિકર કૉ ધુએ મેં ઉડતા ચલા ગયા.
અને તે પણ મારી સાથે ગાતો હતો અને કહેતો હતો હર ફિકર કૉ ધુએ મેં ઉડતા ચલા ગયા ...